યુવતીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવતા આ કેસમાં નવો વળાંક આવ્યો
યુવતીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવતા આ કેસમાં નવો વળાંક આવ્યો છે. યુવતીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર લવ જેહાદના કેસમાં પતિ અને સાસુએ જબરજસ્તીથી સમાધાન કરાવ્યું અને વિધર્મી પતિએ છૂટાછેડા આપવા માટે પરિણીતા પાસે રૂપિયા 25 લાખની માંગણી કરી હતી.
વડોદરા : રાજ્યમાં લવ જેહાદના કાયદામાં આવેલા સુધારા બાદ સૌપ્રથમ લવ જેહાદનો કેસ વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો. આ ચકચારભર્યા કેસમાં 26 વર્ષીય પરિણીતાએ વિધર્મી પતિની તરફેણમાં તેને જેલમાંથી છોડાવવા માટે હાઇકોર્ટમાં એફિડેવિટ કરી હતી. જે બાદ આ કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. યુવતીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવતા આ કેસમાં નવો વળાંક આવ્યો છે. યુવતીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર લવ જેહાદના કેસમાં પતિ અને સાસુએ જબરજસ્તીથી સમાધાન કરાવ્યું અને વિધર્મી પતિએ છૂટાછેડા આપવા માટે પરિણીતા પાસે રૂપિયા 25 લાખની માંગણી કરી હતી.
પરિણીતાની ફરિયાદ બાદ ગોત્રી પોલીસે વિધર્મી પતિ તથા સાસુ અને સસરાની અટકાયત કરી છે. જેમની કોવિડ ટેસ્ટના રિપોર્ટ આવ્યા બાદ સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવશે.
પરિણીતાએ પોલીસ સમક્ષ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે કે, મારી પાસે જબરજસ્તીથી સમાધાન કરાવવામાં આવ્યું છે. 6 ડિસેમ્બરે સાંજે પતિ અને સાસુએ મને સાવરણીથી માર માર્યો હતો અને સાથે જ ધમકી પણ આપી હતી કે લવ જેહાદનો કેસ પતી ગયો છે, હવે અમારુ કામ થઇ ગયું છે. તારા પેટમાં બાળક છે તેની અને તારી અમારે હવે જરૂર નથી. એમ કહીને વિધર્મી પતિ પરિણીતાના પેટના ભાગે લાતો મારતો હતો. જ્યારે પરિણીતા મોબાઇલ લેવા ગઇ ત્યારે તેણે તેનો મોબાઇલ પણ તોડી નાંખ્યો અને કહ્યું કે, તારી પાસે રેકોર્ડિંગ હશે તો તુ પોલીસને સંભળાવીશ ને. પરિણીતાએ અન્ય ફોનથી 100 નંબર ડાયલ કરતાં મકરપુરા પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો અને તે સમયે પતિ તથા સાસરિયાઓ ફરાર થઇ ગયા હતા.
પરિણીતાએ વધુમાં જણાવ્યું હતું કે, હું પહેરેલા કપડે પોલીસ સ્ટેશન આવી હતી. 16 ડિસેમ્બરે જ્યારે પતિને ફોન કરીને છૂટાછેડા આપવાનું કહ્યું તો તેણે સામે 25 લાખની માંગણી કરી હતી. તેણે ધમકી આપી કે, પૈસા હોય તો વાત કરજે નહીંતર બાળક લઇને તારા બાપના ઘરે રહેજે. આ મામલે ગોત્રી પોલીસે પતિ સીર તથા સસરા અબ્દુલ કુરેશી અને સાસુ ફરીદા કુરેશીની અટકાયત કરી છે અને કોવિડ ટેસ્ટ પછી તેમની ધરપકડ કરવામાં આવશે.
ફરિયાદમાં પીડિતાનું કહેવું છે કે આરોપી સમીર અબ્દુલ કુરેશીએ પોતાને ક્રિશ્ચિયન ગણાવીને તેને પ્રેમ જાળમાં ફસાવી હતી. આ પછી, તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા પછી તેણે તેની સાથે લગ્ન કર્યા. લગ્ન બાદથી જ તે ધર્મ પરિવર્તન માટે દબાણ કરતો હતો. સંમત ન થવા પર તેની સાથે ઝઘડો કરી રહ્યો હતો. તે બાદ પીડિતાએ પોલીસ ફરિયાદ કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
જેલમાંથી છૂટીને આવ્યો ત્યારથી જ કરતો મારપીટ
સમીરે લાંબો સમય જેલવાસ ભોગવ્યો હતો. તે બાદ તે જેલમાંથી છૂટીને ઘરે આવ્યો ત્યારથી દરરોજ પીડિતા સાથે મારપીટ કરતો. પિયરે ગઇ ત્યારે ત્યાં આવીને પણ મારઝુડ કરતો. જે બાદ પિતા સાથે પણ રકઝક તથા હાથાપાઇ કરી હતી. પિતાએ ફરિયાદ નોંધાવતા તેને પરત ખેંચવા પણ દબાઇ કરતો હતો.
સોશિયલ મીડિયા દ્વારા થઇ હતી મુલાકાત
પીડિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તે સમીરને સોશિયલ મીડિયા દ્વારા મળી હતી. તે સમયે સમીરે તેની પ્રોફાઈલમાં તેનું નામ સેમ લખ્યું હતું. મિત્રતા પછી બંનેની મુલાકાત શરૂ થઈ અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. દરમિયાન સમીરે તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા. જેના કારણે તેણી બે વખત ગર્ભવતી બની હતી અને બંને વખત સમીરે તેનો ગર્ભપાત કરાવ્યો હતો.
કોર્ટ મેરેજ પછી મસ્જિદ લઈ જવામાં આવી
આ પછી સમીરે તેની સાથે કોર્ટ મેરેજ કર્યા. થોડા દિવસો પછી, તેને ફરીથી વડોદરાની એક મસ્જિદમાં લઈ જવામાં આવી અને ત્યાં હાજર બે લોકોએ બળજબરીથી નિકાહ પઢ્યા. આ પછી સમીરે પોતાની ઓળખ જાહેર કરી અને તેના પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાનું શરૂ કર્યું. જ્યારે પીડિતાએ તેને તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાનું કહ્યું તો તેણે તેની સાથે મારપીટ કરવાનું શરૂ કર્યું. પીડિતાએ જણાવ્યું કે તે કોઈક રીતે તેના ચુંગાલમાંથી છટકી ગઈ અને સીધી ગોત્રી પોલીસ સ્ટેશન ગઈ અને કેસ નોંધાવ્યો.