ન્યૂઝ 18 ગુજરાતી : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર (Narendra Modi Government) એર ઇન્ડિયા (Air India)નો 100 ટકા હિસ્સો વેચવાની તૈયારીમાં છે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું હતું કે સરકાર એરલાઇન્સનો (Airlines) બિઝનેસ ચલાવવા માંગતી નથી. આ કામ પ્રાઇવેટ કંપનીએ કરવું જોઈએ. તેમણે કહ્યું કે એર ઇન્ડિયાનું સંપૂર્ણપણે ખાનગીકરણ થશે. એર ઇન્ડિયાની ખરીદી માટે અનેક લોકો ઉત્સુક છે.
ઉલ્લેખનીય છે કે એર ઇન્ડિયા લાંબા સમયથી કરજમાં ડૂબેલી છે અને આર્થિક સંકટોનો સામનો કરી રહી છે. થોડા દિવસો પહેલાં જ સરકારી ઑઇલ કંપનીઓનું બીલ ન ચુકવી શકનારી એર ઇન્ડિયાની સપ્લાય HPCL, BPCL અને IOCએ સ્થગિત કરી દીધી હતી.
વહેલી તકે નિર્ણય લેવાશે હરદીપ પુરીએ કહ્યું કે એર ઇન્ડિયાનું ખાનગીકરણ વહેલીતકે થશે. અમિત શાહ જે એર ઇન્ડિયાનો સરકારી હિસ્સો વેચવાની કમિટીના અધ્યક્ષ છે તેઓ પણ આ મુદ્દે મક્કમ છે. અગાઉ કૅબિનેટ સેક્રેટરીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ ચુકી છે. આગામી દિવસોમાં હજુ એક રાઉન્ડ ટેબલ બેઠક થશે.
પુરીએ ઉમેર્યુ કે નાગરિક ઉડ્ડયન મંત્રાલય, એવિશન ટર્બાઇન ફ્યૂલ (ATF)નો જી.એસ.ટીમાં સમાવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણને આગામી દિવસોમાં આ નિર્ણય મંજૂર કરવા વિનંતી કરાશે.
એર ઇન્ડિયા પર કરજ એર ઇન્ડિયાએ કર્મચારીઓના પગાર પેટે દર મહિને 300 કરોડ રૂ. ચુકવવા પડે છે. મે મહિનામાં કર્મચારીઓને 10 દિવસ મોડો પગાર મળ્યો હતો. નાણાકીય વર્ષ 2017-18ની સરખામણીએ વર્ષ 2018-19માં એર ઇન્ડિયાના દેવામાં 3,351.93 કરોડ રૂપિયાનો વધારો થયો છે. નાણાકીય વર્ષ 2017-18માં એરલાઇનનું દેવું 55,000 કરોડ રૂ. હતું જે વધીને 58,351.93 કરોડ થયું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર