પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીના અંતિમ સંસ્કાર દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની. આ દરમિયાન 11 લોકોના ફોન ચોરી થઈ ગયા. જે લોકોના ફોન ચોરી થયા તેમાં ભાજપના સાંસદ બાબુલ સુપ્રિયો પણ સામેલ છે. આ વાતની જાણકારી પતંજલિના પ્રવક્તા એસ. કે. તિજારાવાલાએ સોમવારે એક ટ્વિટ કરીને આપી. તેઓએ જણાવ્યું કે રવિવારે અરુણ જેટલીના અંતિમ સંસ્કાર દરમિયાન નિગમબોઘ ઘાટ પર તેમના ફોન સહિત 10 અન્ય લોકોના પણ ફોન ચોરી થઈ ગયા. જેમાં ભાજપ સાંસદ બાબુલ સુપ્રીયોનો ફોન પણ સામેલ છે.
ફોને પણ કર્યુ છેલ્લું 'Bye'
તિજારાવાલાએ ટ્વિટ કર્યુ કે જ્યારે અમે સૌ અરુણ જેટલીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા હતા તે સમયે આ તસવીર જે ફોનથી ખેંચવામાં આવી હતી તેણે પણ મને છેલ્લું ગુડબાય કહી દીધું. આ ટ્વિટમાં તિજારાવાલાએ ગૃહ મંત્રી અમિત શાહની સાથોસાથ દિલ્હી પોલીસને પણ ટૅગ કર્યા છે. ટ્વિટની આ સીરીઝમાં તિજારાવાલાએ વધુ એક ટ્વિટ કર્યુ અને તેની સાથે સ્ક્રીનશોટ પણ પોસ્ટ કર્યો જે તેમના ફોનનું છેલ્લું લોકેશન જણાવી રહ્યું હતું. તેઓએ તેની સાથે જ લખ્યું કે મારો ફોન હાલમાં કરાવલનગરમાં છે, તેના લોકેશનનો સ્ક્રીનશોટ સંલગ્ન છે, પકડી શકો તો પકડી લો.
આ સંબંધમાં પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ફોન ચોરી થવાના સંબંધમાં કેસ નોંધવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે. જોકે, કાશ્મીર ગેટ પોલીસે કહ્યું કે હાલમાં તેમને આવી કોઈ પણ ફરિયાદ નથી મળી, જેવી મળશે કાર્યવાહી કરવામાં આવશે.