અમદાવાદથી 150 કિલોમીટર દૂર મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં વડાપ્રધાન મોદીનો જન્મ થયો હતો. આજે પણ વડનગરમાં વડાપ્રધાનની યાદો અકબંધ છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની સમગ્ર દેશ ઉજવણી કરી રહ્યું હતુ, ત્યારે વડનગરવાસીઓએ પણ અનોખી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવ્યો.
હાટકેશ્વર મંદિરમાં યોજાઈ મહાઆરતી વડનગરમાં આવેલાં હાટકેશ્વર મહાદેવ મંદિરમાં વડનગરવાસીઓએ પોતાના ઘરેથી દિવા લાવીને હાટકેશ્વર દાદાની મહાઆરતી કરી હતી. આ અંગે મંદિરનાં પૂજારી નિરંજન રાવલે ન્યૂઝ18 સાથે વાતચીત કરતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે આજે સમગ્ર વડનગરવાસીઓએ હાટકેશ્વર દાદાને પ્રાર્થના કરી છે. સાથે તેમણે એમ પણ જણાવ્યું કે જયારે તેમનાં પિતા મંદિરમાં પૂજારી હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાળામાં જતાં હાટકેશ્વર મંદિરના દર્શને આવતાં અને અહીં મંદિરનાં પ્રાંગણમાં રમતાં હતા, જેનાં તેઓ સાક્ષી રહેલાં હતા.
વિસામો વૃદ્ધાશ્રમમાં નમો નમો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં તેમનાં ભાઈ સોમાભાઈ દ્રારા વિસામો વૃદ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. જ્યાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન પર વિશેષ પ્રકારે કેક બનાવવામાં આવ્યો હતો. જ્યાં કેન્દ્રીય વિદ્યાલયના બાળકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે બાર બાર દિન યે આયે ગીત ગાઈને સેલિબ્રેશન કર્યુ હતું.
રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર દ્રારા શર્મિષ્ઠા તળાવના નીર વધામણાં એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા નમામિ દેવી નર્મદા મહોત્સવ અંતર્ગત નર્મદાની પૂજા થઈ રહી હતી જ્યારે બીજી તરફ વડનગરના સુવિખ્યાત શર્મિષ્ઠા તળાવ પર પૂજા રાખવામાં આવી હતી. શર્મિષ્ઠા તળાવ પર રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર દ્રાર શર્મિષ્ઠમાં સંગ્રહ કરાયેલાં નર્મદાના નીરના વધામણાં કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સમગ્ર ઉપસ્થિત રહેલાં તમામ લોકોમાં લાડુ વેચાયા હતા.
મેડિકલ કોલેજથી પ્લાસ્ટિક મુક્ત વડનગર બનાવવા પ્રતિજ્ઞા સમગ્ર ભારત પ્લાસ્ટિક મુક્ત બને તે માટે કેન્દ્ર સરકારના પ્રયાસ અંતર્ગત આજે વડનગરના મેડિકલ કોલેજનાં વિદ્યાર્થીઓ દ્રારા રેલી કાઢવામાં આવી હતી. મેડિકલ કોલેજનાં વિદ્યાર્થીઓ કોલેજથી તળાવ સુધી 5 કિલોમીટરની રેલી કાઢીને પ્લાસ્ટિક મુક્ત વડનગરના નારા લગાવવામાં આવ્યા હતા.