નવી દિલ્હીઃ દિલ્હી હાઇકોર્ટે આજે 1984 શીખ વિરોધી તોફાનો મામલે નીચલી કોર્ટના ચુકાદાને પડકારતી અપીલ પર પોતાનો નિર્ણય આપ્યો હતો. નીચલી કોર્ટે આ કેસમાં કોંગ્રેસના નેતા સજ્જન કુમારને છોડી મુક્યા હતા. જ્યારે દિલ્હીની હાઇકોર્ટે આ કેસમાં સજ્જન કુમારને જનમટીપની સજા ફટકારી છે. સજ્જન કુમાર કાવતરું રચવું તેમજ હિંસા ભડકાવવાના ગુનામાં દોષિત ઠર્યાં હતાં.
જસ્ટિસ એસ મુરલીધર અને જસ્ટિસ વિનોદ ગોયલની ખંડપીઠે 29 ઓક્ટોબરના રોજ સીબીઆઈ, રમખાણ પીડિતો અને દોષિતો તરફથી કરવામાં આવેલી અપીલ પર દીલીલો સાંભળીને ચુકાદો મુલતવી રાખ્યો હતો.
પૂર્વ કોંગ્રેસ પાર્ષદ બલવાન ખોખર, રિટાયર નેવી ઓફિસર કેપ્ટન ભાગમલ, ગિરધારી લાલ અને બે અન્ય લોકોને તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ પહેલી નવેમ્બર 1984ના રોજ દિલ્હી છાવણીના રાજનગર ક્ષેત્રમાં એક પરિવારના પાંચ સભ્યોની હત્યા સાથે જોડાયેલા મામલામાં દોષી જાહેર કરવામાં આવ્યા હતા. નિચલી કોર્ટે આ કેસમાં સજ્જન કુમારને છોડી મૂક્યા હતા, પરંતુ ખોખર, ભાગમલ અને લાલને આજીવન કેદની સજા જ્યારે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર યાદવ અને કિશન ખોખરને ત્રણ-ત્રણ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી.
તમામ દોષીઓએ મે 2013માં નીચલી કોર્ટના નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. સામે પક્ષે સીબીઆઈએ પણ અપીલ કરતા આરોપ લગાવ્યો હતો કે તે 'પૂર્વઆયોજિત તોફાનો' અને 'ધાર્મિક રૂપથી સફાયો' કરવાના ઉદેશ્યથી હતા. એજન્સી અને પીડિતોએ સજ્જન કુમારને છોડી મૂકવા સામે પણ અપીલ દાખલ કરી હતી.
શા માટે થયા હતા તોફાનો?
1984માં તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને તેમના જ સુરક્ષા ગાર્ડોએ હત્યા કરી નાખી હતી. જે બાદમાં દેશના અનેક શહેરોમાં શીખ વિરોધી રમખાણો ફાટી નીકળ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીના અમુક કાર્યકરો આમાં સક્રિય રૂપથી સામેલ હતા. ઇન્દિરા ગાંધીની હત્યા શીખના એક અલગાવવાદી જૂથે અમૃતસરમાં સુવર્ણ મંદિરમાં કરવામાં આવેલી સૈનિક કાર્યવાહીના વિરોધમાં કરી હતી.
ભારત સરકારના અધિકારિક આંકડા પ્રમાણે ભારતમાં આ તોફાનો દરમિયાન 2800 લોકોનાં મોત થયા હતા. જેમાંથી 2100 મોત ફક્ત દિલ્હીમાં જ થયા હતાં. સીબીઆઈ તપાસ દરમિયાન સરકારના અમુક કર્મચારીઓનો હાથ પણ હિંસા ભડકાવવામાં હોવાનું માલુમ પડ્યું હતું. ઇન્દિરાની હત્યા બાદ તેમના પુત્ર રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા હતા.