નવી દિલ્હી. ભારતમાં હવે કોરોના વાયરસ સંક્રમણ (Coronavirus)ના નવા કેસ સતત ઓછા નોંધાઈ રહ્યા છે. મે મહિનામાં જ્યાં રોજ 4 લાખની આસપાસ નવા કેસ સામે આવી રહ્યા હતા, ત્યારે હવે આ સંખ્યા ઘટીને એક લાખની આસપાસ પહોંચી ગઈ છે. એવામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડાયરેક્ટરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસિસ (Directorate General Of Health Services)એ લક્ષણ વગરના કે હળવા લક્ષણવાળા કોરોના દર્દીઓની (Corona Patients) સારવાર માટે સંશોધિત ગાઇડલાઇન્સ જાહેર કરી છે. તેમાં એન્ટીપાઇરેટિક અને એન્ટીટ્યૂસિવને બાદ કરતાં તમામ દવાઓને હટાવી દેવામાં આવી છે.
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી 27 મેના રોજ જાહેર કરવામાં આવેલી સંશોધિત ગાઇડલાઇન્સ મુજબ લક્ષણ વગરના કે હળવા લક્ષણવાળા દર્દીઓની સારવાર માટે ડૉક્ટરો તરફથી આપવામાં આવતી હાઇડ્રોક્સીક્લોરોક્વીન, આઇવરમેક્ટિન, ડોક્સીસાઇક્લિન, ઝિંક, મલ્ટીવિટામીન અને અન્ય દવાઓને બંધ કરી દેવામાં આવી છે. હવે તેમને માત્ર તાવ માટે એન્ટીપાઇરેટીક અને શરદીના લક્ષણ માટે એન્ટીટ્યૂસિવ જ આપવામાં આવશે.
ગાઇડલાઇન્સમાં ડૉક્ટરોને દર્દીને બિનજરુરી ટેસ્ટ બંધ કરાવવા માટે પણ કહેવામાં આવ્યું છે. તેમાં સીટી સ્કેન પણ સામેલ છે. કોરોનાથી બચવા માટે લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ, ફેસ માસ્ક અને હાથ ધોવાની સલાહ આપવામાં આવી છે. સાથોસાથ જો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય છે તો તેના ફોન પર કન્સલટેશન લેવા અને પૌષ્ટિક આહાર ખાવાની પણ સલાહ આપવામાં આવી છે.
ગાઇડલાઇન્સમાં કોરોના દર્દીઓ અને તેમના પરિજનોને એક-બીજા સાથે ફોન કે વીડિયો કોલના માધ્યમથી સકારાત્મક વાતો કરવા અને એક-બીજા સાથે જોડાયેલા રહેવાની પણ સલાહ આપવામાં આવી છે. તેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે લક્ષણ વગરના દર્દી છે તેમને કોઈ દવા ન આપવી, તેમાં શરત એટલી છે કે તેઓ બીજી કોઈ બીમારીથી પીડિત ન હોવા જોઈએ. બીજી તરફ હળવા લક્ષણ ધરાવતા દર્દી છે તેમને જાતે જ શ્વાસ લેવામાં તકલીફ, ઓક્સિજન લેવલ મોનિટર કરવા માટે કહેવામાં આવે. તેમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસ સંક્રમણના લક્ષણવાળા દર્દી છે, તેમને એન્ટીપાઇરેટિક અને એન્ટીટ્યૂસિવ દવા લેવી જોઈએ. ઉધરસ માટે તેમને બૂડસોનાઇડની 800 એમસીજી માત્રા દિવસમાં બે વાર પાંચ દિવસ સુધી લેવી જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર