સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઇ) દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગ લાવવા માટે ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડૂને નોટિસ આપ્યા બાદ કોંગ્રેસ વધારે આક્રમક થઈ ગઈ છે. સોમવારે રાહુલ ગાંધી સંવિધાન બચાવો અભિયાનની શરૂઆત કરશે. તો કોંગ્રેસના સીનિયર નેતા તેમજ એડ્વોકેટ કપિલ સિબ્બલે જાહેરાત કરી છે જો જસ્ટિસ દીપક મિશ્રા તેમના પદ પરથી નહી હટે તો તેઓ ભવિષ્યમાં ક્યારેય તેમની કોર્ટમાં નહીં જાય.
અંગ્રેજી વર્તમાનપત્ર 'ઇન્ડિયન એક્સપ્રેસ'માં છપાયેલા સમાચાર પ્રમાણે, કપિલ સિબ્બલે સોમવારે સીજેઆઇની કોર્ટમાં હાજર નહીં રહેવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી દીપક મિશ્રા નિવૃત્ત નહીં થાય ત્યાં સુધી તેઓ તેમની કોર્ટમાં હાજર નહીં રહે. વ્યવસાયના સિદ્ધાંતોનો હવાલો આપીને સિબ્બલે આવી જાહેરાત કરી હતી.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના સમાચાર પ્રમાણે સિબ્બલે કહ્યું કે, 'મહાભિયોગ ડ્રાફ્ટ પર અલગ અલગ રાજકીય પાર્ટીના 71 સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે. મારા ઉપરાંત અનેક લોકોએ સીજેઆઇને હટાવવાની માંગણી કરી છે. હું સોમવારથી કોર્ટ નહીં જાઉં.' નોંધનીય છે કે કોંગ્રેસના નેતા તેમજ સીનિયર એડ્વોકેટ કપિલ સિબ્બલ છેલ્લા ઘણા સમયથી સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે.
શુક્રવારે વિપક્ષોએ ઉપરાષ્ટ્રપતિને સોંપ્યો ડ્રાફ્ટ
શુક્રવારે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ (CJI) વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ લાવવા માટે કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષે જરૂરી ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. આ પ્રક્રિયા બાદ વિપક્ષી દળોએ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સાથે મુલાકાત કરી હતી અને તેમને આ મહાભિયોગનો ડ્રાફ્ટ સોંપ્યો હતો.
ઉપરાષ્ટ્રપતિ સાથેની મુલાકાત બાદ કોંગેસના નેતા ગુલામ નબી આઝાદ અને કપિલ સિબ્બલે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આઝાદે જણાવ્યું હતું કે, સીજેઆઈ દીપક મિશ્રા વિરુદ્ધ પાંચ મુખ્ય મુદ્દે મહાભિયોગ લાવવાનો અમે પ્રસ્તાવ તૈયાર કર્યો છે. ન્યાયતંત્રની સ્વતંત્રતા તેમજ નિષ્પક્ષતા અને લોકશાહીની રક્ષા માટે આ મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવી રહ્યો છે. અમને આશા છે કે ઉપરાષ્ટ્રપતિ તેનો સ્વીકાર કરશે.
ગુલામ નબી આઝાદે વધુમાં જણાવ્યું હતું કે, 'મહાભિયોગ પ્રસ્તાવ ઉપર અત્યાર સુધીમાં 71 સાંસદો હસ્તાક્ષર કરી ચુક્યા છે. જો કે,આ પૈકીના 7 નિવૃત થઇ ચુક્યા છે. તેમ છતાં, આ સંખ્યા આવશ્યક સંખ્યાથી વધારે છે.'
વેકૈયા નાયડૂએ વિશેષજ્ઞો સાથે કર્યો વિચાર-વિમર્શ
ઉપરાષ્ટ્રપતિ એમ વેકૈયા નાયડૂએ ચીફ જસ્ટિસ દીપક મિશ્રાને પદ ઉપરથી હટાવવાને લઇને કોંગ્રેસ અને બીજા પક્ષો તરફથી આપવામાં આવેલી નોટિસ ઉપર બંધારણવિદો અને કાયદા વિશેષજ્ઞોથી વિચાર-વિમર્શ કર્યો હતો. રાજ્યસભા સચિવાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાયડૂએ અરજીને મંજૂર અથવા નકારવા એ અંગે વિશેષજ્ઞ સુભાષ કશ્યપ, પૂર્વ કાયદા સચિવ પીકે મલ્હોત્રા સહિતના અન્ય વિશેષજ્ઞોની કાયદાકીય સલાહ લીધી હતી. માનવામાં આવી રહ્યું છે કે, નાયડૂ ટૂંક સમયમાં વિપક્ષી દળોની નોટીસ ઉપર નિર્ણય આપશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર