નવી દિલ્હી : વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે બુધવારે સ્પષ્ટ કર્યું હતું કે, પાકિસ્તાન જ્યાં સુધી તેની ધરતી પર ઉછરી રહેલા આતંકીઓનો સફાયો નહીં કરે ત્યાં સુધી તેની સાથે કોઇ જ વાતચીત નહીં કરવામાં આવે. સુષ્માએ કહ્યું કે, વાતચીત અને આતંકવાદ બંને સાથે ન ચાલી શકે. 'ઇન્ડિયાસ વર્લ્ડ : મોદી ગવર્નમેન્ટ્સ ફોરેન પોલીસ' વિષય પર વાતચીત કરતા સુષ્માએ જણાવ્યું હતું કે, 'ભારત પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સંબંધો સારા રહે તે માટે જરૂરી છે કે પાકિસ્તાન તેની આર્મી અને આઈએસઆઈ પર લગામ લગાવે.'
"અમે આતંકવાદ વિશે કોઈ વાત કરવા માંગતા નથી, પરંતુ આતંકવાદ સામે કાર્યવાહી થાય તેવું ઈચ્છીએ છીએ. કારણ કે આતંકવાદ અને વાતચીત બંને સાથે ન ચાલી શકે," તેમ વિદેશ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું.
પાકિસ્તાન તરફથી ભારતીય એર સ્પેસના ઉલ્લંઘન અંગે સુષ્માએ જણાવ્યું કે, "પાકિસ્તાની સેનાએ જૈશ-એ-મોહમ્મદ વતી હુમલો કેમ કર્યો? તમે ફક્ત જૈશને તમારી ધરતી પર ઉછરવા જ નથી દેતા પરંતુ તેને ફંડ પણ આપો છો. તમે તેના વતી અમારા પર હુમલો પણ કરો છો. જો ઇમરાન ખાન એટલો જ ઉદાત્ત માણસ છે તો તેણે મસૂદ અઝહરને ભારતને સોંપી દેવો જોઈએ."
સુષ્મા સ્વરાજે વધુમાં કહ્યું હતું કે, "જો પાકિસ્તાન તેની ધરતી પર આતંકવાદ સામે કાર્યવાહી કરે છે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ અન્ય પાડોશી દેશો જેવા સારા સંબંધો વિકસી શકે છે."
નોંધનીય છે કે પુલવામાં ખાતે સીઆરપીએફના જવાનો પર થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. સીઆરપીએફના કાફલા પર જૈશના આતંકીએ આત્મઘાતિ હુમલો કર્યો હતો. જે બાદમાં ભારત તરફથી એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાન અધિકૃત બાલાકોટમાં આવેલા જૈશના તાલિમ કેન્દ્રને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું હતું. આ દરમિયાન પાકિસ્તાનના એરફોર્સ તરફથી પણ ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર