Home /News /national-international /Nagaland Firing Incident:નાગાલેન્ડ ફાયરિંગ અંગે ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં કહ્યું- ખોટી ઓળખના કારણે વાગી ગોળી
Nagaland Firing Incident:નાગાલેન્ડ ફાયરિંગ અંગે ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં કહ્યું- ખોટી ઓળખના કારણે વાગી ગોળી
અમિત શાહ ફાઈલ તસવીર
Nagaland Firing Incident: નાગાલેન્ડ(nagaland)માં મોન જિલ્લામાં ગોળીબારની ત્રણ ઘટનાઓ(firing incident)માં ઓછામાં ઓછા 14 લોકોની મોત અને 11 લોકો ઘાયલ થયા હતા. પોલીસે રવિવારે જણાવ્યું હતું કે ફાયરિંગની પ્રથમ ઘટના કદાચ ખોટી ઓળખનો મામલો હતો.
નવી દિલ્હી: નાગાલેન્ડ ફાયરિંગ કેસ (Nagaland Firing Incident) અંગે ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)એ સોમવારે લોકસભામાં નિવેદન આપ્યું હતું. ગૃહમંત્રીએ કેન્દ્ર સરકાર વતી બનેલી ઘટના અંગે ખેદ વ્યક્ત કરતા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી.
ગૃહમંત્રીએ કહ્યું કે, "આર્મીને ઓટિંગ, સોમમાં ઉગ્રવાદીઓની પ્રવૃત્તિઓ વિશે માહિતી મળી હતી. આ આધારે 21 કમાન્ડોએ શંકાસ્પદ વિસ્તારમાં હુમલો કર્યો હતો." તેઓએ કહ્યું કે એક વાહન આવ્યું, તેને રોકવાનો સંકેત આપ્યો પણ તેઓએ ભાગવાનો પ્રયાસ કર્યો. આવામાં ઉગ્રવાદીઓને લઈ જતા વાહનની શંકાને કારણે તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો.
શાહે કહ્યું, 'વાહનમાં 8માંથી 6 લોકોના મોત થયા હતા. પાછળથી ખબર પડી કે ઓળખમાં ભૂલ થઈ છે. ઘાયલ થયેલા અન્ય 2 લોકોને સેના દ્વારા નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. આ સમાચાર આવતાં જ સ્થાનિક ગ્રામજનોએ આર્મી યુનિટને ઘેરી લીધું હતું, 2 વાહનોને આગ ચાંપી હતી અને તેમના પર હુમલો કર્યો હતો.'
તેમણે કહ્યું કે ,'આ હુમલાના પરિણામે સુરક્ષા દળોનો એક જવાન શહીદ થયો હતો, તેમજ અન્ય અનેક જવાન ઘાયલ થયા હતા.' તેમણે કહ્યું કે, 'સુરક્ષા દળોએ ટોળાને વિખેરવા માટે સ્વરક્ષણ અને ગોળીબાર કરવો પડ્યો હતો.' તેમાં વધુ 7 નાગરિકો માર્યા ગયા હતા, કેટલાક અન્ય ઘાયલ થયા હતા. શાહે કહ્યું કે સ્થાનિક પ્રશાસન-પોલીસે પરિસ્થિતિને સામાન્ય બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
પરિસ્થિતિ તંગ પરંતુ નિયંત્રણમાં લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, "હાલની પરિસ્થિતિ તણાવપૂર્ણ છે પરંતુ નિયંત્રણમાં છે. નાગાલેન્ડના ડીજીપી અને કમિશનરે 5 ડિસેમ્બરે સ્થળની મુલાકાત લીધી હતી. એફઆઈઆર નોંધવાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ સ્ટેટ ક્રાઈમ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે.' તેમણે ગૃહને જણાવ્યું હતું કે આ મામલાની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે અને એક મહિનાની અંદર તપાસ પૂર્ણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
ત્યારબાદ ગૃહમંત્રીએ રવિવારની ઘટના વિશે જણાવ્યું કે આ ઘટના બાદ 5 ડિસેમ્બરની સાંજે મોન શહેરમાં આસામ રાઇફલ્સના ઓપરેટિંગ બેઝ પર લગભગ 250 લોકોના ઉશ્કેરાયેલા ટોળાએ તોડફોડ કરી હતી અને બિલ્ડિંગને આગ ચાંપી દીધી હતી. ભીડને વિખેરવા માટે આસામ રાઇફલ્સને ફાયરિંગ કરવું પડ્યું હતું. આને કારણે અન્ય એક નાગરિકનું મોત નીપજ્યું હતું.
અમિત શાહે કહ્યું કે, "અન્ય કોઈ પણ ઘટનાને ટાળવા માટે અસરગ્રસ્ત વિસ્તારમાં વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે. આર્મીના થર્ડ કોર્પ્સ હેડક્વાર્ટર દ્વારા એક અખબારી નિવેદન જારી કરવામાં આવ્યું છે જ્યાં નિર્દોષ નાગરિકોના કમનસીબ મૃત્યુ પર અફસોસ વ્યક્ત કરવામાં આવ્યો છે.'
કાયદા મુજબ ગુનેગારો સામે થશે કાર્યવાહી લોકસભામાં ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, સેનાએ આ ઘટનાના કારણોની ઉચ્ચસ્તરીય તપાસ શરૂ કરી છે જેમાં કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આ ઘટનાના સમાચાર મળતાં જ મેં તરત જ રાજ્યના રાજ્યપાલ અને મુખ્યમંત્રીનો સંપર્ક કર્યો હતો. ગૃહ મંત્રાલયે મુખ્ય સચિવ અને ડીજીપીનો પણ સંપર્ક કર્યો હતો. શાહે કહ્યું, 'ગઈકાલે પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. ગૃહ મંત્રાલયે તરત જ પૂર્વોત્તરના અધિક સચિવને કોહિમા મોકલ્યા હતા જ્યાં તેમણે આજે મુખ્ય સચિવ, અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને અર્ધલશ્કરી દળોના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.'
ગૃહમંત્રીએ કહ્યું કે, "બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે તમામ એજન્સીઓએ સુનિશ્ચિત કરવું જોઈએ કે આવી કામગીરી કરતી વખતે ભવિષ્યમાં આવી કમનસીબ ઘટનાઓ ફરી ન બને. સરકાર આ ઘટના પર બારીકાઈથી નજર રાખી રહી છે અને આ ક્ષેત્રમાં શાંતિ સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.'
નાગાલેન્ડમાં મોન જિલ્લામાં ગોળીબારની ત્રણ ઘટનામાં ઓછામાં ઓછા 14 લોકો માર્યા ગયા હતા અને 11 લોકો ઘાયલ થયા હતા. ઉગ્ર ભીડ ફાયરિંગની ઘટનામાં સામેલ સુરક્ષા કર્મીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યું હતું.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર