વડોદરાઃ રાજ્યમાં પતિ પત્નીની (Husband wife Murder) હત્યાના કિસ્સાઓનો ગ્રાફ જાણે વધી રહ્યો હોય તેમ અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આવો જ એક ઘાતકી હત્યાનો કિસ્સો વડોદરામાં (Vadodara Crime) સામે આવ્યો છે. પત્નીએ કંટાળીને પતિની હત્યા (wife kills husband) કરી નાંખી છે. શહેરના છાણીમાં (Chani) ટીપી 13 વિસ્તારમાં સોમેશ્વર મહાદેવ સામે વીએમસી ક્વાટર્સમાં 42 વર્ષના નવીન ગોરધનભાઇ શર્માની હત્યા થઇ છે. તેઓ પોતાની પત્ની રંજન, 8 વર્ષના પુત્ર અને 6 વર્ષની પુત્રી સાથે રહેતો હતો. તેના બાજુના ઘરમાં પિતા રહે છે.
પત્નીએ રચ્યું હતું નાટક
આ અંગે મળતી માહિતી પ્રમાણે, રંજન રાતે બાળકો સાથે સસરાના ફ્લેટમાં સૂઇ ગઇ હતી. જે બાદ સવારે સાડા છ વાગે પતિના ફ્લેટમાં ગઇ હતી. થોડીવાર બાદ તેણે બૂમાબૂમ કરી હતી. તેણે સસરાને બૂમ પાડીને જણાવ્યુ હતુ કે, પપ્પા જલ્દી આવો, નવીન નીચે પડી ગયા છે, બોલતા નથી. જે સાંભળીને વૃધ્ધ હાંફળાફાંફળા થઇને દોડ્યો હતો. સસરાએ ત્યાં જઇને પુત્રની હાલત જોઇને 108માં ફોન કરીને બોલાવી હતી. ત્યારે નવીનના ગળા તેમજ હાથે-પગે ઇજાના નિશાન દેખાતા હતા. જેથી 108ના સ્ટાફને શંકા ગઇ હતી. જેથી આ લોકોએ ફતેગંજ પોલીસને જાણ કરતા ત્યાંનો સ્ટાફ દોડીને આવ્યો હતો. જે દરમિયાન નવીનની હત્યા થઇ હોવાનું સામે આવ્યું હતુ.
પત્ની આસપાસના બંગલામાં કામ કરતી હતી
નવીન કોઇ કામ કરતો નહતો. રંજન આસપાસના બંગલાઓમાં ઘરકામ કરીને બંને બાળકોનું ધ્યાન રાખતી હતી. હત્યાની આગળની રાતે રંજન સસરાને ઘેર આવી હતી અને સસરાને ખીર ખવડાવી હતી.આ વખતે તેના બંને સંતાનો બાજુના ફ્લેટમાં પતિ નવીન પાસે હતા. જેથી રંજન ત્યાં ગઇ હતી. મધરાતે બાર વાગે તે બાળકોને લઇને ફરીથી સસરાના ફ્લેટમાં પરત આવી હતી.
પોલીસે સઘન પૂછપરછ કરતા સામે પત્નીએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. પત્ની રંજને જણાવ્યું હતુ કે, પતિ નવીને તેના ચારિત્ર્ય પર શંકા કરીને માર માર્યો હતો. જેથી પત્નીએ લોખંડના રોડથી તેનું ગળું દબાવી દીધું હતુ. ત્યરબાદ પગે વાયર બાંધીને કરંટ પણ આપ્યો હતો.
હત્યાને કુદરતી મોતમાં ખપાવવા કરી નાંખી હત્યા
પતિની હત્યાને કુદરતી મોતમાં ખપાવવા માટે પત્નીએ નાટક રચ્યું હતુ પરંતુ તે પકડાઇ ગઇ હતી. પત્ની રાતે જ બાળકોને લઇને બાજુમાં જ રહેતા સસરાના ફ્લેટમાં જતી રહી હતી. સવારે સડા છ વાગે બાળકોને શાળાએ મોકલીને પત્ની પતિના ફ્લેટમાં ગઇ હતી. જેની થોડી જ વારમાં તેણે સસરાને બૂમ પાડીને બોલાવ્યા હતા.
80 વર્ષના સસરા ગોરધનભાઇ પર નવીનના બંને સંતાનો એટલે ક પૌત્ર અને પૌત્રીની જવાબદારી આવી ગઇ છે. તેમને બે પુત્ર હતા. એક પુત્રએ છ વર્ષ પહેલા આપઘાત કરી લીધો હતો. જ્યારે હવે બીજા પુત્રની પણ હત્યા થઇ ગઇ છે. આપઘાત કરનાર પુત્રની પત્ની બે બાળકો સાથે પિયરમાં રહે છે અને સસરા તેના જ ઘરે રહેતા હતા.