નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)નું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે દિલ્હી હાઇકોર્ટે (Delhi High Court) મહત્તવપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે માસ્ક (Mask)ને સુરક્ષા કવચ ગણાવતા કહ્યુ કે, જો કોઈ વ્યક્તિ એકલો જ કાર ડ્રાઇવ (Drive car) કરે છે તો પણ તેણે માસ્ક પહેરવું જરૂરી છે. આ સાથે જ કોર્ટે કારના "જાહેર જગ્યા" કહી છે. હાઇકોર્ટે કહ્યુ કે, માસ્ક સુરક્ષા કવચની જેમ કામ કરે છે, જે કોવિડ-19નું સંક્રમણ રોકવા માટે મદદ કરે છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં કોરોના વાયરસના વધી રહેલા કેસનો ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે નાઇટ કર્ફ્યૂ (Night curfew) લગાવવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત રાત્રે 10 વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ રહેશે.
દિલ્હી હાઇકોર્ટે આ આદેશ એકલા વાહન ચલાવતી વખતે માસ્ક નહીં પહેરવાના દંડને પડકારતી અરજીના સંદર્ભમાં આપ્યો હતો. કોર્ટે આ અરજી ફગાવતા કહ્યું હતુ કે, કોરોના વાયરસ મહામારી વખતે માસ્ક એક સુરક્ષા કવચ છે. જજ પ્રતિભા એમ સિંઘે આ અંગે એકલા ડ્રાઇવ કરતા લોકોને દંડવા કે નહીં તે બાબતે દાખલ થયેલી અરજીના સંદર્ભે આવો નિર્ણય સંભળાવ્યો હતો.
"જો તમે કારમાં એકલા છો તો માસ્ક પહેરવામાં વાંધો શું છે? આ તમારી સુરક્ષા માટે છે. કોરોના મહામારી વધારે વકરી છે. કોઈ વ્યક્તિએ રસી લીધી હોય કે ન લીધી હતો, તેણે માસ્ક પહેરવું જોઈએ. સામાન્ય રીતે કાર જ્યારે ટ્રાફિક સિગ્નલ પર ઊભી રહે છે ત્યારે ડ્રાઇવર કારનો ગ્લાસ નીચે ઉતારતો હોય છે. કોરોના વાયરસ એટલો ચેપી છે કે તે આ સમયે પણ લાગી શકે છે. કોઈ પણ તેનાથી સંક્રમિત થઈ શકે છે," તેમ કોર્ટે નિર્ણય સંભળાવતા કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે રાજધાની દિલ્હીમાં માસ્ક નહીં પહેરવા પર બે હજાર રૂપિયાનો દંડ છે. સાથે જ એવા સમાચારો પણ આવ્યા હતા કે એકલા કારમાં જઈ રહેલા લોકોને પોલીસે અટકાવતા બબાલ થઈ હતી. હવે દિલ્હી હાઇકોર્ટના આદેશ બાદ સ્થિતિ એકદમ સ્પષ્ટ થઈ ગઈ છે. આ ઉપરાંત કોર્ટે વૃદ્ધ વ્યક્તિઓને ઘરની અંદર પણ માસ્ક પહેરી રાખવા માટે પ્રોત્સાહિત કરવાની વાત કરી છે. આના પાછળ કોર્ટનું માનવું છે કે ઘરના અન્ય લોકો કામ અર્થે બહાર જતા હોય છે. તેમનાથી વૃદ્ધ વ્યક્તિઓને ચેપ ન લાગે તે માટે તેઓ માસ્ક પહેરી રાખે તો રક્ષણ મળી શકે છે.
મધ્ય પ્રદેશમાં લૉકડાઉનની શક્યતા
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ભોપાલમાં 24 કલાકના સ્વાસ્થ્ય આગ્રહ પર છે. તેઓ બુધવારે 12 વાગ્યા સુધી સ્વાસ્થ્ય આગ્રહ પર રહેશે. દિવસની શરૂઆત તેઓઓ યોગા સાથે કરી હતી. જે બાદમાં ધર્મગુરુઓ સાથે ચર્ચા કર્યા બાદ તેમના અભિપ્રાય લીધા હતા. શિવરાજસિંહ ચૌહાણે કહ્યુ કે, મધ્ય પ્રદેશમાં સ્થિતિને જોતા લાગે છે કે લોકોએ પોતાના વ્યવહારમાં પરિવર્તન લાવવું જ પડશે. માસ્ક ન પહેરવું એ સામાજિક ગુનો છે. તેમણે કહ્યું કે, લૉકડાઉન પર પણ વિચાર ચાલી રહ્યો છે. સરકાર પોતાના સ્તર પર તમામ પ્રયાસ કરશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર