ઓમિક્રોન અને ડેલ્ટાના રિકોમ્બિનન્ટ વાયરસ ફેલાઈ રહ્યા છે
Coronavirus in the World: નિષ્ણાતોને આશંકા છે કે આ કોરોનાની આગામી લહેર છે, જેની અસર દેખાવા લાગી છે. ભારત તરફથી સારા સમાચાર એ છે કે અહીં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. લોકોને માસ્ક લગાવવાના નિયમોનું પાલન કરવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા અને સમયાંતરે હાથ સાફ કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે.
શું વિશ્વમાં કોરોનાવાયરસ રોગચાળાની આગામી લહેર (Coronavirus Pandemic) શરૂ થઈ છે? ચીન અને યુરોપમાંથી આવી રહેલા સમાચારો આ તરફ ઈશારો કરી રહ્યા છે. ખરેખર, ચીનમાં બે વર્ષ બાદ કોરોનાના રેકોર્ડ કેસ (Covid Record cases in China) સામે આવ્યા છે. આ પછી, ત્યાંના બે મોટા શહેરોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ છે. અહીં યુરોપિયન દેશોમાંથી સમાચાર છે કે ફરી એકવાર કોરોના જેવા લક્ષણો સાથે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે.
યુકે, આયર્લેન્ડ, નેધરલેન્ડ, સ્વિટ્ઝર્લૅન્ડ અને ઇટાલી જેવા દેશોમાં છેલ્લા અઠવાડિયામાં નોંધાયેલા કોવિડ -19 કેસ અને હોસ્પિટલમાં દાખલ થવામાં વધારો જોવા મળ્યો છે. સ્ક્રિપ્સ રિસર્ચ ટ્રાન્સલેશનલ ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક, MD, એરિક ટોપોલે ટ્વિટ કર્યું: "યુરોપમાં આગમી લહેર શરૂ થઈ ગઈ છે." નવા દર્દીઓના આંકડા આ દિશામાં નિર્દેશ કરે છે. યુરોપના વિવિધ દેશોએ લગભગ એક મહિના પછી નિયમો હળવા કર્યા હતા અને હવે ફરીથી કેસ વધવા લાગ્યા છે. અમેરિકામાં પણ એવું જ થયું છે. હવે સવાલ ઉઠી રહ્યો છે કે શું છૂટછાટ આપવામાં ઉતાવળ ભારે પડી ?
ચીનમાં એક પછી એક શહેરોમાં લોકડાઉન
ચીનમાં રવિવારે 3,400 કોરોના કેસ સામે આવ્યા બાદ સ્થિતિ ભયાનક બની ગઈ છે. જેના કારણે વાયરસના હોટસ્પોટના સ્થળો પર લોકડાઉન લાદવાની સ્થિતિ આવી છે. સમગ્ર વિશ્વમાં કોરોના ફેલાવનારુ ચીન આજે પોતે કોરોનાના પ્રકોપનો સામનો કરી રહ્યું છે.
અહેવાલો અનુસાર, ચીને શેનઝેન પ્રાંતના 17 મિલિયન લોકોને લોકડાઉનમાં કેદ કર્યા છે. ચીન, જેણે ફેબ્રુઆરીમાં 87% વસ્તીને પ્રથમ ડોઝ અને 40% વસ્તીને બીજો ડોઝ આપવાનો દાવો કર્યો હતો, તે પ્રથમ વખત એક દિવસમાં 1,000 થી વધુ કેસ નોંધે છે.
ભારતમાં કોરોનાની સ્થિતિ
સોમવારે (14 માર્ચ, 2022) ભારતમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2,503 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 27 લોકોના મોત થયા હતા. આ રીતે દેશમાં કોરોનાથી મૃત્યુઆંક વધીને 5,15,877 થઈ ગયો છે. સક્રિય કેસોની સંખ્યા 36,168 છે.
દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેરથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. વિશ્વમાં કોરોના વાયરસના સંક્રમણની ત્રીજી લહેરની અસર હવે ઓછી થઈ ગઈ છે, પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના નવા અભ્યાસમાં સામે આવ્યું છે કે ઓમિક્રોન પછી એક નવું વેરિઅન્ટ સામે આવી રહ્યું છે. સંસ્થાનો દાવો છે કે તે ડેલ્ટા અને ઓમિક્રોન વેરિઅન્ટનું મિશ્રણ છે. ઓમિક્રોન અને ડેલ્ટા મળીને એક નવો વાયરસ બનાવી રહ્યા છે. સંસ્થાએ આ અભ્યાસ વિશે કહ્યું કે આ નવા કોમ્બિનેશન વાયરસ વિશે પહેલાથી જ આશંકા હતી, કારણ કે તે બંને ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યા હતા.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું કહેવું છે કે ઓમિક્રોન અને ડેલ્ટાના રિકોમ્બિનન્ટ વાયરસ ફેલાઈ રહ્યા છે. સંસ્થાના વૈજ્ઞાનિક મારિયા વાન કારખોવે ટ્વીટ કર્યું છે કે SARSCov2 ના ઓમિક્રોન અને ડેલ્ટા વેરિઅન્ટ્સ એકસાથે ફેલાઈ શકે છે. તેમનો ફેલાવો ઝડપથી થઈ શકે છે.
આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ડેનમાર્ક અને નેધરલેન્ડ્સમાં પણ સમાન જીનોમ અને પ્રોફાઇલના વાયરસ મળી આવ્યા છે. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે આ મામલાની હજુ તપાસ ચાલી રહી છે. આ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે એ વાતની તપાસ કરવાની જરૂર છે કે શું નવા કોમ્બિનેશનવાળા તમામ વાયરસ એક જ મ્યુટેશનથી આવ્યા છે કે પછી આવા રિકોમ્બિનેશનના ઘણા કિસ્સા સામે આવ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર