Home /News /national-international /Bilkis Bano Case: સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બેલાએ બિલ્કિસ બાનો કેસની સુનાવણીથી પોતાને અલગ કરી દીધા
Bilkis Bano Case: સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બેલાએ બિલ્કિસ બાનો કેસની સુનાવણીથી પોતાને અલગ કરી દીધા
બિલ્કિસ બાનો કેસની સુનાવણી
બિલકીસ બાનોએ 2002ના ગોધરા રમખાણો દરમિયાન તેમના પર ગેંગરેપ અને પરિવારના સાત સભ્યોની હત્યાના 11 દોષિતોની વહેલી મુક્તિને પડકારી છે. જસ્ટિસ બેલા એમ ત્રિવેદીએ આ કેસમાં પોતાને અલગ કરી દેતા સુનાવણી મુલતવી રાખવામાં આવી હતી.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ બેલા એમ ત્રિવેદીએ બિલ્કિસ બાનો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણીમાંથી પોતાને અલગ કરી લીધા હતા. આ અરજીમાં બિલકીસ બાનોએ 2002ના ગોધરા રમખાણો દરમિયાન તેમના પર ગેંગરેપ અને પરિવારના સાત સભ્યોની હત્યાના 11 દોષિતોની વહેલી મુક્તિને પડકારી છે. જસ્ટિસ બેલા એમ ત્રિવેદીએ આ કેસમાં પોતાને અલગ કરી દેતા સુનાવણી મુલતવી રાખવામાં આવી હતી.
જસ્ટિસ અજય રસ્તોગી અને બેલા એમ ત્રિવેદીની બેન્ચે આ મામલો સુનાવણી માટે હાથ ધરતાં જ જસ્ટિસ રસ્તોગીએ કહ્યું કે, તેમની બહેન જજ આ કેસની સુનાવણી કરવાનું ઇચ્છતા નથી. આ સાથે ન્યાયાધીશ રસ્તોગીની અધ્યક્ષતાવાળી બેન્ચે તેમનામાંથી કોઈ એક સભ્ય ન હોય એવી બેંચ સમક્ષ મામલાને રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.
બિલ્કીસ બાનો દ્વારા બે અલગ-અલગ અરજીઓમાં 15 ઓગસ્ટના રોજ ગુજરાત સરકાર દ્વારા દોષિતોની વહેલી મુક્તિને પડકારવામાં આવી હતી, જેમાં કહ્યું હતું કે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત કાયદાની જરૂરિયાતને સંપૂર્ણપણે અવગણીને આદેશ આપ્યો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે, ગોધરા ટ્રેન સળગાવવાની ઘટના બાદ વર્ષ 2002માં થયેલા ગુજરાત રમખાણો દરમિયાન બિલ્કિસ બાનો પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો ત્યારે તે 21 વર્ષની હતી અને પાંચ મહિનાની ગર્ભવતી હતી. માર્યા ગયેલા તેના પરિવારના સાત સભ્યોમાં તેની ત્રણ વર્ષની પુત્રી પણ સામેલ હતી.
તેમણે અરજી ફાઇલ કરતી વખતે કહ્યું કે, ફરી વાર ઉભો થવાનો અને ન્યાયના દરવાજા ખટખટાવવાનો નિર્ણય મારા માટે સરળ ન હતો. મારા આખા કુટુંબ અને મારા જીવનને બરબાદ કરનારા લોકોને મુક્ત થયા પછી હું સુન્ન થઈ ગઈ હતી. હું આઘાતથી અપંગ જેવું અનુભવતી હતી. ખાસ કરીને મારા બાળકો, મારી પુત્રીઓ આશા ગુમાવીને હતાશ થઇ ગયા છે.
આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટ દ્વારા સુનાવણી મહારાષ્ટ્રની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. બાદમાં મુંબઈની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે 21 જાન્યુઆરી 2008ના રોજ 11ને આજીવન કેદની સજા સંભળાવી હતી. તેમની સજાને બોમ્બે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે માન્ય રાખી હતી.
જો કે, ઑક્ટોબરમાં ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં તેમની પાસે 11 દોષિતોને મુક્ત કરવા માટે કેન્દ્રની મંજૂરી હોવાનું જણાવ્યું હતું અને તેમાં તેમના "સારા વર્તન"નો ઉલ્લેખ પણ કર્યો હતો. આ દરમિયાન ગુજરાત સરકારે આ વર્ષે 15 ઓગસ્ટે તમામ 11 દોષિતોને મુક્ત કર્યા હતા. આ પછી બિલકિસ બાનોએ 30 નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને ગેંગ રેપ અને હત્યાના દોષિતોને છોડવાના નિર્ણયને પડકાર્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર