દિલ્હી: ગુજરાત (Gujarat)માં હાલમાં જ થયેલા લઠ્ઠાકાંડની આગ હજુ શમી નથી, ત્યાં બિહાર (Bihar)માં પણ આવો જ એક ભયાનક લઠ્ઠાકાંડ સામે આવ્યો છે. બિહારના સારણમાં ઝેરી દારૂ પીવાથી 6 લોકોના મોત (saran many people died due to drinking spurious liquor) થયા છે. આ ઘટના મકેર વિસ્તારના ફુલવરિયા પંચાયતની છે. નોનિયા ટોલી અને ભેલ્દી પોલીસ સ્ટેશન વિસ્તારના સોનહો ભાથામાં શંકાસ્પદ ઝેરી દારૂ પીવાથી 6 લોકોના મૃત્યુ થયા છે. એટલું જ નહીં, અનેક લોકોને આંખોની રોશની પણ ચાલી ગઇ છે. 2 ઓગસ્ટે પણ પાનાપુરમાં શંકાસ્પદ દારૂ પીવાથી 2 લોકોના મોત થયા હતા. માત્ર 3 જ દિવસમાં ઝેરી દારૂથી સારણમાં 6 લોકો મોતને ભેટ્યા છે. આપને જણાવી દઇએ કે ગુજરાત અને બિહાર બંને રાજ્યમાં સંપૂર્ણ દારૂબંધી છે.
શું છે સમગ્ર મામલો?
બુધવારે કોઇ વ્યક્તિની ઘરે પૂજા હતી અને તેમાં અમુક લોકોએ દારૂ પીધો હતો. ત્યાર બાદ અમુક લોકોએ ગુરૂવારે સવારે ઝેરી દારૂનું સેવન કર્યુ હતું. ઝેરી દારૂ પીનારા 18-20 પીડિતોને પટનાની PMHCમાં સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યારે 6 લોકોની સારવાર છપરા સદર હોસ્પિટલમાં ચાલી રહી છે. મોતનો આ આંકડો વધી શકે તેવી પણ આશંકા છે.
ઝેરી દારૂના સેવનથી 6 લોકોના મોતના સમાચાર મળતા જ સારણ જીલ્લા અધિકારી અને પોલીસ અધિક્ષક સદર હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને પીડિતોની મુલાકાત લીધી હતી. અધિકારીઓએ ગામમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સારલણના સોનહો ભાથા ગામમાં શંકાસ્પદ ઝેરી દારૂ પીવાથી ગુરૂવારે એક વૃદ્ધ સહિત 3 વ્યક્તિઓના મોત થયા હતા, જ્યારે બે ડઝન લોકોની આંખો ચાલી ગઇ હતી.
મૃતકોમાં ચંદન મહતો અને કમલ મહતોનું નામ પણ સામેલ છે. આ બનાવને પગલે મઢૌરાના એસડીઓ, સોનપુરના એએસપી, મઢૌરા ડીએસપી સહિત આસપાસના પોલીસ સ્ટેશનની પોલીસ અને બ્લોક લેવલ અધિકારીઓની ટીમ ગામમાં દોડી આવી હતી.
ગુજરાતમાં લઠ્ઠાકાંડે લીધો 57નો ભોગ
બોટાદ અને અમદવાદ જીલ્લાના ગામોમાં થયેલા લઠ્ઠાકાંડે હાહાકાર મચાવ્યો હતો. અમદાવાદ- બોટાદ જિલ્લાના ગામોમાં ઝેરી દારૂ પીવાથી થયેલા મૃત્યુનો આંક સતત વધતા કુલ 57 લોકોએ જીવ ગુમાવ્યો છે, જેમાં 2 મહિલાઓ પણ સામેલ છે. આ ઘટનાની તપાસ માટે સરકારે SITની રચના કરી છે. અત્યાર સુધીમાં કુલ 14 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઇ છે, જેમાંથી 7ની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાતમાં અગાઉ પણ થયા છે લઠ્ઠાકાંડ
આ પહેલી વખત નથી જ્યારે ગુજરાતમાં દારૂબંધી હોવા છતા આવો લઠ્ઠાકાંડ થયો હોય. વર્ષ 2009માં અમદાવાદમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ કંટોડિયા વાસના એક અડ્ડા પરથી દારૂ પીધા બાદ 200 જેટલા દર્દીઓએ દ્રષ્ટિ ગુમાવી હતી. એ વખતે કેમિકલયુક્ત દેશી દારૂથી બાપુનગર, ઓઢવ, કાંકરિયા વિસ્તારમાંથી 140થી વધુ લોકોના મોત થયા હતા.
2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં બે ઘટનાઓ ઘટી હતી. રૂપાણીએ પદભાર સંભાળ્યો તેના થોડા જ સમયમાં સુરતમાં લઠ્ઠાકાંડ થયો હતો. જેમાં 20થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર