ફરીદખાન પઠાણ, વડોદરા : આવતીકાલે દેશમાં થયેલી ચૂંટણીની મતગણતરી થવાની છે ત્યારે તમામ પક્ષ પોતાની જીતનાં દાવા કરી રહ્યાં છે. અમારી ટીમે જ્યારે વડોદરાનાં ભાજપનાં ઉમેદવાર રંજનબેન ભટ્ટ સાથે વાત કરી હતી. ત્યારે તેમણે 6 લાખની લીડથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
'ફરીથી મોદીજી પીએમ બનશે'
રંજનબેન ભટ્ટે કહ્યું કે, 'મતદાનનાં દિવસે મતદાન કરતી વખતે વડોદરાનાં લોકોએ ઘણું સારૂં મતદાન કર્યું છે. આવતીકાલે જ્યારે મતદાનનું પરિણામ આવશે ત્યારે પણ ભાજપ અને વડોદરાની સીટનું ઘણું સારુ પરિણામ આવવાનું છે.' તેમણે વધુમાં જણાવ્યું કે, 'મારો પાક્કો વિશ્વાસ છે કે વડોદરાની સીટ પર 6 લાખની લીડ અમને મળવાની છે. એક્ઝિટ પોલનાં તારણો સાથે હું એકદમ સહમત છું. મારા માનવા પ્રમાણે 330 સીટ એનડીએને મળશે. જેથી આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બનશે.'
વિપક્ષે ઇવીએમનાં ચેડાની વાત પર પોતાનો મત મુકતા તેમણે જણાવ્યું કે, 'એક્ઝિટ પોલ આવ્યાં ત્યાર પછી જ વિપક્ષે ઇવીએમ મશીન સામે વાંઘા દર્શાવવા માંડ્યાં. એમને ખબર પડી ગઇ કે અમે હવે જીતવાનાં નથી. દેશની જનતાએ અમને સ્વીકાર્યા નથી.' તમને જીતવાનો કેમ વિશ્વાસ છે તેવા સવાલ પર તેમણે જવાબ આપતા કહ્યું કે, 'લોકોની વચ્ચે રહીને લોકોનાં કામ કર્યાં છે. કેન્દ્ર સરકાર અને રાજ્યનાં સરકારની યોજનાઓનો લાભ અમે વડોદરાની જનતા સુધી પહોંચાડ્યો છે. '