દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સરકારના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના ઘરે બુધવારે સવારે સીબીઆઈએ દરોડા કર્યા છે. સીબીઆઈની ટીમે દિલ્હીની અલગ અલગ યોજનાઓ માટે ભરતી કરવામાં આવેલી 'ક્રિએટિવ ડિઝાઇનર ટીમ'ને લઈને આ કાર્યવાહી કરી છે. સીબીઆઇએ સત્યેન્દ્ર જૈન અને એસ.કે. શ્રીવાસ્તવ સામે કેસ દાખલ કર્યો છે. આમ આદમી પાર્ટીના નેતાઓ આ દરોડાની કાર્યવાહીને ગેરબંધારણીય ગણાવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલે આ મામલે ટ્વિટ કરીને મોદીને સવાલ કર્યો છે કે પીએમ આખરે શું ઈચ્છી રહ્યા છે?
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને લખ્યું છે કે, "સત્યેન્દ્ર જૈનના ઘરે સવારથી સીબીઆઇની તપાસ ચાલી રહી છે. તેમના પર એવો આરોપ છે કે તેમણે સ્કૂલો તેમજ મહોલ્લા ક્લિનિક માટે ક્રિએટિવ ટીમની સેવા લીધી હતી. પૂર્વ એલજી નજીબ જંગે જતાં જતાં સીબીઆઈને આ મામલો સોંપ્યો હતો. જંગની વધુ એક ફરિયાદની ફાઇલ સીબીઆઈ બે દિવસ પહેલા જ બંધ કરી ચુકી છે."
તેમણે લખ્યું હતું કે નીતિ આયોગના રિપોર્ટમાં દિલ્હી સરકારના આ ક્રિએટિવ ટીમ મોડલ પાસેથી શીખવાનું કહેવામાં આવ્યું છે. ખાનગી હોસ્પિટલોની નફાખોરી વિરુદ્ધ જ્યારે સત્યેન્દ્ર જૈનની કડક નીતિની લોકો વચ્ચે ચર્ચા થઈ રહી છે ત્યારે સીબીઆઇ તેમના ઘરે દરોડાં કરી રહી છે. આ બાબતોથી આમ આદમી પાર્ટી ડરવાની નથી.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અલ્કા લાંબાએ દરોડા પર વાંધો ઉઠાવતા લખ્યું છે કે, "સાહેબ, તમારા આદેશના પગલે સીબીઆઈએ કેજરીવાલના એ મંત્રીના ઘરે દરોડા પાડ્યા છે, જેમણે તાજેતરમાં જ ખાનગી હોસ્પિટલોની મનમાની સામે નવો કાયદો લાવવાનો નિર્ણય કર્યો છે. દરોડા છતાં આ મંત્રી તમારા દબાણમાં આવીને પોતાનો નિર્ણય પરત નહીં લે. તમે તમારી વિદેશ યાત્રાનો આનંદ ઉઠાવો."
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર