મુંબઈ : મહારાષ્ટ્રમાં (Maharashtra)થયેલા રાજનીતિક ડ્રામામાં આજે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court)સુનાવણી થઇ હતી. ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)અને તેમના સમર્થક જૂથ દ્વારા બે અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાને મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષને સૂચિત કરવા માટે કહ્યું છે કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ દ્વારા અરજી પર નિર્ણય લેવામાં ના આવે ત્યાં સુધી 16 ધારાસભ્યોની અયોગ્યતાના મામલા પર કોઇ નિર્ણય ના લે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલામાં એક બેન્ચના ગઠનની આવશ્યકતા રહેશે અને મામલાને સુચિબદ્ધ થવામાં કેટલોક સમય લાગશે. આ મામલો કાલે સુચિબદ્ધ કરવામાં આવશે નહીં. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળા શિવસેના જૂથ માટે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય એક મોટી રાહત માનવામાં આવે છે.
સૌથી મોટો મુદ્દો 16 બળવાખોર ધારાસભ્યોની અયોગ્યતાને લઇને ચાલી રહ્યો છે. જ્યારથી એકનાથ શિંદે જૂથે પોતાના સમર્થક ધારાસભ્યો સાથે મળીને ઉદ્ધવ ઠાકરે સરકાર પાડી છે તેમના પર અયોગ્યતાની તલવાર લટકી રહી છે.
પ્રથમ સુનાવણી દરમિયાન બળવાખોર ધારાસભ્યોને 11 જુલાઇ સુધીનો વધારાનો સમય મળી ગયો હતો. તેમના પર કોઇ એક્શન લેવામાં આવ્યા ન હતા.
અત્યાર સુધી મહારાષ્ટ્રની નવી સરકારે મંત્રાલયની વહેંચણી પણ કરી નથી. એવા રિપોર્ટ છે કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ તરફથી કોઇ સ્પષ્ટ નિર્ણય ના આવે ત્યાં સુધી શિંદે સરકાર તેના પર કોઇ નિર્ણય લેશે નહીં. આવામાં બધાની નજર સુપ્રીમ કોર્ટ તરફ છે. જો નિર્ણય એકનાથ શિંદેના પક્ષમાં આવશે તો તેમના માટે મોટી રાહત રહેશે.
મહારાષ્ટ્રની રાજનીતિ ઘટનાક્રમની ટાઇમલાઇન
20 જૂન - મહારાષ્ટ્ર વિધાનસભા પરિષદની ચૂંટણી યોજાઇ હતી. જેમાં મહાવિકાસ અઘાડી સરકારમાં ક્રોસ વોટિંગ થયું હતું, ભાજપાના પાંચેય ઉમેદવારો જીતી ગયા હતા.
21 જૂન - રાત્રે શિવસેવાના બળવાખોર ધારાસભ્યો એકનાથ શિંદેની આગેવાનીમાં સુરત હોટલમાં પહોંચ્યા હતા.