વડોદરા: મહેસુલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના જનસંપર્ક કાર્યાલય ખાતેથી લોકોને વિવિધ 12 જેટલી યોજનાઓનો લાભ સરળતાથી મળે તે માટે ફોર્મ ભરાવી સરકારી કચેરીઓ સાથે સંકલન કરીને જરૂરિયાતમંદોને લાભ આપવા માટેની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.
ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને યોજના કાર્યાલયના સંગઠન અને કાર્યકરોની મદદથી લોકોને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળે તેમાં મદદરૂપ થવાનું આયોજન કર્યું છે. તેના ભાગરૂપે અહીં જેમને જરૂર છે અને જેમની પાત્રતા છે, તેવા લોકો પાસે આવનારા 6 મહિના સુધી સોમવારથી શુક્રવાર દરમિયાન બપોરના 12 થી સાંજના 6 વાગ્યાના સમયમાં આવકનો દાખલો, આયુષ્માન કાર્ડ, આધારકાર્ડ, રેશન કાર્ડમાં સુધારો, નામ કમી, ઉમેરો, એન.એફ.એસ.એ.નો લાભ, વિધવા સહાય, કોવીડ 19 મૃત્યુ સહાય, દિવ્યાંગ અને વૃદ્ધ પેન્શન, નિરાધાર વૃદ્ધ સહાય, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના ( સંકટ મોચન), કુંવરબાઈનું મામેરું અને નિરામય કાર્ડના લાભો માટે ફોર્મ ભરાવી, જે તે સરકારી કચેરી સાથે સંકલન કરી, જરૂરિયાતમંદને કચેરીઓના ધક્કા ખાધા વગર અને ખોટો ખર્ચ કર્યા વગર યોજનાના લાભો મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. લોકો તેનો લાભ લે એવો અનુરોધ તેમણે કર્યો હતો.
અગાઉ તેમના કાર્યકરોના અને લોકોના સહયોગથી લોકોને સરળતાથી માં કાર્ડનો લાભ અપાવ્યો છે. કોરોના કાળમાં અકિંચનો માટે ભોજનની વ્યવસ્થા, કોરોનાનું જોખમ વહોરીને લોકોને મદદ કરનારા કાર્યકરો માટે વીમા સુરક્ષા કવચ, તેમના ઘરોનું સેનેટાઈઝેસન જેવા સંવેદનાના કામો થયાં છે. સંગઠન અને કાર્યકરોના સહયોગથી લોકો માટે અમે સતત કાર્ય કરતાં રહીશું એવી નેમ તેમણે વ્યકત કરી છે.