Home /News /national-international /જોશીમઠ દુર્ઘટના: જોશીમઠમાં જમીન ધસવાનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, સોમવારે થઈ શકે છે સુનાવણી
જોશીમઠ દુર્ઘટના: જોશીમઠમાં જમીન ધસવાનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, સોમવારે થઈ શકે છે સુનાવણી
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી
જોશીમઠમાં મોટી દુર્ઘટના થવાની સંભાવના છે. જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી આ મામલે સુપ્રીમ કોર્ટમાં ગયા છે.શંકરાચાર્યએ વધુમાં કહ્યું કે વિકાસ યોજનાઓના બાય પ્રોડક્ટના કારણે ઐતિહાસિક સાંસ્કૃતિક અને પ્રાચીન મઠનું અસ્તિત્વ સંકટમાં આવી ગયું છે.
નવી દિલ્હી. ઉત્તરાખંડના જોશીમઠમાં એક ભયાનક અકસ્માત થવાની સંભાવના છે. 600થી વધુ ઘરમાં તિરાડો પડી છે, જેને કારણે લોકો ભયભીતમાં છે. 50,000ની વસતિ ધરાવતા શહેરમાં દિવસ તો પસાર થઈ જાય છે, પરંતુ રાત વિતાવવી મુશ્કેલ બની ગઈ છે. ભૂગર્ભ જળ સતત લીકેજ થઈ રહ્યું છે. પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. કડકડતી ઠંડીમાં લોકો ઘરની બહાર રહેવા મજબૂર થયા છે. તેમને ડર છે કે ગમે ત્યારે મકાન તૂટી પડી શકે છે. દરમિયાન જોશીમઠના ભૂસ્ખલનનો મામલો શનિવારે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પોતાના વકીલ મારફતે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.
જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પોતાના વકીલ મારફતે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમણે સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે સરકારને અસરગ્રસ્ત લોકોનું પુનર્વસન કરવા અને તેમને આર્થિક મદદ આપવાનો આદેશ આપે.
શંકરાચાર્યએ વધુમાં કહ્યું કે વિકાસ યોજનાઓના બાય પ્રોડક્ટના કારણે ઐતિહાસિક સાંસ્કૃતિક અને પ્રાચીન મઠનું અસ્તિત્વ સંકટમાં આવી ગયું છે. અરજીમાં ભૂસ્ખલન અને જમીન ધસવા, જમીન ફાટવા જેવી ઘટનાઓનો સામનો કરવા આ વિસ્તારના લોકોના જાનમાલની સલામતી સુનિશ્ચિત કરવા માટે તેને રાષ્ટ્રીય આફત જાહેર કરવાની માગ કરવામાં આવી છે. અરજીમાં અસરગ્રસ્તોના પુનર્વસનની સાથે તેમને આર્થિક મદદ આપવાનો આદેશ આપવા પણ કોર્ટને અપીલ કરવામાં આવી છે.
આ લોકોને અરજીમાં પક્ષકાર બનાવવામાં આવ્યા
અરજીમાં કેન્દ્ર સરકાર, NDMA, ઉત્તરાખંડ સરકાર, NTPC, BRO અને જોશીમઠના ચમોલી જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત પીડિત લોકોનું પુનઃવસન કરવા અને તેમને આર્થિક મદદ કરવા આદેશ કરવા પણ અરજીમાં અપીલ કરવામાં આવી છે.
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે હિમાલયમાં વિકાસના નામે આયોજનબદ્ધ રીતે વિનાશ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે ભારતીય સંસ્કૃતિના મુખ્ય કેન્દ્ર જોશીમઠના હજારો લોકોના જીવ જોખમમાં મુકાયા છે. તેમણે કહ્યું કે ભૂસ્ખલનનાં કારણે બદ્રીનાથ મંદિર અને જ્યોતિષ પીઠ જોખમમાં છે. સરકારે લોકોની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. તેમણે કહ્યું કે નરસિંહ મંદિર ભગવાન બદ્રીનાથનું શીતકાલિન નિવાસસ્થાન છે. તે અને જ્યોતિષ પીઠ બંને જમીનમાં ધ્વસ્ત થઈ જવાનો ભય છે. ભારતીય સંસ્કૃતિમાં આ સ્થળોનું ઘણું મહત્વ છે.
સિંગધાર વોર્ડમાં શુક્રવારે સાંજે એક મંદિર ધરાશાયી થયું હતું. શુક્રવારે મોડી રાત સુધી 50 પરિવારને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે NTPC તપોવન-વિષ્ણુગઢ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ અને હેલાંગ બાયપાસનું કામ આગામી આદેશ સુધી અટકાવી દીધું છે. વહીવટીતંત્ર અને રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ સહિત નિષ્ણાતોની એક ટીમે જોશીમઠમાં અસરગ્રસ્ત વિસ્તારોનું ડોર ટુ ડોર સર્વે શરૂ કર્યો છે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર