નવી દિલ્હી : પશ્ચિમ બંગાળ (West Bengal)માં બીજેપી (BJP)ના ધારાસભ્ય અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) વચ્ચે કોઈને કોઈ વિવાદ સામે આવતો જ રહે છે. હવે સોમવારે સવારે પશ્ચિમ બંગાળના હેમતાબાદમાં બીજેપીના ધારાસભ્ય દેબેન્દ્ર નાથ રૉયનો મૃતદેહ રસ્તાની બાજુમાં એક દુકાન બહાર ફાંસી પર લટકતો મળી આવ્યો છે. બીજેપીએ આ મામલે મમતા સરકાર પર તેમની હત્યા કરવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો છે. નોંધનીય છે કે દેબેન્દ્ર નાથ રૉય પહેલા (Debendra nath Roy) માકપાની ટિકિટ પર ધારાસભ્ય બન્યા હતા. 2019માં તેઓ બીજેપીમાં જોડાયા હતા.
બીજેપી ધારાસભ્ય દેબેન્દ્ર નાથ રૉયની હત્યા મામલે બીજેપી નેતા કૈલાશ વિજયવર્ગીયએ મમતા સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વીટર પર એક વીડિયો શેર કરીને લખ્યું છે કે, "ખૂબ જ નિંદનીય અને કાયરતાપૂર્વકનું કૃત્ય છે. મમતા બેનરજીના શાસનમાં બીજેપી નેતાઓની હત્યા બંધ થવાનું નામ નથી લઈ રહી. ટીએમસી છોડીને બીજેપીમાં આવેલા હેમતાબાદના ધારાસભ્ય શ્રી દેબેન્દ્ર નાથ રૉયની હત્યા કરવામાં આવી છે. તેમનો મૃતદેહ ફાંસીએ લટકતો મળ્યો છે."
કૈલાશ વિજયવર્ગીયએ સવાલ કર્યો કે શું તેમનો ગુનો ફક્ત એટલો જ હતો કે તેઓ ભાજપમાં જોડાયા હતા? નોંધનીય છે કે આ પહેલા પણ બંગાળમાં બીજેપી અને ટીએમસી નેતાઓ વચ્ચે તણાવ જોવા મળી ચુક્યો છે. લોકસભાની ચૂંટણી દરમિયાન બંને પાર્ટીઓની કાર્યકરો અને નેતાઓ વચ્ચે અથડામણના અનેક બનાવો સામે આવી ચુક્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર