ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પા શુક્રવારે કર્ણાટકના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે, યેદિયુરપ્પા ચોથી વખત કર્ણાટકના CM બન્યાં છે. શપથ પહેલાં તેઓ રાજ્યપાલ વજુભાઈ વાળાને મળવા રાજભવન પહોંચ્યા હતા. તેઓએ કર્ણાટકમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. 31 જુલાઈએ યદિયુરપ્પાને વિધાનસભામાં બહુમતી પુરવાર કરવી પડશે. 23 જુલાઈએ કુમારસ્વામી બહુમતી પુરવાર કરી શક્યા ન હતા. વિશ્વાસ મત પ્રસ્તાવ પડવાથી કોંગ્રેસ- જેડીએસ ગઠબંધનની સરાકર માત્ર 14 મહિનામાં જ પડી ગઈ હતી. જે બાદ યેદિયુરપ્પા ચોથી વખત સરકાર બનાવવા માટે કેન્દ્રીય નેતૃત્વ પાસેથી ગ્રીન સિગ્નલની રાહ જોઈ રહ્યાં હતા.
યેદિયુરપ્પાએ 2007માં પહેલી વખત કર્ણાટકના સીએમ પદના શપથ લીધા હતા પરંતુ તેઓ માત્ર 7 દિવસ સુધી જ પદ પર રહ્યાં હતા. જે બાદ તેઓ 2008માં સીએમ બન્યાં ત્યારે તેઓ 3 વર્ષ 66 દિવસ સુધી આ પદ પર રહ્યાં. 17 મે, 2018માં તેઓએ સીએમ પદ તરીકે શપથ લીધા અને 3 દિવસમાં જ તેઓને રાજીનામું આપવું પડ્યું હતું.
સરકાર બનાવવાની રણનીતિ પર ચર્ચા માટે ગુરૂવારે કર્ણાટકથી ભાજપના નેતાઓનું પ્રતિનિધિમંડળ ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટીના કાર્યકરી અધ્યક્ષ જેપી નડ્ડાને મળવા દિલ્હી પહોંચ્યા હતા. જેમાં ભાજપના નેતા જગદીશ શેટ્ટી અને અરવિંદ લિમ્બાવલી સહિતના વરિષ્ઠ નેતાઓ હતા. ચર્ચા પછી આ નેતાઓએ કહ્યું હતું કે સરકાર બનાવવાનો અંતિમ નિર્ણય કેન્દ્રીય નેતૃત્વ કરશે.
બળવાખોર ધારાસભ્યોની વાત કરીએ તો સ્પીકરે ગુરુવારે સાંજે ત્રણ બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય ગણાવ્યા છે. સ્પીકરે આ 3 ધારાસભ્યોને વિધાનસભામાં હાજર કાર્યકાળ સુધી અયોગ્ય જાહેર કર્યા છે. આ ધારાસભ્યો હાલના વિધાનસભા કાર્યકાળ પૂરો ન થાય ત્યાં સુધી એટલે કે 2023 સુધી અયોગ્ય રહેશે. અયોગ્ય જાહેર કરવામાં આવેલા કોંગ્રેસના બે બળવાખોર ધારાસભ્યો રમેશ જારકિહોલી અને મહેશ કુમાતલ્લી સિવાય એક અપક્ષના ધારાસભ્ય આર શંકર છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર