Home /News /national-international /Babri Masjid Anniversary: 30 વર્ષ પહેલાની 6 ડિસેમ્બરની એ સવાર, અયોધ્યામાં લાખોની ભીડ, 'જય શ્રી રામ'ના નારા
Babri Masjid Anniversary: 30 વર્ષ પહેલાની 6 ડિસેમ્બરની એ સવાર, અયોધ્યામાં લાખોની ભીડ, 'જય શ્રી રામ'ના નારા
ફાઇલ તસવીર
Ayodhya 6th December: અયોધ્યાના મુસ્લિમોએ કહ્યું હતું કે, તેઓ હિન્દુ સમુદાય સાથે ભાઈચારાનું વાતાવરણ બનાવવા માંગે છે. તેથી આવો કોઈ કાર્યક્રમ ઉજવવામાં આવશે નહીં.
6 ડિસેમ્બર, 1992ને કાળો દિવસ કહેવો કે શૌર્ય દિવસ, તે તો ભવિષ્યમાં ઈતિહાસ લખનાર બુદ્ધિજીવીઓ અને ઈતિહાસકારો નક્કી કરશે. અત્યારે આપણે ઉપલબ્ધ મીડિયા રિપોર્ટ્સ અને તપાસ માટે રચાયેલા કમિશનના અહેવાલો વિશે વાત કરીશું કે 30 વર્ષ પહેલાં 6 ડિસેમ્બરની સવારે, બપોરે અને સાંજે ક્યારે, કેવી રીતે, શું થયું? અયોધ્યામાં ડિસેમ્બરની 6 તારીખે ઉગ્ર ટોળા દ્વારા વિવાદિત માળખું તોડી પાડવામાં આવ્યું હતું.
લિબરહાન કમિશનના રિપોર્ટ અનુસાર, એક દિવસ પહેલા એટલે કે, 5 ડિસેમ્બર 1992ની સવારે વિવાદિત માળખાને તોડી પાડવાની કવાયત પણ કરવામાં આવી હતી. ત્યાર બાદ 6 ડિસેમ્બરે વિવાદિત સ્ટ્રક્ચરને તોડી પાડવામાં આવ્યું હતું. જે બાદ 2019માં સુપ્રીમ કોર્ટે તેના નિર્ણય સાથે તમામ વિવાદો હંમેશા માટે સમાપ્ત કરી દીધા હતા.
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ વિવાદિત માળખાની જગ્યાએ રામ મંદિરનું નિર્માણ પણ શરૂ કરવામાં આવ્યું છે અને હાલમાં તે કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. જોકે, આ પછી પણ કેટલીક સંસ્થાઓ અને આગેવાનો સમયાંતરે આ મુદ્દો ઉઠાવતા રહે છે. ગત વર્ષે મુસ્લિમ સમુદાયે નિર્ણય લીધો હતો કે, અયોધ્યામાં કાળો દિવસ ઉજવવામાં આવશે નહીં.
અયોધ્યાના મુસ્લિમોએ કહ્યું હતું કે, તેઓ હિન્દુ સમુદાય સાથે ભાઈચારાનું વાતાવરણ બનાવવા માંગે છે. તેથી આવો કોઈ કાર્યક્રમ ઉજવવામાં આવશે નહીં. પરંતુ, આ વખતે બાબરી મસ્જિદ એક્શન કમિટી ફરી એકશનમાં જોવા મળી રહી છે. તેમણે જાહેર સભા યોજવાની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં કોઈપણ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. ચાલો જાણીએ કે, 6 ડિસેમ્બર 1992ની સવારે શું થયું હતું?
બાબરી મસ્જિદના વિવાદિત માળખાને તોડી પાડવાની તૈયારીઓ પહેલાથી જ ચાલી રહી હતી. 2009માં રચાયેલા લિબરહાન કમિશનના અહેવાલ પરથી પણ આ વાતની પુષ્ટિ થાય છે. રિપોર્ટ અનુસાર, 5 ડિસેમ્બર 1992ની સવારે આ માટે પ્રેક્ટિસ કરવામાં આવી હતી. કવાયતને લગતી કેટલીક તસવીરો પંચ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. એક દિવસ અગાઉ થયેલા હંગામા પછી 6 ડિસેમ્બર 1992ની સવારે 'જય શ્રી રામ', 'રામલલ્લા હમ આયેંગે, મંદિર વહી બનાયેંગે', 'એક ધક્કા ઔર દો...' જેવા સૂત્રો સર્વત્ર ગુંજતા હતા. વિવાદિત માળખાથી લગભગ 200 મીટરના અંતરે બનેલા મંચ પર ઘણા નેતાઓ, ઋષિઓ અને સંતો બેઠા હતા. આ મંચ પર લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, કલરાજ મિશ્રા, રામચંદ્ર પરમહંસ અને અશોક સિંઘલ હાજર હતા.
બપોર બાદ અચાનક વાતાવરણમાં બદલાવ આવ્યો હતો
ફૈઝાબાદના જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકની હાજરીમાં સવારે 9 વાગ્યે પૂજા ચાલી રહી હતી. લોકો ભજન-કીર્તન કરી રહ્યા હતા. બપોરે 12 વાગ્યાની આસપાસ બંનેએ બાબરી મસ્જિદ રામ જન્મભૂમિ પરિસરની મુલાકાત પણ લીધી હતી. જોકે, બંને એ સમજવામાં નિષ્ફળ ગયા કે ત્યાં ટૂંક સમયમાં આવું કંઈક થવાનું છે, જે ઘણા દાયકાઓ સુધી યાદ રહેશે. તેમની મુલાકાતના થોડા સમય બાદ ત્યાંનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. વિશ્વ હિંદુ પરિષદના નેતા અશોક સિંઘલે માઈક પર કહ્યું કે, કેટલાક અસામાજિક તત્વો અમારી સભામાં ઘૂસ્યા છે. એવું કહેવાય છે કે, વિહિપ (VHP)ની તૈયારી મંદિર પરિસરમાં સ્વચ્છતા અને પૂજા માટે જ હતી, પરંતુ કારસેવકો તે વખતે આ સાથે સહમત ન હતા.
અચાનક કાર સેવકોનું ટોળું નારા લગાવતા વિવાદિત સ્થળે ઘુસી ગયું. આ પછી દરેક જગ્યાએ હોબાળો અને અશાંતિ શરૂ થઈ ગઈ. ભીડ વિવાદિત માળખા પર ચઢી ગઈ હતી. થોડી જ વારમાં ઘણા લોકો ગુંબજની આસપાસ ચઢી ગયા હતા. તેઓના હાથમાં કોદાળી, છીણી-હથોડી હતી, જેના વડે તેઓએ માળખું તોડવાનું શરૂ કર્યું. આ દરમિયાન ભીડ કોદાળી અને પાવડો લઈને વિવાદિત માળખા તરફ આગળ વધી રહી હતી. તેમને રોકવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. કહેવાય છે કે આ દરમિયાન સંઘના કાર્યકર્તાઓ સાથે ઝપાઝપી થઈ હતી, પરંતુ તેઓ તેમને રોકી શક્યા ન હતા. થોડી જ વારમાં વિવાદિત માળખું તોડી પાડવામાં આવ્યું હતું.
કલ્યાણ સિંહે એક જ લાઈનમાં રાજીનામું લખી આપ્યું
બાબરી મસ્જિદના સ્ટ્રક્ચરનો પહેલો ગુંબજ બપોરે 2 વાગ્યાની આસપાસ તૂટી પડ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટલાક લોકો પહેલા ગુંબજની નીચે પણ દટાઈ ગયા હતા. સાંજે 5 વાગ્યા સુધીમાં ટોળાએ તમામ ગુંબજ નીચે પાડી દીધા હતા. આ દરમિયાન જ્યારે અર્ધલશ્કરી દળોએ કાર સેવકોને રોકવાનો પ્રયાસ કર્યો તો ભીડે તેમના પર પથ્થરમારો શરૂ કર્યો. આ પછી કલ્યાણ સિંહે વિવાદિત માળખાને તોડી પાડવાની નૈતિક જવાબદારી સ્વીકારીને સાંજ સુધીમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે પોતાનું રાજીનામું માત્ર એક લાઈનમાં લખી દીધું. તેમાં લખ્યું હતું કે, 'હું મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી રહ્યો છું, મહેરબાની કરીને તેને સ્વીકારો.' આ પછી દેશભરમાં હિંસાનો અંધકાર છવાઈ ગયો, જે દાયકાઓ સુધી યાદ રહેશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર