ન્યૂઝ18 ગુજરાતી: અભિનેતા અને ભાજપના સાંસદ શત્રુધ્ન સિંહા કોંગ્રેસમાં જોડાશે. તેઓ 28મી માર્ચના રોજ કોંગ્રેસમાં જોડાશે. બિહાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ અખિલેશ પ્રસાદ સિંહે આ અંગે માહિતી આપી હતી.
એક દિવસ પહેલાં જ સિંહાએ ટ્વિટર પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા. તેમણે લખ્યું હતું કે, ન્યૂનત્તમ આવકની ગેરન્ટી યોજનાની જાહેરાત કરવી 'માસ્ટર ઓફ સિચ્યુએશન'. રાહુલ ગાંધીનો માસ્ટરસ્ટ્રોક છે. તેણે અમારા કેટલાક મહત્વના લોકોને હેરાન કરી દીધા છે અને તેમણે તરત એક પ્રેસ કોન્ફરન્સ કરી આ જાહેરાતને કપટ ગણાવી.
આ પહેલાં શત્રુધ્ન સિંહા 24 માર્ચે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની સામે કોંગ્રેસ જોઇન કરશે તેવી વાત સામે આવી હતી, પરંતુ એવું ન થઇ શક્યું. સિંહા હાલ પટણા સાહિબથી ભાજપના સાંસદ છે. કયાસ લગાડાય છે કે, તે પટણા સાહિબથી કોંગ્રેસના ઉમેદવાર હશે. ભાજપે પટના સાહિબથી શત્રુધ્ન સિંહાને ટિકિટ આપી નથી અને આ વખતે અહીંથી રવિશંકર પ્રસાદને ટિકિટ આપી છે.
મહાગઠબંધનના તૂટેલા તાર જોડવામાં પટના સાહિબના સાંસદ શત્રુધ્ન સિંહાએ મોટી ભૂમિકા ભજવી હતી. પટના સાહિબ સીટથી 'બિહારી બાબુ' કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ વિરુદ્ધ ચૂંટણી લડી શકે છે. જોકે, મહાગઠબંધનના ઉમેદવારના નામની જાહેરાત અત્યારે થઇ નથી. પરંતુ તેમને ટિકિટ મળશે તેવું નક્કી મનાય છે.
હાલમાં જ શત્રુધ્ન સિંહાએ પાર્ટી છોડવાના સંકેત આપ્યા હતા. તેમણે ટ્વિટ કરતાં લખ્યું હતું કે, મોહબ્બત કરને વાલે કમ ન હોંગે, (શાયદ) તેરી મહેફીલ મેં લેકિન હમ ન હોંગે. બીજી એક ટ્વિટમાં તેમણે લખ્યું હતું કે, સર રાષ્ટ્ર તમારું સન્માન કરે છે, પરંતુ નેતૃત્વમાં વિશ્વસનીયતા અને વિશ્વાસની કમી છે.
ફિલ્મ અભિનેતા અને 'બિહારી બાબુ'થી જાણીતા શત્રુધ્ન સિંહા છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ છે અને ઘણા પ્રસંગોએ 'પાર્ટી લાઇન'થી અલગ નિવેદન આપી રહ્યાં છે. હાલમાં જ તેમણે પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી સાથે મુલાકાત કરી હતી. આ પહેલાં તેઓ રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ અને અખિલેશ યાદવ જેવા પીએમ મોદીના વિરોધી નેતાઓ સાથે મળતાં રહ્યાં છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર