એક તરફ આખું વિશ્વ કોરોના વાયરસની ત્રીજી લહેરની રાહ જોઈ રહ્યું છે, બીજી તરફ ચીનમાં પર્યટનને પ્રોત્સાહન આપવા અવનવા પ્રયોગો થઈ રહ્યા છે. થોડા સમયથી જ ચીનમાં રેડ ટુરિઝમને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. રેડ ટુરીઝમ હેઠળ જે જગ્યાનો કોમ્યુનિસ્ટ પાર્ટીના ઇતિહાસ સાથે સંબંધ હોય તે સ્થળોએ પ્રવાસન ઉપર ભાર આપવામાં આવી રહ્યો છે. આવી જગ્યાઓને રેડ સાઇટ કહેવામાં આવે છે. લોકોમાં દેશભક્તિ અને વફાદારી વધે તેવા હેતુથી આવા સ્થળોએ મુસાફરોને બોલાવવામાં આવે છે.
ઇતિહાસની જાણકારી અપાય છે
આમ તો ચીનમાં રેડ ટુરીઝમનો પ્રારંભ વર્ષ 2004માં શરૂ થયો હતો. પરંતુ અત્યારે કોરોના કાળમાં જ્યારે વિશ્વના મોટાભાગના દેશોએ પોતાના સીમાડા બંધ કરી દીધા છે, ત્યારે ચીન સ્થાનિક સ્તરે લોકોને રેડ સાઇટએ હરવા-ફરવા માટે પ્રમોટ કરી રહ્યું છે. જેના હેઠળ આવક વધારવાની સાથે ચીનની યુવાપેઢીને ચીનના ઇતિહાસની જાણકારી આપવાનો હેતુ પણ છે.
ચીનના પૂર્વીય ભાગમાં નાન્હુ તળાવ એક એવી જગ્યા છે, જ્યાં 1921માં ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીની સૌપ્રથમ બેઠક એક બોટમાં થઈ હતી. પાર્ટીના સૌથી મોટા નેતા અને આધુનિક ચીનના જનક માનવામાં આવતા માઓ જેદાંગનું જન્મસ્થળ પણ રેડ સ્પોટ બનાવી દેવાયું છે.
બાળકો અને યુવાનોને ચીનનો ઇતિહાસ બતાવી તેની સાથે જોડી શકાય તે માટે ખાસ નાટક અને ગીતોની રચના કરવામાં આવે છે. શાળાઓ તેમના વિદ્યાર્થીઓને લઈને અહીં આવે છે. રેડ સ્પોટ પરની વિઝીટ તેમના અભ્યાસક્રમનો એક ભાગ પણ છે.
કેમ અપાઈ રહ્યું છે પ્રોત્સાહન?
લાલ રંગ કોમ્યુનિસ્ટ પાર્ટીનું પ્રતીક માનવામાં આવે છે. જેથી તેને રેડ ટુરીઝમ કહેવાય છે. પરંતુ ચીનને કેમ આ પ્રકારના પર્યટન વિકાસનો વિચાર આવ્યો? શું તેની પાછળ ચીનની કોઈ આકાંક્ષા છે? આ સવાલના જવાબ મેળવવા માટે વર્તમાન પાર્ટી પ્રમુખ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના કામ અંગે જાણવું જોઈએ. અત્યારે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ ચીનાઓના મનમાં દેશ પ્રત્યે વફાદારી વધે તે માટેના અવનવી રીતો શોધી રહ્યા છે.
પર્યટનની આ રીત ધ્યાનકેન્દ્રીત
વર્ષ 2016માં રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું હતું કે, આ પ્રકારની જગ્યાઓએ હરવા-ફરવાથી ચીની જનતામાં ધાર્મિક અને આધ્યાત્મિક રીતે પોતાના દેશ સાથે મજબૂત જોડાણ થશે. જિનપિંગના જણાવ્યા અનુસાર, રેડ સ્પોટની મુલાકાત લઈને અને કમ્યુનિસ્ટ પાર્ટીના બલિદાન જોઈને લોકો વાસ્તવિક અર્થમાં શિક્ષણ મેળવી શકશે. પાર્ટીના સામયિકમાં પણ રેડ ટુરિઝમ વધારવા પર સતત ભાર મૂકવામાં આવી રહ્યો છે.
પ્રવાસનથી આવક વધી
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, મહામારી દરમિયાન આ સ્થળોએ સ્થાનિક લોકો હરવા-ફરવા આવતા આવક વધી રહી છે. નવી પેઢીને આકર્ષવા માટે આ સ્થળોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રવાસન પાછળનો હેતુ સિદ્ધ પણ થઈ રહ્યો છે. અહીંયા 21થી 30 વર્ષના યુવાનો વધુને વધુ વિઝીટ કરી રહ્યા છે. અલીબાબાના એક અભ્યાસ મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં વર્ષ 2000 બાદ જન્મેલા લોકોની રેડ સ્પોટ્સની મુલાકાત વર્ષે 620 ટકા વધી છે.
છેલ્લા ચાર જ વર્ષમાં ચીનની સરકારે આ સ્થળોએ પર્યટનને પ્રમોટ કરવા માટે મસમોટી રકમ ખર્ચી નાખી છે. 370 મિલિયન ડોલર જેટલો ખર્ચો કર્યો હોવાનો અંદાજ છે. આ ઉપરાંત ચીનના ખરબપતિ પણ આગામી સમયમાં આ સ્થળોએ પૈસા રોકવા જઈ રહ્યા છે. રેડ ટુરિઝમને પ્રોત્સાહન આપવાના પરિણામો પણ મળી રહ્યા છે. વર્ષ 2019માં અહીં તો 73 મિલિયન મુલાકાતીઓ આવ્યા હતા. જેમાં મોટાભાગના ચીની નાગરિક હતા. તેનાથી સરકારને એક વર્ષમાં લગભગ 61 મિલિયન ડોલરનો ફાયદો થયો હતો.
રેડ ટુરિઝમના મુદ્દે નિંદા
જિનપિંગ સરકાર એક તરફ રેડ ટુરિઝમને પ્રમોટ કરી છે, તો બીજી તરફ આ પ્રયાસની નિંદા પણ થઈ રહી છે. ટીકાકારો માને છે કે, સરકાર ફક્ત એકતરફી વાર્તાઓ કહીને કાચી ઉંમરના ચાઇનીઝ બાળકો અને યુવાનોમાં ગેરસમજો પેદા કરી રહી છે. રેડ ટુરિઝમનો ઉદ્દેશ માત્ર ચીન માટે દેશભક્તિ જગાડવાનો છે, પરંતુ અન્ય દેશો માટે નફરત પણ ભડકાવવામાં આવે છે. આ સાથે લોકોના મનમાં ઇતિહાસની ખોટી જાણકારી ઠાલવી દેવાય છે.
કોર્સમાં દેશભક્તિના પાઠ
ચીનમાં વફાદારી શીખવાડવાની વાત નવી નથી. જેથી ટીકાકારોના આક્ષેપોને નજર અંદાજ પણ કરી શકાય નહીં. ઉલ્લેખનીય છે કે, ચીનમાં વર્તમાન રાષ્ટ્રપતિ જિનપિંગના નામે પણ શાળા-કોલેજમાં અભ્યાસક્રમ શરૂ થઈ ચૂક્યા છે. શી થોટના નામથી આ કોર્સમાં જિનપિંગના ભરપૂર વખાણ કરવામાં આવ્યા છે. આ સાથે જ જુના નેતાઓનો મહિમા પણ ગવાયો છે. પ્લે હાઉસથી લઈને યુનિવર્સિટી સુધી આવા નાટકો અને કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં ચીનના કમ્યુનિસ્ટ પાર્ટી અને માઓ ઝેદાંગના વખાણ થાય છે. વર્ષના ત્રણ અઠવાડિયા સુધી દરેક જગ્યાએ દેશભક્તિના કાર્યક્રમો યોજવામાં આવે છે. તે દરેક શાળા અને કોલેજમાં શિક્ષણનો આવશ્યક ભાગ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર