દિલ્હી: વિશ્વમાં ભવિષ્ય ભાખનાર લોકોની કોઈ કમી નથી. પણ તેમની ભવિષ્યવાણી સાચી ઠરે તેવી શક્યતા એકદમ નહિવત હોય છે. પણ કેટલાક લોકોએ કરેલી ભવિષ્યવાણી સમયાંતરે સાચી થઈ રહી છે. જેમાં બલ્ગેરિયાના બાબા વેંગા (Baba Vanga Prediction)નું નામ સૌથી પહેલા આવે છે. તેમણે 9/11ના હુમલા, બ્રેક્ઝિટ, પ્રિન્સેસ ડાયના મૃત્યુ અને બરાક ઓબામાના રાષ્ટ્રપતિ પદ સહિતની આગાહીઓ કરી હોવાનું કહેવાય છે. આ સાથે તેમને 2022 માટે કેટલીક ભયંકર ભવિષ્યવાણી કરી હોવાનું પણ જાણવા મળે છે.
બાબા વેંગાનું સાચું નામ વાંગેલિયા ગુશ્તેરોવા હતું. કહેવાય છે કે, તેઓ 12 વર્ષના હતા ત્યારે એક પ્રચંડ તોફાન દરમિયાન રહસ્યમય રીતે તેઓએ દ્રષ્ટિ ગુમાવી હતી. બાદમાં તેમને ભવિષ્ય જોવા માટે ભગવાન તરફથી ખૂબ જ દુર્લભ ભેટ આપવામાં આવી હોવાના દાવા થાય છે.
બાબા વેંગાને બાલ્કન ક્ષેત્રના નાસ્ત્રેદમસ પણ કહેવામાં આવે છે. તેમણે 5079 સુધીની આગાહી કરી હતી. તેમના વિઝનમાંથી 85 ટકા ભવિષ્યવાણી સાચી થઈ હોવાનું કહેવાય છે. 1996માં તેમનું અવસાન થયું હતું.
બાબા વેંગાએ 2022 માટે શું આગાહી કરી હતી?
વર્ષ 2022 માટે બાબા વેંગાએ આગાહી કરી હતી કે ઘણા એશિયન દેશો અને ઓસ્ટ્રેલિયાને તીવ્ર પુરનો સામનો કરવો પડશે. નોંધનીય છે, આ વર્ષે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિનારાના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરનો અનુભવ થયો હતો.
બાબા વેંગાએ એમ પણ સૂચવ્યું હતું કે, દુષ્કાળના પરિણામે મોટા શહેરો પાણીની તંગીનો ભોગ બનશે. ત્યારે તાજેતરમાં જ 12 ઓગસ્ટના રોજ યુકેના કેટલાક ભાગોમાં દુષ્કાળની સત્તાવાર જાહેરાત કરવામાં આવેલા છે. પર્યાવરણ, ખાદ્ય અને ગ્રામીણ બાબતોના વિભાગે પુષ્ટિ કરી છે કે, દક્ષિણ પશ્ચિમના ભાગો, દક્ષિણ અને મધ્ય ઇંગ્લેન્ડના ભાગો અને ઇંગ્લેન્ડના પૂર્વના ભાગોને દુષ્કાળગ્રસ્ત ગણવામાં આવશે.
અગાઉ પોર્ટુગલ અને ઇટાલીએ તેમના નાગરિકોને પાણીની કરકસર કરવા જણાવ્યું હતું. ઇટલી 1950ના દાયકા બાદ સૌથી ખરાબ દુષ્કાળમાંથી પસાર થઇ રહ્યું હોવાનું કહેવાય છે.
બાબા વેંગાએ વધુ શું કહ્યું હતું?
તેમણે જીવલેણ વાયરસ, તાપમાનમાં ઘટાડો થવાને કારણે ભારતમાં દુષ્કાળ, જે તીડના ઝુંડ, એસ્ટરોઇડ દ્વારા એલિયનનું આગમન અને વર્ચ્યુઅલ રિયાલિટી ટેકઓવર સહિતની આગાહીઓ કરી હતી.
તેમણે કહ્યું હતું કે, 2023માં પૃથ્વીની ભ્રમણકક્ષા બદલાશે અને અવકાશયાત્રીઓ 2028માં શુક્રની મુસાફરી કરશે. તેમણે એવી પણ આગાહી કરી હતી કે, 2046માં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ટેકનોલોજીના કારણે લોકો 100 વર્ષથી વધુ સમય સુધી જીવશે. તેઓ કહેતા હતા કે, 2100થી રાત અદૃશ્ય થઈ જશે અને કૃત્રિમ સૂર્યપ્રકાશ પૃથ્વીને પ્રકાશિત કરશે. તેમના મત મુજબ 5079માં પૃથ્વીનો અંત આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર