જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે, પુરુષો અને મહિલાઓએ માનસિકતા બદલવાની જરૂર છે. (File Photo)
Karva Chauth Advertisement: ડાબરની જાહેરાતમાં બે મહિલાઓને કપલ તરીકે બતાવવામાં આવી છે જે આ તહેવાર મનાવી રહી છે. આ જાહેરાતને લઈને સોશ્યલ મીડિયા પર મધ્યપ્રદેશના એક નેતાએ નારાજગી વ્યક્ત કરી હતી, જેથી આ જાહેરાતને પાછી ખેંચી લેવામાં આવી.
નવી દિલ્હી. સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે (DY Chandrachud) સાર્વજનિક અસહિષ્ણુતા (Intolerance)ના કારણે લેસ્બિયન કપલને રજૂ કરતી કરવા ચોથની જાહેરાત (Karva Chauth Advertisement) હટાવવા અંગે નારાજગી દર્શાવી છે. તેમણે કહ્યું કે પુરુષો અને મહિલાઓએ માનસિકતા બદલવાની જરૂર છે.
ન્યાયાધીશ ચંદ્રચૂડ ભારતીય કંપની ‘ડાબર’ (Dabur Fem Controversial Ad)ની કરવાચોથ પર બનાવાયેલી જાહેરાતનો સંદર્ભ આપી રહ્યા હતા. કરવાચોથ ઉત્તર ભારતમાં પત્ની પોતાના પતિની સલામતી અને લાંબી ઉંમર માટે રાખે છે. ડાબરની જાહેરાતમાં બે મહિલાઓને કપલ તરીકે બતાવવામાં આવી છે જે આ તહેવાર મનાવી રહી છે. આ જાહેરાતને લઈને સોશ્યલ મીડિયા પર મધ્યપ્રદેશના એક નેતાએ નારાજગી વ્યક્ત કરી હતી અને અમુક લોકોએ પણ આ અંગે અણગમો દર્શાવ્યો હતો, જેથી આ જાહેરાતને પાછી ખેંચી લેવામાં આવી.
જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું, ‘બે દિવસ પહેલાં જ બધાંને ખબર પડી કે આ જાહેરાતને કંપનીએ પાછી ખેંચવી પડી. આ સમલૈંગિક કપલ માટે કરવાચોથની એડ હતી. જેને પ્રજાની અસહિષ્ણુતાના આધાર પર પરત ખેંચવામાં આવી.’
તેમણે 31 ઓક્ટોબરે વારાણસીમાં રાષ્ટ્રવ્યાપી કાનૂની જાગૃતિ કાર્યક્રમ 'કાનૂની જાગૃતિ દ્વારા મહિલા સશક્તિકરણ' કાર્યક્રમના ઉદ્ઘાટનના પ્રસંગે ડિજિટલ માધ્યમથી સંબોધન કરતા આ વાત કહી.
જાગરૂકતા અભિયાન નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે અને તેનું નેતૃત્વ સૌથી વરિષ્ઠ જજ યુયુ લલિત કરી રહ્યા છે. આ અભિયાનમાં રાષ્ટ્રીય મહિલા આયોગ અને ઉત્તર પ્રદેશ રાજ્ય લીગલ સર્વિસ ઓથોરિટી સહયોગ આપી રહ્યું છે. ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે કહ્યું કે મહિલાઓના અધિકારો પ્રત્યે જાગૃતિ ત્યારે જ સાર્થક થશે જ્યારે તે યુવા પેઢીના પુરૂષોમાં કેળવવામાં આવશે.
તેમણે કહ્યું, ‘જાગૃતિ ફક્ત મહિલાઓનો મુદ્દો નથી. મારું માનવું છે કે મહિલાઓને અધિકારોથી વંચિત રાખવાની સમસ્યાનું આપણે સમાધાન શોધવું છે તો તેના પેદા થવાના કેન્દ્રની માનસિકતા બદલવી પડશે. પુરુષ અને મહિલાઓ બંનેની. મહિલાઓની વાસ્તવિક સ્વતંત્રતા, વાસ્તવમાં વિરોધાભાસી છે.’
ન્યાયમૂર્તિએ એ પણ ઉમેર્યું કે, ‘સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ મહિલાઓ માટે સશસ્ત્ર દળોમાં જોડાવા માટેના દરવાજા ખોલી દીધા છે. પણ તેઓ આર્મ્ડ ફોર્સની સભ્ય કઈ રીતે બને? ત્યાં સુધી કઈ રીતે પહોંચે? તે ન્યાયિક અધિકારી કઈ રીતે બને? આ બધી બાબતો માટે મહિલાઓમાં કાયદાકીય જાગૃતિ લાવવાની જરૂર છે.’
આ કાર્યક્રમ વારાણસીમાં આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ વિક્રમ નાથ, ન્યાયમૂર્તિ કૃષ્ણ મુરારી, અલાહાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાજેશ બિંદલ પણ હાજર રહ્યા.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર