125th Subhash Chandra Bose Jayanti: નેતાજી સુભાષ ચંદ્ર બોઝની (Netaji Subhash Chandra Bose) 125મી જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM (Narendra Modi) રવિવારે તેમની ગ્રેનાઈટ પ્રતિમાના હોલોગ્રામનું (Netaji Subhash Chandra Bose Statue Hologram) અનાવરણ કરશે. પીએમ મોદીએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે, દેશના મહાન સપૂત પ્રત્યે કૃતજ્ઞતાના પ્રતીક તરીકે ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ગ્રેનાઈટ પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. વડા પ્રધાને કહ્યું હતું કે, જ્યાં સુધી નેતાજીની ગ્રેનાઈટ પ્રતિમા તૈયાર નહીં થાય ત્યાં સુધી તે જગ્યાએ તેમની હોલોગ્રામ પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, તેઓ 23 જાન્યુઆરીએ નેતાજીની જન્મજયંતિના અવસર પર આ હોલોગ્રામ પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે.
પ્રતિમા 28 ફૂટ ઉંચી અને છ ફૂટ પહોળી હશે
નેતાજીની ગ્રેનાઈટની પ્રતિમા 28 ફૂટ ઉંચી અને છ ફૂટ પહોળી હશે અને તે પેવેલિયનમાં સ્થાપિત કરવામાં આવશે. જ્યાં એક સમયે રાજા જ્યોર્જ પંચમની પ્રતિમા હતી, જેને 1968માં હટાવી દેવામાં આવી હતી. વડા પ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, બોઝની 125મી જન્મજયંતિ નિમિત્તે વર્ષભર ચાલતી ઉજવણીના ભાગરૂપે નેતાજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું હતુ કે, પીએમ મોદી 23 જાન્યુઆરીએ આયોજિત કાર્યક્રમમાં વર્ષ 2019, 2020, 2021 અને 2023 માટે સુભાષ ચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર આપશે.
'આ પ્રતિમા તેમના પ્રત્યે દેશના આભારનું પ્રતિક હશે'
ઈન્ડિયા ગેટ પરથી અમર જવાન જ્યોતને ખસેડીને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં લઈ જવાઈ તેવા સમયે વિપક્ષની ટીકાઓ વચ્ચે વડાપ્રધાને આ જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદીએ એક ટ્વીટમાં જણાવ્યું હતુ કે, દેશ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જયંતી ઊજવી રહ્યો છે તેવા સમયે ગ્રેનાઈટથી બનેલી તેમની એક ભવ્ય પ્રતિમા ઈન્ડિયા ગેટ ખાતે સ્થાપિત કરાશે તે જાહેરાત કરતાં મને ખૂબ જ આનંદ થાય છે. આ પ્રતિમા તેમના પ્રત્યે દેશના આભારનું પ્રતિક હશે. જોકે, નેતાજીની ગ્રેનાઈટની પ્રતિમા બનીને તૈયાર ન થાય ત્યાં સુધી તે સ્થળે તેમની એક હોલોગ્રામ પ્રતિમા મૂકાશે.
પીએમ મોદી આજે એટલે 23મી જાન્યુઆરીએ નેતાજીની જયંતિના પ્રસંગે હોલોગ્રામ પ્રતિમાનું લોકાર્પણ કરશે. આ જ દિવસથી દેશમાં પ્રજાસત્તાક દિનની ઊજવણીનો ચાર દિવસનો સમારંભ શરૂ થવાનો છે.
નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીના આ નિર્ણયને તૃણમૂલ કોંગ્રેસે આવકાર્યો હતો. તૃણમૂલ કોંગ્રેસે જણાવ્યું કે, પ્રજાસત્તાક દિનની પરેડ માટે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ સહિતના સ્વાતંત્ર્ય સેનાનીઓ પરના પશ્ચિમ બંગાળના ટેબ્લોને નકારી કાઢવાનો વિવાદ વકરી રહ્યો હોવાથી આ ટીકાઓને શાંત પાડવા માટે કેન્દ્ર સરકારે ઈન્ડિયા ગેટ પર નેતાજીની પ્રતિમા મૂકવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર નેતાજીના અદૃશ્ય થવાનું રહસ્ય ઊજાગર કરે ત્યારે ખરા અર્થમાં તેમને શ્રદ્ધાંજલી આપી ગણાશે.
નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પુત્રી અનિતા બોઝ-ફાફે પણ વડાપ્રધાન મોદીની જાહેરાતને આવકારી હતી. તેમણે કહ્યું હતુ કે, સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા માટે આ એકદમ યોગ્ય સ્થાન છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર