Nidhi Dave, Vadodara: હાલ લગ્ન સીઝન ચાલી રહી છે તથા જ્યારથી બજેટ રજૂ કરવામાં આવ્યું છે ત્યારથી સોનાના ભાવમાં ઉતાર ચઢાવ નોંધાઈ રહ્યો છે. જેમાં આજરોજ મંગળવારે 24 કેરેટ સોનાની લગડીનો 3% જી.એસ.ટી સાથેનો ભાવ 57,920 રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે.
જેમાં 22 કેરેટ ઘરેણાંની કિંમત 53,290 રૂપિયા અને 18 કેરેટ ઘરેણાની કિંમત 43,440 રૂપિયા છે. જ્યારે ચાંદીનો 3% જી.એસ.ટી. સહિતનો આજનો લગડીનો ભાવ 68,000 રૂપિયા અને ચાંદીનાં ઘરેણાંનો ભાવ 67,500 રૂપિયા છે. સોના કરતા ચાંદીના ભાવમાં ઉછાળો નોંધાયો છે. પરંતુ આજે ચાંદીના ભાવમાં કોઈ બદલાવ નોંધાયો નથી.
જ્યારે સોમવારે 24 કેરેટ સોનાની લગડીનો 3% જી.એસ.ટી સાથેનો ભાવ 58,100 રૂપિયાની સપાટીએ પહોંચ્યો હતો. જેમાં 22 કેરેટ ઘરેણાંની કિંમત 53,450 રૂપિયા અને 18 કેરેટ ઘરેણાની કિંમત 53,580 રૂપિયા સપાટી એ હતો. જ્યારે ચાંદીનો 3% જી.એસ.ટી. સહિતનો લગડીનો ભાવ 68,000 રૂપિયા અને ચાંદીનાં ઘરેણાંનો ભાવ 67,500 રૂપિયા હતો. સોના કરતા ચાંદીના ભાવમાં ઉછાળો નોંધાયો છે.
સોનાના ભાવ રાતોરાત વધવા - ઘટવા પાછળ વૈશ્વિક કારણો પણ જવાબદાર છે. તદુપરાંત શેરમાર્કેટની ઉથલ - પાથલ , સટ્ટાખોરી , ફુગાવો - મંદી સહિત વૈશ્વિક સ્તરે અવિશ્વાસ અસ્થિરતાનો માહોલ બરકરાર હોવાનું તારણ પી.એન.ગાડગીલ ના અર્જુન ઓડે દર્શાવ્યું છે. ઉલ્લેખનીય છે કે શહેર જિલ્લામાં મોટા 40 અને નાના 310 જેટલા જ્વેલર્સો સામાન્ય દિવસોમાં સરેરાશ રૂપિયા 40 થી 50 કરોડનું સોનું વેચે છે.
હાલમાં લગ્નસરાની પૂરબહાર ખિલેલી મોસમમાં સોનાના ભાવ હંગામી ધોરણે વધ્યા હોવાછતા ખરીદીને ઝાઝી અસર વર્તાઇ નથી. જેના અંતર્ગત કારણોમાં લગ્નો શુભપ્રસંગો માટે સોનું ખરીદવાનું જે તે પરિવારોનું ચોક્કસ બજેટ હોય છે. એવા પરિવારો સોનાનો ભાવ વધતા 10 તોલાને બદલે 8 તોલા સોનું ખરીદતા હોવાનો ટ્રેન્ડ જારી રહ્યો હોવાનું જણાવ્યું છે.