ન્યૂઝ18 ગુજરાતી : આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સહિત તમામ પ્રતિબંધિત સંગઠનો સામે પાકિસ્તાન 'નિર્ણાયક કાર્યવાહી' કરી શકે છે. એટલું જ નહીં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ)માં આતંકીઓની યાદીમાં જૈશ પ્રમુખ મસૂદ અઝહરને સામેલ કરવા માટે પોતાનું સમર્થન આપી શકે છે. પાકિસ્તાનના વર્તમાનપત્ર એક્સપ્રેસ ટ્રિબ્યૂનમાં પ્રકાશિત એક સમાચારમાં આ વાત કહેવામાં આવી છે.
અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે બુધવારે પાકિસ્તાનમાં રહેતા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં નવેસરથી પ્રસ્તાવ મૂક્યો હતો. જે બાદમાં મસૂદ અઝહરના વૈશ્વિક પ્રવાસ પર પ્રતિબંધ લાગી જશે, તેની સંપત્તિ પણ જપ્ત થઈ શકે છે.
ઘટનાક્રમ સાથે જોડાયેલા એક વરિષ્ઠ અધિકારીના હવાલેથી એક્સપ્રેસ ટ્રિબ્યૂને કહ્યું કે પાકિસ્તાન એક મોટો નિર્ણય લેતા તમામ પ્રતિબંધિત સંગઠન તેમજ જૈશ પ્રમુખ સામે નિર્ણાયક કાર્યવાહી કરી શકે છે. અઝહર સામે શું કાર્યવાહી કરવામાં આવશે તેની કોઈ માહિતી મળી નથી પરંતુ અધિકારીના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર ન કરવાનો પોતાનો પ્રસ્તાવ પરત લઈ શકે છે.
અધિકારીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું પાકિસ્તાન હવે મસૂદ અઝહર વિરુદ્ધ સુરક્ષા પરિષદમાં કાર્યવાહીનો વિરોધ નહીં કરે? જવાબમાં અધિકારીએ કહ્યું કે, 'પાકિસ્તાને નિર્ણય લેવો પડશે કે વ્યક્તિ મહત્વપૂર્ણ છે કે પછી દેશનું હિત વધારે મહત્વનું છે.'
જોકે, એવા પણ સમાચાર આવી રહ્યા છે કે કેન્સરની બીમારીથી લડી રહેલી મસૂદ અઝહરનું શનિવારે ઇસ્લામાબાદની આર્મી હોસ્પિટલમાં લાંબી સારવાર બાદ મોત થઈ ગયું છે. જોકે, પાકિસ્તાન તરફથી જૈશ-એ-મોહમ્મદના સમૂદ અઝહરનાં મોતની પુષ્ટિ કરવામાં આવી નથી. પાકિસ્તાની મીડિયાના જણાવ્યા પ્રમાણે ભારતના મીડિયામાં મસૂદ અઝહરના મોત અંગે જે અહેવાલો વહેતા થયા છે તે ખોટા છે. પાકિસ્તાની મીડિયાએ મસૂદ અઝહરના પરિવારના સૂત્રોને ટાંકીને કહ્યું છે કે તે જીવતો છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર