કેન્દ્ર સરકાર તરફથી જમ્મુ-કાશ્મીરમાં વધુ સુરક્ષાકર્મી મોકલવાની વચ્ચે માનવામાં આવી રહ્યું છે કે ભવિષ્યમાં ઘૂસણખોરી રોકવા અને લાઇન ઓફ કન્ટ્રોલને (LoC) વધુ સુરક્ષિત બનાવવા માટે સેના કોઈ મોટું પગલું ઉઠાવી શકે છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મિલિટ્રી હવે પોતાનું ફોકસ એલઓસી પર કરશે. દાવો છે કે આતંકવાદી સાથે લડવા માટે સેના કંઈક મોટું પગલું ભરશે, જેથી સરહદને ભવિષ્યમાં વધુ સુરક્ષિત બનાવી શકાય.
અંગ્રેજી અખબાર એશિયન એજના એક રિપોર્ટ મુજબ શ્રીનગરમાં છેલ્લા થોડા દિવોમાં ચર્ચા ચાલી રહી છે કે એલઓસીની પાર આતંકવાદીઓના લોન્ચ-પેડ માનવામાં આવી રહેલા ઠેકાણાઓ પર ભારતીય સેનાની સાથે વાયુસેના હુમલા કરી રહી છે. સરકાર તરફથી કે કોઈ પ્રતિનિધિ તરફથી ઓફિશિયલ કે ખાનગી રીત આ વાતનો ઇનકાર નથી કરવામાં આવ્યો.
આ અફવાઓને વિશ્વસનીય માની રહેલા લોકોનું કહેવું છે કે પાકિસ્તાની સેના તેનો જવાબ આપશે તો બંને તરફથી સ્થાનિક સ્તરે યુદ્ધની સ્થિતિ ઊભી થઈ શકે છે. લોકોનું કહેવું છે કે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસનું રિન્ફોર્સમેન્ટ્સ જે ગત દિવસોમાં જમ્મુ-કાશ્મીર પહોંચ્યું છે કે પહોંચવાનું છે, તેમને આતંકીઓનો સામનો કરવાની સાથે આંતરિક કાયદો અને વ્યવસ્થા ઉપર પણ નજર રાખવી પડશે.
બીજી તરફ, પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે, રાજ્યપાલ સત્યપાલ મલિકે આ મુદ્દે આશ્વાસન આપ્યું છે કે તેમની પાર્ટીનો આર્ટિકલ 370 અને 35એ હટાવવાનો પ્લાન નથી અને ન તો રાજ્યના ત્રણ ટુકડા કરવાની કોઈ યોજના છે. જોકે, અબ્દુલ્લાએ એમ કહ્યું કે, તેઓ સંસદમાં કેન્દ્ર સરકાર પાસેથી આ આશયની પુષ્ટિ ઈચ્છે છે.