ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ રવિવારે પુષ્ટિ કરી કે ટીમ ઈન્ડિયાને મળેલી ધમકી નકલી હતી, પરંતુ ત્યાં સ્થિત ભારતીય હાઇ કમિશને એન્ટિગુઆ સરકારને આ મામલા અંગે જાણ કરી છે. મૂળે, રવિવારે અહેવાલ આવ્યા હતા કે BCCIને એક ઇમેલ મળ્યો છે, જેમાં ટીમ ઈન્ડિયાને જીવથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ વિન્ડીઝ પ્રવાસ પર ગયેલી ટીમની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
બીસીસીઆઈના એક સિનિયર અધિકારીએ રવિવાર સાંજે પીટીઆઈ-ભાષાને કહ્યું કે, અમે તેની જાણકારી સુરક્ષા એજન્સીઓને આપી અને જાણ્યું કે ધમકી નકલી હતી. જોકે બીસીસીઆઈ સુરક્ષા માટે તમામ પગલાં ઉઠાવી રહ્યું છે અને સુનિશ્ચિત કરી રહ્યું છે કે તેનાથી કોઈ સમજૂતી નહીં થાય.
ભારતીય હાઇ કમિશને આપી જાણકારી
અધિકારીએ કહ્યું કે, અમે તેની જાણકારી એન્ટિગુઆ સ્થિત ભારતીય હાઇ કમિશનને આપી. તેઓએ તેની જાણકારી સરકારને આપી. સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી રહી છે અને જરૂર પડતાં તેને વધારવામાં આવશે. હાલમાં પહેલાની જેમ જ સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે.
ઇન્ડિયા ટીવીના રિપોર્ટ પ્રમાણે ભારતીય ટીમને ખતમ કરવાની ધમકીનો ઇ-મેલ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(પીસીબી) પાસે આવ્યો હતો. પીસીબીએ બીસીસીઆઈને જાણ કરી હતી. આ પછી ભારતીય બોર્ડે ગૃહ મંત્રાલયને મામલાની જાણકારી આપી હતી.
વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડને પણ આ વિશે જાણ કરી દેવામાં આવી હતી. વિન્ડીઝ બોર્ડે દરેક સંભવ મદદનો ભરોસો આપ્યો હતો. રિપોર્ટમાં કહેવાયું છે કે ટીમ ઇન્ડિયાના મેનેજર સુનીલ સુબ્રમણ્યમે બધા ખેલાડીઓને આ વિશે જણાવી દીધું હતું અને ખેલાડીઓને સાવધાન રહેવા કહ્યું. સાથે ક્યાંક બહાર જાય તો સૂચના આપવા કહ્યું હતું.