600 વર્ષ જૂના ઐતિહાસિક હજીરા Kutbuddin Muhammad tomb at Hajira...
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના વડોદરા વર્તુળ દ્વારા આઝાદીકા અમૃત પર્વ અને હર ઘર તિરંગા અભિયાન હેઠળ મકરપૂરા વિસ્તારના ઐતિહાસિક હજીરા ખાતે ધ્વજ વંદન અને સ્વતંત્રતા પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
Nidhi dave, Vadodara: ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના (Archaeological Survey of India) વડોદરા વર્તુળ દ્વારા આગામી તા. 15 મી ઓગષ્ટના રોજ, 76 માં સ્વતંત્રતા પર્વ પ્રસંગે 50 ફૂટ એટલે કે 15 મીટર ઊંચા ધ્વજ સ્તંભ પર રાષ્ટ્ર ધ્વજ (National Flag) ફરકાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે આ સ્થળે આઝાદી કા અમૃત પર્વ (Azadi Ka Amrut Mahotsav) અને હર ઘર તિરંગા અભિયાન (Har Ghar Tiranga Campaign) હેઠળ સ્વતંત્રતા પર્વની ઉજવણી સવારના સમયે કરવામાં આવશે.
આ કાર્યક્રમ અંદાજે 600 વર્ષ જૂના ઐતિહાસિક હજીરા ( kutbuddin muhammad tomb at hajira) ખાતે રાખવામાં આવ્યો છે જે એ. એસ. આઇ. ના સંરક્ષણ હેઠળનું વારસા સ્થળ છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના વડોદરા વર્તુળ દ્વારા અધિક્ષક પુરાતત્વવિદ એ.એમ.વી. સુબ્રમણ્યમના માર્ગદર્શન અને ઉચ્ચ સ્તરેથી ઠરાવેલી માર્ગદર્શિકાને અનુસરીને વિવિધ સંરક્ષિત સ્મારકો ખાતે આઝાદીકા અમૃત પર્વ હેઠળ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે જેનો આશય લોકો આ સ્મારકોના માધ્યમથી ઇતિહાસને જાણે અને તેમના સંરક્ષણમાં સહભાગી બને એવો છે.
એ.એસ.આઇ. હેઠળ ગુજરાતમાં 177 સંરક્ષિત સ્મારકો છે આ પૈકી કેટલાંકની મુલાકાત વિનામૂલ્યે લઈ શકાય છે. જ્યારે અન્ય કેટલાંકની મુલાકાત પ્રવેશ મૂલ્યને આધીન છે. આઝાદી 75 હેઠળ હાલમાં જે સ્મારકોમાં પ્રવેશ દર છે, એની મુલાકાત પણ લોકો તા. 15 મી ઓગષ્ટ સુધી વિનામૂલ્યે લઈ શકે છે. આ ઉપરાંત વિવિધ સ્મારકો ખાતે પર્વ પ્રાસંગિક લાઈટિંગનું સુશોભન કરવાનું આયોજન છે.
80 જેટલા સ્મારકો ખાતે સ્વચ્છતા અભિયાન યોજવામાં આવી રહ્યું છે જેમાં વડોદરા પેટા વર્તુળના ગોરજ સ્થિત પ્રાચીન શિવ મંદિર અને ડભોઇની હીરાભાગોળ તથા બોરસદની વણઝારી વાવનો સમાવેશ થાય છે. હજીરા ખાતે સ્વતંત્રતા પર્વ સુરતના સમાજ સેવક પદ્મશ્રી કનુભાઈ ટેલર ધ્વજ વંદન કરાવશે. આ સ્થળને પર્વ પ્રાસંગીક લાઈટિંગ એટલે કે પ્રકાશ વ્યવસ્થાથી સુશોભિત કરવાનું પણ આયોજન છે. સવારના સમયે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.