પુંછ. સરહદ પારથી જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)માં ખૂનખરાબા કરવા માટે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ (ISI) અને પાકિસ્તાની સેના (Pakistan Army) નવી નવી યુક્તિઓ અપનાવતી રહી છે. પરંતુ જમ્મુ-કાશ્મીરમાં તૈનાત સેના અને સુરક્ષા દળો દરેક વખતે જડબાતોડ જવાબ આપતા આવ્યા છે. પુંછમાં અત્યાર સુધીનું સૌથી લાંબુ ઓપરેશન ચાલુ છે. છેલ્લા 30 દિવસથી આતંકવાદીઓ વિરુદ્ધ મોટા પાયે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, જે લગભગ 50 કિલોમીટરના જંગલ વિસ્તારમાં ચાલુ છે.
11 ઓક્ટોબરના પૂંછના ડેરાની ગલીમાં સવારે લગભગ પાંચ વાગ્યે સેનાની એક ટુકડી પર આતંકીઓએ હુમલો કર્યો હતો, જેમાં પાંચ જવાન શહીદ થયા હતા. તે પછી કેટલાય કલાકો સુધી આતંકવાદીઓ સાથેની અથડામણ ચાલી, પરંતુ આતંકવાદીઓ ગાઢ જંગલ અને હવામાનનો લાભ લઈને દૂર અન્ય જંગલ ભટ્ટાના વિસ્તારમાં છુપાઈ ગયા. સેના અને પોલીસની ટીમ આતંકીઓની પાછળ લાગેલી હતી અને 13 ઓક્ટોબરના અથડામણ શરૂ થઈ, જેમાં ભારતીય સેનાના વધુ ચાર જવાનો શહીદ થયા. એ વખતે આતંકીઓ ફરી ગીચ ઝાડીઓમાં છુપાઈ ગયા.
ત્યારથી આ આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચાલી રહ્યું છે, જેમાં સેના સાથે જમ્મુ-કાશ્મીર પોલીસનું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પણ સામેલ છે. જોકે, આતંકવાદીઓ કેટલા છે અને તેઓ ક્યાં છુપાયા છે તેની સંપૂર્ણ માહિતી નથી મળી શકી. સેનાના સૂત્રોનું કહેવું છે કે જંગલની અંદર કેટલીક પ્રાકૃતિક ગુફાઓ છે, જેમાં આતંકવાદીઓ છુપાયેલા હોઈ શકે છે.
આ આતંકવાદીઓને ખોરાક અને માહિતી સ્થાનિક લોકો આપતા હતા, જેઓ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના પે-રોલ પર હતા. જેમને ઓવર ગ્રાઉન્ડ વર્કર પણ કહી શકાય. અત્યાર સુધીમાં પોલીસે 26 લોકોની ધરપકડ કરી છે, જે આતંકવાદીઓને ખાવા-પીવાની વસ્તુઓ પહોંચાડતા હતા અને સુરક્ષા દળની દરેક હિલચાલની માહિતી આપતા હતા.
પુંછ જિલ્લાના મેંઢર સબ-ડિવિઝનના આવા ત્રણ ઓવર ગ્રાઉન્ડ વર્કર હતા, જેઓ અહીંથી ભાગીને નેપાળ ગયા હતા અને ત્યાંથી સાઉદી અરેબિયા અને પછી પાકિસ્તાન પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ પોલીસે કાઠમાડુ એરપોર્ટ પરથી તેમની ધરપકડ કરી હતી. આ તમામની પૂછપરછ ચાલી રહી છે.
કાલે રાત્રે ફરી 5 લોકોની પોલીસે મેંઢર, સુરનકોટ, રાજૌરીમાંથી ધરપકડ કરી હતી. અત્યાર સુધીમાં કુલ 26 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ ચાલુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ લોકોએ કબૂલ્યું છે કે તેઓને સરહદ પારથી સંદેશા મળતા હતા અને પછી તેઓ ઘૂસણખોરી કરીને અને ભારતમાં ઘૂસેલા આતંકવાદીઓને આગળના રસ્તાની માહિતી આપતા હતા. આ સાથે તેમના રહેવા અને ખાવાની વ્યવસ્થા પણ કરતા હતા. પુંછ અને રાજૌરીમાં એલઓસીથી આવા ઘણા વિસ્તારો છે, જ્યાંથી આ આતંકીઓ ઘૂસણખોરી કરે છે.
સૂત્રોનો એવો પણ દાવો છે કે પુંછમાં જે આતંકવાદીઓ જંગલમાં છુપાયેલા હતા, તે પણ બાલાકોટ સેક્ટરથી ઘૂસણખોરી કરીને પહોંચ્યા હતા. જો કે, તેમના ચાર સાથીઓ રાજૌરીના થન્નામંડી વિસ્તારમાં સેના દ્વારા માર્યા ગયા હતા અને કેટલાક સાથીઓ બચીને ભાગી ગયા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર