હૈદરાબાદ : તેલંગાનાની રાજધાની હૈદરાબાદમાં મહિલા વેટનરી ડૉક્ટર સાથે ગેંગરેપ બાદ હત્યા (Hyderabad Veterniary Doctor Murder) અને પછી લાશે સળગાવી દેવાની ઘટનામાં અનેક મોટા ખુલાસા થયા છે. પોલીસે આ મામલામાં અત્યાર સુધી 4 યુવકોની ધરપકડ કરી છે. તેમની ઓળખ મોહમ્મદ આરિફ, નવીન, ચિંતાકુતા કેશાવુલુ અને શિવા તરીકે થઈ છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓએ ઘટનાને અંજામ આપવા માટે કાવતરા તરીકે મહિલા ડૉક્ટરનું સ્કૂટી પંક્ચર કર્યું હતું. જેથી તે મહિલા ડૉક્ટરને પોતાની જાળમાં ફસાવીને ઘટનાને અંજામ આપી શકે.
પોલીસના જણાવ્યા મુજબ, ચારેય આરોપીઓએ મહિલા ડૉક્ટરને ટોલ પ્લાઝા પર સ્કૂટી પાર્ક કરતા જોઈ હતી. ત્યારે એક આરોપી શિવાએ તેની સ્કૂટીની હવા કાઢી દીધી. જ્યારે મહિલા ડૉક્ટર પોતાની ડ્યટી પૂરી કરી ઘરે જવા જતી હતી તો તેણે જોયું કે સ્કૂટી પંક્ચર છે. રાત થઈ ગઈ હોવાના કારણે મહિલા ડૉક્ટરે પોતાની નાની બહેનને ફોન કર્યો અને સ્કૂટી ખરાબ થવા વિશે જણાવ્યું. સાથોસાથ બહેનને એમ પણ કહ્યું કે તેને કંઈક ઠીક નથી લાગી રહ્યું. ડર લાગી રહ્યો છે.
પોલીસમાં આપેલા પરિવારના નિવેદન મુજબ, નાની બહેને મહિલા ડૉક્ટરને સ્કૂટી ત્યાં છોડીને કૅબથી ઘરે આવવાની સલાહ આપી હતી. આ દરમિયાન આરોપી ચિંતાકુંતા કેશાવુલુ અને શિવા ત્યાં મદદ માટે પહોંચી ગયા. શિવા સ્કૂટી ઠીક કરાવવાનું બહાનું કાઢીને મહિલા ડૉક્ટરને થોડી અંતર સુધી લઈ ગયો, જ્યાં બાકી આરોપી તક જોઈને બેઠા હતા. જેવી મહિલા ડૉક્ટર ત્યાં પહોંચી, આરોપીઓએ તેને બંધક બનાવી લીધી.
ગેંગરેપ પહેલા બળજબરીથી દારૂ પીવડાવ્યો
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, દુષ્કર્મ કરતાં પહેલા આરોપીઓએ ખૂબ દારૂ પીધો. મહિલા ડૉક્ટરને પણ બળજબરીથી દારૂ પીવડાવ્યો. ત્યારબાદ આરોપી મોહમ્મદ આરિફે મહિલા ડૉક્ટરના મોઢું હાથથી બંધ કરી દીધું જેથી તે બૂમો ન પાડી શકે. આ દરમિયાન ચારેય આરોપીઓએ વારાફરથી મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ કર્યું. માનવામાં આવી રહ્યું છે કે શ્વાસ નહીં લેવાના કારણે મહિલા ડૉકટરનું મોત થયું.
પોલીસ મુજબ, આ ઘટના બુધવાર રાત્રે 9.35થી 10 વાગ્યાની વચ્ચે થઈ છે. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી લાશને ટ્રકમાં મૂકીને આગળ લઈ ગયા. રસ્તામાં પેટ્રોલ પંપથી પેટ્રોલ ખરીદ્યુ. પછી ફ્લાઇઓવરની નીચે સૂમસામ સ્થળે લાશને ફેંકી દીધી અને પેટ્રોલથી બાળી દીધી.
ખેડૂતે સૌથી પહેલા સળગેલી લાશ જોઈ
વેટરનરી ડૉક્ટર હૈદરાબાદ-બેંગલુરુ હાઈવે પર સ્થિત જે ટોલ પ્લાઝા પર છેલ્લીવાર જોવા મળી હતી, ત્યાંથી લગભગ 30 કિમી દૂર એક ખેડૂતે ગુરુવાર સવારે તેની સળગેલી લાશ જોઈે. ખેડૂતે જ સૌથી પહેલા પોલીસને તેની જાણી કરી. પોલીસે ખોવાયેલી વ્યક્તિના રિપોર્ટના આધારે ડૉક્ટરના પરિવારને ઘટનાસ્થળે બોલાવ્યા. અડધા બળેલા સ્કાર્ફ અને ગોલ્ડ પેન્ડન્ટના આધારે ડૉક્ટરના શબની ઓળખાણ થઈ.
ઘટનાસ્થળ પાસેથી મળી દારૂની બોટલો
પોલીસને આસપાસથી દારૂની બોટલો પણ મળી. આસપાસના લોકોએ પોલીસને આ સ્થળે ઘણાં લાંબા સમય સુધી ઊભા રહેલા એક ટ્રક વિશે પણ જણાવ્યું. ટ્રકના આધારે તપાસ શરૂ કરવામાં આવી. આ ટ્રક રાજેન્દ્રનગરમાં રહેતા એક વ્યક્તિની છે. સાઇબરાબાદના પોલીસ કમિશ્નર વીસી સજ્જનરે જણાવ્યું કે, લોકો સાથે પૂછપરછ અને સીસીટીવીની મદદથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી. સમગ્ર કાવતરા હેઠળ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો, જેમાં ચાર આરોપી સામેલ હતા.
મંત્રીના નિવેદનથી વિવાદ
આ દરમિયાન તેલંગાણાના એક મંત્રીના નિવેદનથી વિવાદ ઉભો થયો છે. મંત્રીના કહેવા પ્રમાણે પીડિતાએ તેની બહેનને ફોન કરવાને બદલે પોલીસને ફોન કરવાની જરૂર હતી. જોકે, સૂત્રોએ જણાવ્યું કે, મંત્રી ફક્ત એવું કહેવા માંગતા હતા કે પોલીસને જાણ કરી હોત તો તેને મદદ મળી શકી હોત.
દેશભરમાં હંગામો
કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. રાહુલે કહ્યુ કે, "મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને તેની હત્યાના જઘન્ય ઘટનાથી હું સ્તબ્ધ છું. કોઈ વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિ સાથે આ પ્રકારની હિંસા કેવી રીતે કરી શકે, આ અકલ્પનીય છે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના પીડિતાના પરિવાર સાથે છે." બીજી તરફ આ બનાવ બાદ આખા દેશમાં હંગામો મચ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર પીડિત ડોક્ટરના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવાની સાથે સાથે આ ઘટનાની ઘોર નિંદા કરી રહ્યા છે. સાથે જ આવા બનાવો અટકે તે માટે સરકાર કઠોર પગલા ભરે તેવી પણ માંગણી કરી રહ્યા છે.