ઉન્નાવ રેપ કેસમાં આરોપી રહેલા બીજેપી ધારાસભ્યની ધરપકડને લઈને ઉત્તર પ્રદેશ સરકારે સ્પષ્ટતા કરી દીધી છે કે હવે આ કેસની તપાસ સીબીઆઈ કરશે. ઉત્તર પ્રદેશ સરકાર તેની ધરપકડ નહીં કરે. આ પહેલા બુધવારે રાત્રે બીજેપી નેતા આઈપી સિંહે એક ટ્વિટ કર્યું હતું, જેના કારણે ખળભળાટ મચી ગયો છે.
સિંહે ટ્વિટમાં લખ્યું છે કે સીએમ યોગી આદિત્યનાથે ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની ધરપકડ કરવાનો નિર્ણય કર્યો હતો. સીએમ કાર્યાલયમાંથી તેની ધરપકડ થતી. સીએમ યોગીએ આ કેસમાં ઉન્નાવ એસપીને પણ બરતરફ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ અચાનક એક મોટા વ્યક્તિના હસ્તક્ષેપને કારણે કેસ વિલંબમાં પડી ગયો હતો. જેના પરિણામે હવે આખા પક્ષે ભોગવવાનો વારો આવ્યો છે. જોકે, આ મોટા નેતા કોણ છે તેનો ખુલાસો આઈપી સિંહે કર્યો ન હતો.
બીજી તરફ આઈપી સિંહના આ ટ્વિટ પરથી બીજેપીએ અંતર રાખ્યું છે. બીજેપી પ્રવક્તા ત્રિપાઠીએ કહ્યું હતું કે, 'આઈપી સિંહ પાર્ટીના કોઈ પણ પદ પર નથી. તેઓ કાર્યકર જરૂર છે. મુખ્યમંત્રી શું નક્કી કરે છે, શું નિર્ણય લે છે તેની જાણકારી મેળવવાનો સિંહને કોઈ અધિકાર નથી. તેમણે આઈપી સિંહને કંઈ કહેવાની જરૂર નથી. આઈપી સિંહનો દાવો મનઘડત કહાની જ છે. આ તેમનું વ્યક્તિગત મંતવ્ય છે. ઉત્તર પ્રદેશમાં કાયદાનું રાજ છે. અહીં કાયદાની આગળ કોઈનું દબાણ નથી ચાલતું.'
પોલીસ કોઇને નથી બચાવી રહીઃ યુપી ડીજીપી
જ્યારે ગુરુવારે સવારે મુખ્ય સચિવ ગૃહ અરવિંદ કુમાર અને ડીજીપીએ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં ડીજીપીએ કહ્યું હતું કે પોલીસ કોઈને બચાવવાનો પ્રયાસ નથી કરી હતી. તેમણે કહ્યું 'અમારો પ્રયાસ છે કે બંને પક્ષને સાંભળીને કાર્યવાહી થઈ રહી છે. તમામ કેસ સીબીઆઈમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. હવે સીબીઆઈ નક્કી કરશે કે ધારાસભ્યની ધરપકડ કરવી કે નહીં.'