હિમાંશુ ત્રિપાઠી, હાથરસઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના હાથરસ કાંડ (Hathras Case)ની પીડિતાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ (Postmortem Report) સામે આવી ગયો છે. સફદરગંજ હૉસ્પિટલ (Safdarjung Hospital)ના ડૉક્ટરોની પેનલ દ્વારા કરવામાં આવેલા પોસ્ટમોર્ટમમાં કહેવામાં આવ્યું છે કે પીડિત યુવતીનું મોત ગળાનું હાડકું તૂટવાથી થયું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વારંવાર ગળું દબાવવાથી હાડકું તૂટ્યું હતું. ગળા પર ઈજાના નિશાન પણ મળ્યા છે. જોકે રિપોર્ટમાં દુષ્કર્મની વાત નથી કહેવામાં આવી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગળું દબાવવાથી સર્વાઇકલ સ્પાઇન તૂટી ગઈ હતી, જે મોતનું મુખ્ય કારણ બન્યું. આ પહેલા અલીગઢના જેએન મેડિકલ કૉલેજના રિપોર્ટમાં પણ ગળાનું હાડકું તૂટવાની વાત કહેવામાં આવી હતી. મેડિકલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ગળું દબાવવાના કારણે સર્વાઇકલ સ્પાઇનનું લિગામેન્ટ તૂટી ગયું હતું. મેડિકલ રિપોર્ટમાં પણ દુષ્કર્મની વાતનો ઇન્કાર કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, મામલામાં પીડિતાએ મોતથી પહેલા આપેલા નિવેદનમાં કહ્યું હતું કે તેની સાથે દુષ્કર્મ થયું હતું. ત્યારબાદ દુપટ્ટાથી તેનું ગળું દબાવવામાં આવ્યું હતું, પરંતુ બૂમાબૂમ સાંભળીને માતા પહોંચતા આરોપી ફરાર થઈ ગયા હતા. આ દરમિયાન પીડિતાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં તે કહી રહી છે કે આરોપીઓએ આ પહેલા પણ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સમયે તેમની પકડમાંથી ભાગવામાં સફળ રહી હતી. પરંતુ 14 સપ્ટેમ્બરે. આવું ન થયું. આરોપી સંદીપ અને રવિએ તેની સાથે દુષ્કર્મ કર્યું. તે સમયે રાજકુમાર અને લવકુશ પણ ઉપસ્થિત હતા. નોંધનીય છે કે 15 દિવસ બાદ 29 સપ્ટેમ્બરે પીડિતાએ દિલ્હીના સફદરગંજ હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. મામલામાં ચારેય આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
પીડિતાના મોત બાદ જન આક્રોશને જોતાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ત્રણ સભ્યોની એસઆઈટીની રચના કરી છે જે પોતાનો તપાસ રિપોર્ટ સોંપશે. સાથોસાથ સમગ્ર પ્રકરણને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવીને આરોપીઓને વહેલી તકે સજા અપાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર