તિરુવનંતપુરમ. કેરળના (Kerala) કોઝિકોડમાં (Kozhikode) એક 12 વર્ષીય બાળકનું નિપાહ વાયરસ સંક્રમણના (Nipah Virus Outbreak) કારણે રવિવારે મોત થયા બાદ આઠ લોકો અને રામબૂટન ફળના (Rambutan Fruits) સેમ્પલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પુણે (NIV Pune) ખાતે તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ આઠ લોકોમાં હળવા લક્ષણ જોવા મળ્યા છે. બીજી તરફ, કેન્દ્ર સરકાર તરફથી મોકલવામાં આવેલી ટીમે સોમવારે પીડિત પરિવાર સાથે મુલાકાત કરી અને રામબટૂન ફળના સેમ્પલ પણ લીધા. પીડિત પરિવારને શંકા છે કે ફળ ખાધા બાદ બાળક નિપાહ વાયરસનું શિકાર થયું.
બીજી તરફ, રાજ્ય સરકારે 188 લોકોને બાળકના પ્રાઇમરી કોન્ટેક્ટ તરીકે ચિન્હિત કર્યા છે અને આ લોકોને પર નજર રાખવામાં આવી રહી છે. ચથમમંગલમ અને નજીકના વિસ્તારોને સંપૂર્ણપણે કન્ટેનમેન્ટ ઝોન બનાવી દેવામાં આવ્યો છે. આ વિસ્તારમાં પીડિત બાળક સંક્રમિત થયું હતું. પીડિત પરિવારના ઘરના ત્રણ કિલોમીટરના દાયરાને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે.
કેરળની આરોગ્ય મંત્રી વીના જ્યોર્જે (Veena George) જણાવ્યું કે, રાજ્ય સરકારનું ફોકસ કોન્ટેક્ટ ટ્રેસિંગ અને સંક્રમણના પ્રાથમિક સ્ત્રોતને જાણવાનો છે. તેમણે કહ્યું કે, એ વાતની આશંકા છે કે નિપાહ વાયરસ સંક્રમિત 12 વર્ષીય બાળક અનેક અન્ય લોકોના પણ સંપર્કમાં આવ્યો હોઈ શકે છે. જ્યોર્જે જણાવ્યું કે, બાળકના સંપર્કમાં આવેલા 20 હાઇ રિસ્ક લોકોમાંથી 7 લોકોના સેમ્પલ ટેસ્ટિંગ માટે NIV Pune મોકલવામાં આવ્યા છે.
વીના જ્યોર્જે વધુમાં જણાવ્યું કે, સૌથી અગત્યનું કામ કોન્ટેક્ટ ટ્રેસિંગ છે. ફીલ્ડ કાર્યકર્તાઓને સ્પેશલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. સાથોસાથ સંક્રમણના પ્રાથમિક સ્ત્રોતની પણ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શું આ જ બાળકને સૌથી પહેલા સંક્રમણ થયું કે પછી સંક્રમણની શરૂઆત કેવી રીતે થઈ તે જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે. રવિવારે કુલ 188 લોકોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવ્યું છે. જોકે, આ પહેલા પણ વધુ લોકો થઈ શકે છે. અમે તમામની ઓળખ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ.
નોંધનીય છે કે, રાજ્યના કોઝિકોડ ( kozhikode) જિલ્લામાં નિપાહ વાયરસ ચેપનો (Nipah Virus Infection) કેસ સામે આવ્યો હતો. અહીં એક 12 વર્ષના બાળકનું મૃત્યુ આ વાયરસના ચેપને કારણે થયું છે. બાળકના મૃત્યુ પછી, વહીવટીતંત્ર તરત જ હરકતમાં આવ્યું અને બાળકના સંપર્કમાં આવેલા લોકોની તાત્કાલિક તપાસ કરવામાં આવી. આ માહિતી આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગે બાળકને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ લઈ જવાના રૂટ મેપને પ્રકાશિત કર્યો છે. સાથોસાથ સમય અને લોકેશનની પણ જાણકારી આપવામાં આવી છે. સરકારને રાજ્યની જનતાને અપીલ કરી છે કે નિપાહ વાયરસ સાથે જોડાયેલા કોઈ પણ પ્રકારના લક્ષણ જોવા મળે તો તાત્કાલિક આરોગ્ય વિભાગનો સંપર્ક કરો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર