નવી દિલ્હી : ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટ સ્થિત આતંકી છાવણીઓ પર કરેલી એર સ્ટ્રાઇક અંગે પુરાવા માંગનાર લોકોને નરેન્દ્ર મોદીએ સીધો જવાબ આપ્યો છે. પીએમ મોદીએ કહ્યુ કે પાકિસ્તાન તરફથી સવારે 5 વાગ્યે હાંફળાંફાંફળાં થઈને કરવામાં આવેલું ટ્વિટ જ ભારતીય સૈન્યનું પરાક્રમ બતાવે છે. પીએમ નરેન્દ્ર મોદીએ નેટવર્ક 18ના મુખ્ય સંપાદક રાહુલ જોશી સાથે એક્સક્લુઝિવ વાતચીત કરતા આ વાત કહી હતી.
બાલાકોટમાં આતંકી ઠેકાણાઓ નષ્ટ થયા, શું સરકાર પાસે કોઈ પુરાના છે? શું યોગ્ય સમયે તમે આ પુરાવના દેશ સમક્ષ મૂકશો? એવો દાવો કરવામાં આવ્યો કે ત્યાં 250 આતંકીઓ માર્યા ગયા, ખુદ બીજેપીના અધ્યક્ષ અમિત શાહે આવી વાત કરી હતી. આ સવાલનો જવાબ આપતા નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, -
જ્યાં સુધી પુરાવાનો સવાલ છે ત્યાં સુધી પાકિસ્તાન પોતે જ એક પુરાવો છે. એવું શું કારણ છે કે પાકિસ્તાને વહેલી સવારે પાંચ વાગ્યે ટ્વિટ કર્યું અમારી સાથે આ શું કર્યું છે. અમે તો ચૂપ હતા પરંતુ પાકિસ્તાને આવું કેમ કહેવું પડ્યું. તે પોતે જ એક પુરાવો છે. એવું તો નથી કે ભારત સરકાર પહેલા જઈને બોલી હોય અથવા આપણી સેનાના લોકોએ પહેલા કંઈ કહ્યું હોય.
પીએમ મોદીએ વિપક્ષ અને કોંગ્રેસ પર સીધો જ હુમલો કરતા કહ્યુ કે, આ પહેલા અનેક યુદ્ધ થયા છે. શું કોઈએ આ પ્રકારની ભાષાનો ઉપયોગ કર્યો છે. ક્યારેક નથી કર્યો. અનેક પગલાં લેવાયા, ક્યારેય કોઈએ આવી ભાષાનો ઉપયોગ નથી કર્યો. પરંતુ સત્તા માટે તલપાપડ બનેલી કોંગ્રેસ પાર્ટી મર્યાદા ચુકી ગઈ છે અને આ પ્રકારની ભાષા બોલે છે.
પીએમ મોદીએ દેશના સૈન્યના પરાક્રમ પર વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, "જ્યારે તમે એક દુશ્મન સામે લડાઈ લડી રહ્યા છો ત્યારે આવી ભાષાથી દુશ્મનને બળ મળે છે. દેશને ગુમરાહ કરે છે. દેશના જવાનોનું મનોબળ તોડે છે. આવા સમયે આખે દેશે એક સૂરમાં જ વાત કરવી જોઈએ, આપણને આપણા વીર જવાનો પર ગર્વ હોવો જોઈએ. તેમના પરાક્રમનું અભિમાન લેવું જોઈએ."
કેવી રીતે લીધો હતો એર સ્ટ્રાઇક કરવાનો નિર્ણય?
આ સવાલના જવાબમાં મોદીએ જણાવ્યું કે, તેમણે પ્રથમ દિવસે જ કહ્યું હતું કે આતંકવાદીઓ અને પાકિસ્તાને મોટી ભૂલ કરી છે. મારી બોડી લેગ્વેજ અને મારી ભાષાથી અંદાજ લગાવી શકાતો હતો કે મારી અંદર શું ચાલી રહ્યું હતું.
પીએમ મોદીએ જણાવ્યું કે, તેઓ ઉતાવળે કોઈ નિર્ણય લેવા માંગતા ન હતા તેમજ કોઈ ટૂંકો રસ્તો અપનાવવા પણ માંગતા ન હતા. આથી જ મેં સેના, સુરક્ષાબળો અને વિવિધ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરીને ધીમે ધીમે આ પ્લાનને આગળ વધાર્યો હતો.
મોદીએ કહ્યું કે, "આપણી સેનાએ પુલવામાં હુમલો કરનાર લોકોને અહીં જ ઠાર કર્યા હતા, આ મોટું કામ હતું, પરંતુ આનાથી મને સંતોષ ન હતો. જ્યાં આતંકવાદીઓનો ઉછેર થઈ રહ્યો છે ત્યાં આપણે કોઈ કાર્યવાહી ન કરીએ તો એ લોકો સુધરે નહીં. 26/11નો અનુભવ કહો કે સંસદ પર હુમલો, તમામ ઘટનાઓ બાદ પાકિસ્તાન એવું માનીને બેઠું હતું કે ભારત કંઈ કરવાનું નથી. આ માટે જ તેમની હિંમત વધતી ગઈ હતી. ઉરી હુમલો થયો હતો ત્યારે આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. આ વખતે અમને લાગ્યું કે સર્જિકલ સ્ટ્રાઇક કરવી બરાબર નહીં રહે. અમને લાગ્યું કે એર સ્ટ્રાઇકન યોગ્ય રહેશે. અમે ખૂબ સાવધાનીપૂર્વક એર સ્ટ્રાઇક કરી હતી. અમે બધા લોકોને વિશ્વાસમાં લઈને કામ કર્યું હતું."
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર