નવી દિલ્હી. ભારત અને ચીનની વચ્ચે લગભગ સવા વર્ષથી ચાલી રહેલો વિવાદ (India-China Border Dispute) હજુ અટક્યો નથી. હવે ‘બ્લૂમબર્ગ’ના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતે ચીનની સરહદ (LAC) પાસેના વિસ્તારોમાં લગભગ 50 હજાર સૈનિકોની (50 Thousand Troops) તૈનાતી કરી છે. તેને ડ્રેગનની વિરુદ્ધ ભારતના સૌથી આકરા વલણ તરીકે જોવામાં આવી રહ્યું છે.
આ મામલા પર સતત નજર રાખનારા ચાર લોકોના હવાલાથી બ્લૂમબર્ગ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતે ગત કેટલાક મહિનાઓ દરમિયાન આ તૈનાતી કરી છે. તેમાં સૈનિકો ઉપરાંત ફાઇટર જેટ્સ (Fighter Jets)ની તૈનાતી પણ સામેલ છે. મળતી જાણકારી મુજબ, હાલ ચીન સરહદ પર લગભગ 2 લાખથી વધુ સૈનિકોની તૈનાતી છે જે ગયા વર્ષની તુલનામાં 40 ટકા વધુ છે. જોકે, રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ અહેવાલ પર વડાપ્રધાન કાર્યાલય (PMO) અને સેના (Indian Army)ના પ્રવક્તા તરફથી કોઈ જવાબ નથી આપવામાં આવ્યા.
કહેવામાં આવી રહ્યું છે કે આ પહેલા વિસ્તારમાં ભારતીય સેનાની ઉપસ્થિતિ ચીનને રોકવાના ઈરાદાથી હતી પરંતુ હવે ભારતીય કમાન્ડરોની પાસે જરૂર પડતાં આક્રમણ કરવા અને ચીની ક્ષેત્ર પર કબજો કરવાનો પણ વિકલ્પ હશે. તેને સૈન્ય રણનીતિની ભાષામાં ‘ઓફેન્સિવ-ડિફેન્સિવ’ કહેવામાં આવે છે.
રિપોર્ટ મુજબ, અત્યાર સુધી એ વાત સ્પષ્ટ નથી કે ચીને પોતાના તરફથી કેટલા સૈનિકોની તૈનાતી કરી છે. પરંતુ ચીન સરહદ પર સતત આક્રમક ભૂમિકા પ્રદર્શિત કરી રહ્યું છે. ગયા વર્ષે ગલવાન ઘાટીની ઘટના બાદથી ભારત તરફથી ચીનની દરેક ચાલનો જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. ભારતે પોતાના સૈનિકોની શહાદત બાદ ખૂબ જ આકરું વલણ અપનાવી દીધું હતું. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ કહ્યું હતું કે સરહદો પર અશાંતિની સાથે બંને દેશોની વચ્ચે સંબંધ સામાન્ય ન રહી શકે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર