નવી દિલ્હીઃ પૂર્વ લદાખ (East Ladakh)માં ગલવાન ઘાટી (Galwan Valley)માં ચીનની સેનાની સાથે થયેલા હિંસક ઘર્ષણમાં શહીદ થનારા કર્નલ સંતોષ બાબૂ (Colonel Santosh Babu)ને આ વર્ષે મહાવીર ચક્ર (Mahavir Chakra)થી સન્માનિત કરવામાં આવશે. ગણતંત્ર દિવસ (Republic Day)ના પ્રસંગે દર વર્ષે દેશની રક્ષા માટે જીવની બાજી લગાવનારા સૈનિકોને વીરતા પુરસ્કાર પ્રદાન કરવામાં આવે છે. આ વખતે ગણતંત્ર દિવસ (Republic Day 2021) પર કર્નલ સંતોષ બાબૂને મરણોપરાંત (Posthumous) મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવશે.
નોંધનીય છે કે, પરમવીર ચક્ર બાદ મહાવીર ચક્ર જ ભારતીય સેનામાં સૌથી મોટું સન્માન છે. સરકારના સૂત્રોનું માનીએ તો, ગલવાન ઘાટીમાં થયેલા ઘર્ષણમાં ચીની સેનાનો મુકાબલો કરનારા અનેક જવાનોને આ વર્ષે ગેલન્ટ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી શકે છે. સૂત્રો મુજબ આ વર્ષે પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થનારા ASI મોહન લાલને પણ ગેલન્ટ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. મોહન લાલે જ IED લાગેલી કારને ઓળખી હતી અને બોમ્બર પર ગોળીબાર કર્યો હતો.
આ પણ વાંચો, ભારત-ચીન સેનાની વચ્ચે સિક્કિમમાં થયું હતું સામાન્ય ઘર્ષણ, સ્થાનિક કમાન્ડરોએ વિવાદ ઉકેલ્યો - ભારતીય સેના
ઉલ્લેખનીય છે કે, ગલવાન ઘાટીમાં ચીની સેનાની સાથે હિંસક ઘર્ષણમાં શહીદ થયેલા કર્નલ બી. સંતોષ બાબૂ ચીની પક્ષ સાથે થયેલી વાતચીતનું નેતૃત્વ કરી રહ્યા હતા, પરંતુ મોડી રાત્રે થયેલા હિંસક ઘર્ષણમાં તેઓ શહીદ થઈ ગયા. 16 બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર રહેલા કર્નલ સંતોષની સાથે તે રાત્રે વધુ 19 જવાન શહીદ થયા હતા. આ તમામે દેશની રક્ષા માટે પોતાના જીવ ન્યોછાવર કરી દીધા હતા અને ચીની સૈનિકોને ઘૂસણખોરી કરતાં રોકી દીધા હતા.
આ પણ વાંચો, લદાખ વિવાદઃ ભારતે ચીનને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું- તમારે પૂરી રીતે પાછળ હટવું જ પડશે
20 સૈનિક થયા હતા શહીદ
નોંધનીય છે કે, સરહદ પર ચીનની સાથે ભારતીય સૈનિકોના હિંસક સંઘર્ષમાં શહાદત આપનારા કર્નલ સંતોષ કુમારની સાથે વધુ 19 જવાન શહીદ થયા હતા. તેમાં નાયબ સૂબેદાર સતનામ સિંહ અને મનદીપ સિંહની સાથે બિહાર રેજિમેન્ટના 12, પંજાબ રેજિમેન્ટના 3, 81 એમપીએસસી રેજિમેન્ટના 1 અને 81 ફીલ્ડ રેજિમેન્ટના 1 જવાન શહીદ થયા હતા.
Published by:Mrunal Bhojak
First published:January 25, 2021, 14:37 pm