મુંબઈ : દેશની આર્થિક રાજધાની મુંબઈ (Mumbai) ડૂબી જશે. આ ખતરો ભૂતકાળમાં ઘણા આંતરરાષ્ટ્રીય અભ્યાસોમાં વ્યક્ત કરવામાં આવી ચૂક્યો છે. હિન્દુસ્તાન ટાઈમ્સના જણાવ્યા અનુસાર હવે તાજેતરના એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે મુંબઈ શહેર દર વર્ષે 2 મિલીમીટરની ઝડપે ડૂબી રહ્યું (mumbai sinking) છે. આશરે 19 ચોરસ કિ.મી.નો વિસ્તાર વધુ ડૂબી રહ્યો છે, જે દર વર્ષે 8.45 મીમી થઈ ગયો છે. આ અભ્યાસ ઉપરાંત આઈઆઈટી બોમ્બેના એક રિસર્ચમાં (IIT Bombay Research) દાવો કરવામાં આવ્યો છે કે, શહેરની નીચે બેસવાની વાર્ષિક સરેરાશ 28.8 મિમી છે. તે એ પણ જણાવે છે કે મુંબઈના કયા વિસ્તારોમાં સૌથી વધુ જોખમ છે.
જીઓફિઝિકલ રિસર્ચ લેટર જર્નલમાં માર્ચમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં ઇનસાર મેથડ (InSAR Method) સાથે વિશ્વના 99 દેશોના 2016થી 2020 સુધીના સેટેલાઇટ ડેટાનો અભ્યાસ કરીને પરિણામો પ્રકાશિત કરવામાં આવ્યા હતા. અમેરિકાની યુનિવર્સિટી ઓફ રોડ આઇલેન્ડના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા આ અભ્યાસ અનુસાર ચીનનું તિયાનજિન શહેર દુનિયામાં સૌથી ઝડપથી ડૂબી રહ્યું છે. તેની ડૂબવાની ગતિ વાર્ષિક 5.2 સેન્ટીમીટર છે. તિયાનજિન ઉપરાંત, ઇન્ડોનેશિયામાં સેમારંગ્સ (3.96 સે.મી.) અને જકાર્તા (3.44 સે.મી.), ચીનમાં શાંઘાઈ (2.94 સે.મી.) અને વિયેતનામમાં હો ચી મિન્હ (2.81 સે.મી.) અને હનોઈ (2.44 સે.મી.) વાર્ષિક દરે ડૂબી રહ્યા છે.
ભારતના બીજા ક્રમના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર મુંબઈ વિશે અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈના દરિયાની સપાટીથી 10 મીટરથી નીચે લગભગ 46 ચોરસ કિલોમીટરના વિસ્તારમાંથી વાર્ષિક 8.45 મિમીની ઝડપે 19 ચોરસ કિમી ડૂબી રહ્યું છે. સરેરાશ જોઈએ તો બાકીના વિશ્વની સરખામણીએ મુંબઈના ડૂબવાની ગતિ ઓછી છે, પરંતુ દરિયાની સપાટીમાં વધારો અને સમય જતાં વધુ પડતા વરસાદને કારણે તેની અસર વધી શકે છે. તાજેતરના અભ્યાસો દર્શાવે છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે અરબ સાગરની જળસપાટી વાર્ષિક 0.5થી 3 મિમીના દરે વધી રહી છે. આનો અર્થ એ થયો કે પાણીનું સ્તર જેટલું ઝડપથી વધી રહ્યું છે, મુંબઈના કેટલાક વિસ્તારો તેના કરતા ઘણી ઝડપથી નીચે જઈ રહ્યા છે. આ બેવડું સંકટ છે.
જલદી જ શોધવું પડશે સમાધાન
એચટીના જણાવ્યા અનુસાર, મુંબઈને સતત ડૂબી જવાની આ ઘટના જમીન ધસી પડવાની એક ભૌગોલિક પ્રક્રિયાને કારણે બની રહી છે. પૃથ્વીની સપાટી સતત નીચી જઇ રહી છે. આ મોટા પ્રમાણમાં ભૂગર્ભજળ કાઢવાથી, ખનન, કુદરતી વેટલેન્ડ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને ઇકોલોજીકલ વિક્ષેપોને કારણે છે. તેનો કોઈ ઉપાય નથી, પરંતુ તેની સ્પીડ ઓછી કરી શકાય છે. નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે, આગામી સમયમાં મુંબઈમાં પૂર જેવી સ્થિતિ વધુ જોવા મળી શકે છે. આ સમસ્યાના નિવારણ માટે મહાનગરપાલિકા અને શહેરી આયોજકોએ તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.
IIT બોમ્બેનો ચોંકાવનારો ખુલાસો
આ ઉપરાંત આઈઆઈટી બોમ્બેમાં ક્લાઈમેટ સ્ટડીઝ પર હાલમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં ચોંકાવનારા ખુલાસાઓ ઉપર પણ એચટીએ જાણકારી આપી છે. તેમનો દાવો છે કે મુંબઈમાં જમીનનું અંતર્ગોળ સરેરાશ વાર્ષિક 28.8 મિમીના દરે જોવા મળ્યું છે. કેટલાક વિસ્તારોમાં તેની સ્પીડ વાર્ષિક 93 મિમી હોય છે. જે વિસ્તારોમાં સૌથી વધુ ખતરો છે તેમાં ભાયખલા, કોલાબા, ચર્ચગેટ, કાલબા દેવી, કુર્લા, અંધેરી પૂર્વ, મુલુંડ, નાહુર પૂર્વ, દાદર, વડાલા અને તાડદેવ, ભાંડુપ, ટ્રોમ્બે અને ગોવંડીના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે. જો કે, આ સંશોધનની કોઈ સમાનાંતર સમીક્ષા કરવામાં આવી નથી. આ રિસર્ચના મુખ્ય લેખક સુધા રાનીનું કહેવું છે કે, ઊંચા ઉત્સર્જનની સ્થિતિમાં દરિયાની સપાટીમાં 1થી 1.2 મીટરનો વધારો થવાનો અંદાજ છે. આવી સ્થિતિમાં સામાન્ય વરસાદમાં પણ મુંબઈનો 38 ટકા ભાગ પાણીમાં ગરકાવ થઈ શકે છે. આ એક ગંભીર મુદ્દો છે જેને તાત્કાલિક ઉકેલવાની જરૂર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર