શહેરના કુંભારો દ્વારા માટીના દીવડાઓ અને તોરણો બનાવવાની કામગીરી ચાલી રહી છે.
હવે દિવાળીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરના કુંભારો દ્વારા માટીના દીવડાઓ અને તોરણો બનાવવાની કામગીરી ચાલી રહી છે. માટીની વસ્તુઓ બનાવવી એ પણ એક કળા છે. જે હવે ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે.
Nidhi Dave, Vadodara: હવે દિવાળીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરના કુંભારો દ્વારા માટીના દીવડાઓ અને તોરણો બનાવવાની કામગીરી ચાલી રહી છે. માટીની વસ્તુઓ બનાવવી એ પણ એક કળા છે. જે હવે ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે. હવે જાત જાતની વસ્તુઓ માર્કેટમાં આવી રહી છે, જેથી માટીની વસ્તુઓને લોકો ઓછી ખરીદી રહ્યા છે.
વડોદરા શહેરના કુંભારવાળા અને ફતેપુરામાં મોટી સંખ્યામાં કુંભારો આવેલા છે. અને દરરોજના 500 થી 600 જેટલા દિવડાઓ બનાવી રહ્યા છે. આ દિવા માટેના કોડિયા બનાવવા માટે ખાસ ખેતરની માટીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એક કોડિયાનો ભાવ 70 પૈસા જેટલો છે. વડોદરા સિવાય શહેરની આસપાસ આવેલા ભરૂચ, અંકલેશ્વર, નવસારી, સુરત, વગેરે તમામ નાના-મોટા ગામોમાં પણ આ કોડિયા મોકલવામાં આવી રહ્યા છે.
અત્યારે માર્કેટમાં ચાઈનીઝ લાઇટિંગ વાળી સીરીઝો તથા ઇલેક્ટ્રીક બલ્બવાળા દીવડાઓ પણ ઉપલબ્ધ છે જેને લઈને માટીના દીવડાની માંગમાં થોડી ઘણી અસર જોવા મળી છે. કુંભારોનું કહેવું એમ છે કે, ભલે ગમે તેટલા કલરફુલ લાઇટિંગની સિરીઝો આવે પરંતુ આ દીવડાઓની જગ્યા કોઈ લઈ શકશે નહીં જે પરંપરા છે એ પરંપરા મુજબ જ માટીના દીવડા લોકો ખરીદશે અને પોતાના ઘરે પ્રગટાવશે. તથા વિદેશી માલને બદલે પોતાના શહેર અને ગામમાં બનતી વસ્તુઓને અપનાવી જોઈએ. જેથી કરીને દિવાળીમાં આપણા ઘરની સાથે સાથે કુંભારના ઘરે પણ દીવા પ્રગટે અને ઉજાસ ફેલાય એવું કંઈક કરવું જોઈએ.