Home /News /national-international /મિલ્ખા સિંહને પાક. સરમુખત્યારે આપ્યો હતો ફ્લાઇંગ શીખનો ખિતાબ, ભાગલાનું દુઃખ ભૂલીને લાહોરમાં દોડ્યા હતા
મિલ્ખા સિંહને પાક. સરમુખત્યારે આપ્યો હતો ફ્લાઇંગ શીખનો ખિતાબ, ભાગલાનું દુઃખ ભૂલીને લાહોરમાં દોડ્યા હતા
તસવીર: Instagram/JeevMilkhaSingh
Flying Sikh Milkha Singh death: 1960માં મિલ્ખા સિંહના પાકિસ્તાનના લાહોરમાં દોડવાનું નિમંત્રણ આવ્યું હતું. આ સાથે જ તેમને ભાગલાનું દુઃખ તાજું થઈ ગયું હતું. લાશો ભરેલી ટ્રેનો તેમની આંખોની નજર સામે જાણે કે દોડવા લાગી હતી.
નવી દિલ્હી: ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહ (Milkha Singh) એક મહિના સુધી કોરોના સામે ઝંગ લડ્યા હતા. આખરે તેમણે દુનિયાને અલવિદા કરી દીધી છે. પદ્મશ્રી એવોર્ડ (Padma Shri award)થી સન્માનિત મિલ્ખા સિંહ 91 વર્ષના હતા. તેમના પરિવારમાં તેમનો ગોલ્ફર પુત્ર જીવ મિલ્ખા (Jeev Milkha) અને ત્રણ દીકરી છે. મિલ્ખા સિંહે શુક્રવારે રાત્રે 11:30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. આ પહેલા તેમના પત્ની અને ભારતીય વૉલીબૉલ ટીમના પૂર્વ કેપ્ટન નિર્મલ કૌર (Nirmal Kaur)નું કોરોનાથી નિધન થયું હતું. ત્રણ વખત ઓલિમ્પિયન અને ચાર વખત એશિયન ગોલ્ડ મેડાલિસ્ટ રહી ચૂકેલા મિલ્ખા સિંહની ઝડપ આપી દુનિયાએ જોઈ છે.
1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા જોઈ ચૂકેલા મિલ્ખાએ આ અંગેનું દુઃખ પણ સહન કર્યું હતું. જોકે, તેઓ ક્યારેય હિંમત હાર્યાં ન હતા. આ તેમની હિંમત અને કંઈક કરી છૂટવાની ભાવના જ હતી કે ભાગલાનું દુઃખ ભૂલાવીને પણ તેઓ પાકિસ્તાન ગયા હતા અને ત્યાંના ખેલાડીને હાર આપી હતી. જે બાદમાં પાકિસ્તાનના સરમુખત્યાર કહેવાતા જનરલ અયૂબ ખાન પણ તેના દિવાના થઈ ગયા હતા અને તેમને ફ્લાઇંગ શીખની ઉપાધિ આપી હતી.
પહેલા નિમંત્રણ ઠુકરાવી દીધું હતું
1960માં મિલ્ખા સિંહના પાકિસ્તાનના લાહોરમાં દોડવાનું નિમંત્રણ આવ્યું હતું. આ સાથે જ તેમને ભાગલાનું દુઃખ તાજું થઈ ગયું હતું. લાશો ભરેલી ટ્રેનો તેમની આંખોની નજર સામે જાણે કે દોડવા લાગી હતી. જેના પગલે તેમણે લાહોરમાં દોડવાનો ઇન્કાર કરી દીધો હતો. જોકે, તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ તેમને સમજાવ્યા હતા અને લાહોર જવા માટે રાજી કર્યાં હતાં.
જે બાદમાં મિલ્ખા સિંહે ફરીથી પાકિસ્તાનની જમીન પર પગ મૂક્યો હતો અને રેસ માટે ખુદને તૈયાર કર્યાં હતાં. તેમનો મુકાબલો સ્ટાર ખેલાડી અબ્દુલ ખાલિદ સાથે હતો. ભારતીય સ્ટાર મિલ્ખા સિંહેએ રેસમાં પાકિસ્તાનના ખેલાડીને તેની જ ધરતી પર હાર આપી હતી. જે બાદમાં પાકિસ્તાનના તત્કાલિન જનરલ અયૂબ ખાન મિલ્ખા સિંહના કાયલ થઈ ગયા હતા અને મેડલ પહેરાવતી વખતે તેમને ફ્લાઇંગ શીખનો ખિતાબ આપ્યો હતો.
ચાર વખત એશિયન ગેમ્સમાં સુવર્ણ પદક વિજેતા મિલ્ખાએ 1958માં કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 1960માં રોમ ઓલિમ્પિક દરમિયાન રહ્યું હતું. તેઓ 400 મીટર ફાઇલનમાં ચોથા સ્થાન પર રહ્યા હતા. તેમણે 1956 અને 1964માં ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમને 1959માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર