લખનઉ : ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના હઝરતગંજ વિસ્તારમાં રવિવારે સવારે આંતરરાષ્ટ્રીય હિન્દુ મહાસભાના અધ્યક્ષ રંજીત બચ્ચન (Ranjeet Bachchan)ની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે. રંજીત બચ્ચન મૉર્નિંગ વૉક પર નીકળ્યા હતા. આ દરમિયાન બાઇક સવાર બદમાશોએ તેમના માથામાં ગોળી મારી દીધી હતી. રંજીત બચ્ચનનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. સાથે જ પોલીસે હુમલાખોરોની તપાસ શરૂ કરી છે.
નોંધનીય છે કે રંજીત બચ્ચન હઝરતગંજના ઓસીઆર બિલ્ડિંગમાં રહેતા હતા. રંજીત બચ્ચન મૂળ ગોરખપુરના નિવાસી હતી. તેઓ સમાજવાદી પાર્ટીના સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરતા હતા. બાઇક સવાર બદમાશોએ માથામાં ગોળી મારીને તેમની હત્યા કરી નાખી હતી. જે બાદમાં ઘટનાસ્થળે પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ દોડી ગયા હતા.
મુંગેરમાં બનેલી પિસ્ટલનો ઉપયોગ
પોલીસના જણાવ્યા પ્રમાણે હિન્દુવાદી નેતાની હત્યા માટે બદમાશોએ મુંગરમાં બનેલી .32 બોરની પિસ્ટલનો ઉપયોગ કર્યો હતો. ઘટના બાદ લખનઉ પોલીસ કમિશનર સુજીત પાંડેયએ ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે. ચારેય સામે બેદરકારી બદલ કાર્યવાહી કરવામાં આવી છે.

ઘાયલ આશિષ શ્રીવાસ્તવ
મૉર્નિંગ વૉક પર નીકળ્યા હતા
ઘટના સવારે આશરે છ વાગ્યે બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રંજીત બચ્ચન તેમના મિત્ર આશિષ શ્રીવાસ્તવ સાથે મૉર્નિંગ વૉક પર નીકળ્યા હતા. જ્યારે તેઓ ગ્લોબ પાર્કથી નીકળ્યા ત્યારે જ બદમાશોએ તેમના માથામાં ગોળી મારી દીધી હતી. આ ઘટનામાં તેમના મિત્ર આશિષ ઘાયલ થયા છે, જેની સારવાર ટ્રોમા સેન્ટરમાં ચાલી રહી છે. હત્યાનું કારણ માલુમ પડ્યું નથી. પોલીસ હાલ તપાસ કરી રહી છે. નોંધનીય છે કે ગત વર્ષે હિન્દુ નેતા કમલેશ તિવારીની પણ ઘરમાં ઘૂસીને હત્યા કરવામાં આવી હતી. હવે રંજીત બચ્ચનના મોતથી અનેક સવાલ ઉભા થયા છે.
(ઇનપુટ : ઋષભમણિ ત્રિપાઠી)
Published by:News18 Gujarati
First published:February 02, 2020, 09:09 am