નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus)થી દુનિયાભરમાં હજારો લોકોના મોત થઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી આ ખતરનાક વાયરસથી લડવા માટે ન તો કોઈ વેક્સીન છે અને ન તો કોઈ દવા. જોકે કેટલીક દવાઓની થોડી અસર જરૂર થઈ રહી છે. આ પૈકી એક છે રેમડેસિવીર (Remdesivir). આ મેડિસિનને તૈયાર કરી છે અમેરિકાની કંપની ગિલિયડ સાઇન્સિસ (Gilead Sciences)એ. હેવ આ દવાને ભારત (India) માં ઉપયોગમાં લેવા માટે મંજૂરી મળી ગઈ છે.
માત્ર ગંભીર દર્દીઓ પર થશે ઉપયોગ
અંગ્રેજી અખબાર ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ મુજબ ભારતની દવા નિયામક એકમ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDCSCO)એ રેમડેસિવીરના ઉપયોગને લઈ મંજૂરી આપી દીધી છે. આ દવાને કોરોનાના એવા દર્દીઓને આપવામાં આવશે, જે હૉસ્પિટલમાં દાખલ છે. તેમાં વયસ્ક અને બાળકો બંને સામેલ છે. અમેરિકાથી આ દવાને મુંબઈની એક કંપની ક્લિનેરા ગ્લોબલ સર્વિસિસ દ્વારા આયાત કરવામાં આવશે. હાલ કોરોનાના દર્દીઓ પર આ દવાનો ઉપયોગ માત્ર 5 દિવસ માટે કરવામાં આવશે.
સૌથી અસરદાર દવા છે રેમડેસિવીર!
નોંધનીય છે કે, એન્ટી વાયરસ ડ્રગ રેમડેસિવીર (Remdesivir) પર હાલમાં સમગ્ર દુનિયાની નજર ટકેલી છે. હાલ અલગ-અલગ ચરણમાં તેના ટ્રાયલ ચાલી રહ્યા છે. ત્રીજા ચરણના પરિણામ મુજબ આ દવાના ઉપયોગથી 65 ટકા દર્દીઓમાં 11મા દિવસે હાલત સારી જોવા મળી. ગયા મહિને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર ડૉ. ફૉસીએ વ્હાઈટ હાઉસમાં આ દવાની સફળતા વિશે જાહેરાત કરી હતી. તેઓએ કહ્યું કે આંકડા જણાવે છે કે રેમડેસિવીર દવાની ખૂબ સ્પષ્ટ, પ્રભાવી અને સકારાત્મક અસર પડી રહી છે. ડૉ. ફૉસીએ જણાવ્યું કે રેમડેસિવીરનો અમેરિકા, યૂરોપ અને એશિયાના 68 સ્થળો પર 1063 લોકો પર ટ્રાયલ કરવામાં આવ્યો જેનાથી એ જાણી શકાય કે રેમડેસિવીર દવા કોરોના વાયરસને રોકી શકે છે.
જાપાનમાં કોરોના વાયરસના સંક્રમણની સારવારમાં રેમડેસિવીર દવાનો ઉપયોગને મંજૂરી ગયા મહિને આપી દીધી હતી. જાપાને ત્રણ દિવસની અંદર જ તેની પર નિર્ણય લેવામાં આવ્યો હતો. જાપાનમાં કોરોનાની સારવારની અધિકૃત દવા છે રેમડેસિવીર.