મુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra)ના જલગાંવમાં ગુરુવારે એક મુસાફરનો જીવ બચાવવા માટે અડધો કિલોમીટર સુધી ટ્રેન ઊંધી દોડાવવામાં આવી. મૂળે, દેવલાલી-ભૂસાવળ પેસેન્જર ટ્રેન (Passenger Train)થી એક મુસાફર નીચે પટકાઈ ગયો હતો. ત્યારબાદ તેને બચાવવા માટે ટ્રેનના ચાલકે આ નિર્ણય લીધો.
રેલવે અધિકારીઓ મુજબ આ ઘટના ગુરુવાર સવારે લગભગ 9:30 વાગ્યાની છે. પરધાડે અને માહેજી રેલવે સ્ટેશનની વચ્ચે આ ઘટના બની હતી. આ રેલવે સ્ટેશન જલગાંવની નજીક છે જે મુંબઈથી 425 કિલોમીટર દૂર છે.
મળતી જાણકારી મુજબ, રાહુલ પાટિલ નામનો મુસાફર માહેજી સ્ટેશન આવતાં પહેલા ટ્રેનમાંથી પડી ગયો. તેના મિત્રએ તાત્કાલિક ચેઇન ખેંચીને ટ્રેનને રોકી દીધી. ત્યારબાદ ટ્રેન ગાર્ડ આરબી પરાધે અને લોકો પાયલટ એ.કે. પાંડેએ ટ્રેનને ઉલટી દોડાવવાનો નિર્ણય લીધો. ઘાયલ મુસાફરને ઉઠાવવા માટે તેઓએ ટ્રેનને લગભગ અડધો કિલોમીટર સુધી ઊંધી દોડાવી.
ઘાયલ રાહુલ પાટિલને જલગાંવ સ્ટેશન પર જીઆરપીને સોંપવામાં આવ્યો, ત્યારબાદ તેને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
ગાર્ડ અને લોકો પાયલટ થશે સન્માનિત
સેન્ટ્રલ રેલવે (Central Railway)ના ભૂસાવળ મંડળના ડીઆરએમ વિવેક ગુપ્તાએ આ પગલા માટે ટ્રેનકર્મીઓના વખાણ કર્યા. તેઓએ જણાવ્યું કે ટ્રેનને ઉલટી દોડાવવી પૂરી રીતે સુરક્ષિત છે અને આ નિર્ણયથી એક મુસાફરનો જીવ બચી ગયો. રેલવે પ્રવક્તાએ કહ્યું કે આ ટ્રેનકર્મીઓને સન્માનિત કરવામાં આવશે. જોકે આ ઘટનાના કારણે ટ્રેન એક કલાક મોડી પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી.
આ પણ વાંચો,
ગજબ ! 105 વર્ષના દાદીએ આપી ચોથા ધોરણની પરીક્ષા, 75% મેળવી પૂરું કર્યું સપનું
રનવેથી લપસતાં પ્લેનના 3 ટુકડા થયા અને અચાનક લાગી આગ, અંદર બૂમો પાડી રહ્યા હતા મુસાફરો