Nidhi Dave, Vadodara: " યે રેશમી ઝુલ્ફે, યે શરબતી આંખે"..આવા અઢળક ગીતો વાળની સુંદરતા ઉપર લખાયા છે. તેમજ વાળ ઉપર ફિલ્મ પણ બની છે. પરંતુ વાળ આપણી સુંદરતામાં વધારો કરે છે. એ જ વાળ હવે ખરવા લાગ્યા છે. લોકોની જીવનશૈલીમાં ફેરફાર થવાથી એની અસર વાળ પર પણ પડતી હોય છે. તો આ વાળ ખરતા અટકાવવા માટે આપણને વિગતવાર માહિતી નક્ષત્ર આર્યુવેદમના વૈદ્ય શેફાલી પંડ્યા એ આપી છે.
પાણીપુરીની અસર 21 દિવસ પછી થતી હોય છે
વાળ ત્રણ તબક્કા માંથી પસાર થાય છે. 1. એનાજન, 2. કેટાજન અને 3. ટોલેજન. એનાજનમાં વાળની વૃદ્ધિ થતી હોય છે. જ્યારે કેટાજનમાં વાળ વધતા પણ નથી કે ઘટતાં પણ નથી. અને છેલ્લા ટોલેજન તબક્કામાં વાળ ખરતા હોય છે. ઉદાહરણ જોઈએ તો આજે ખાધેલી તીખી પાણીપુરી એ 21 દિવસ પછી અસર કરતી હોય છે અને જેની વાળ ખરવા પર પણ અસર પડતી હોય છે.
આટલી વસ્તુ ખાવી ન જોઈએ, આટલી વસ્તુઓ ખાવી જોઇએ
વાળ ખરવાના ઘણાં કારણો છે જેમ કે, શરીરમાં વિટામિનની ઉણપ હોવી, પિત્તવાળી જ વસ્તુઓ ખાવી, અનિયમિત સમયે જમવું અને ઊંઘવું, વગેરે. વાળ એ શરીર માટે સૌથી ગૌણ બાબત છે. શરીરમાં જ્યારે તત્વો કે હાડકાં ખોરાકનો ઉપયોગ કરી લે અને ત્યારબાદ જેટલો ખોરાક બચ્યો હશે એ વાળને મળશે.
એટલા જ માટે યોગ્ય વસ્તુઓ જમો, યોગ્ય સમયે જમો અને યોગ્ય સમયે સુવો. વધારે તીખી - તળેલી વસ્તુઓ, અથાણું, ચટણી જેવી વસ્તુઓ ન ખાવી જોઈએ. જેટલી બને એટલી બદામ, શરીરમાં ઠંડક કરતી વસ્તુઓ જેમ કે ખજૂર, આર્યન વાળી વસ્તુઓ, હિમોગ્લોબીન વાળી વસ્તુઓ જેમકે ગોળ અને ચણા, નારિયેળ પાણી, આ પ્રકારની વસ્તુઓ ખાવી યોગ્ય છે. પરંતુ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે, આ હેલ્ધી લાઈફ સ્ટાઈલ તમે ત્રણથી ચાર મહિના સુધી જાળવી રાખશો, ત્યારબાદ જ પરિણામ જોવા મળશે.
તમારી પ્રકૃતિ કેવી છે એના પ્રમાણે વાળ ધોવા
હેર કેર રૂટિનની એક ખોટી માન્યતા છે કે, વાળ જેટલા ઓછા ધોઈએ એટલા સારા રહે. જો આવા ગંદા સ્કાલ્પમાં તેલ લગાડીએ તો ઉલ્ટાના વધારે વાળ ખરે. જેથી કરીને હંમેશા વાળને ચોખ્ખા રાખવા. ઓછા પ્રમાણમાં તેલ વાપરવું. તદુપરાંત સિરમ પણ વાપરી શકાય છે. તમારી પ્રકૃતિ કેવી છે એના પ્રમાણે વાળ ધોવા. જો વાળ વધારે ગંદા થતા હોય તો એકાંતરે વાળ ધોવા તથા કન્ડીશનર પણ વાપરવું જોઈએ. આ ઉપરાંત આર્યુવેદમાં વાળને ખરતા અટકાવવા માટે ઘણી બધી દવાઓ પણ ઉપલબ્ધ છે.