જિલ્લાના 66,423 ખેડૂતોને રૂ. 2,132 કરોડનું કૃષિલક્ષી ધીરાણ કરાશે...
જિલ્લામાં કાર્યરત સરકારી અને ખાનગી બેંકો દ્વારા આગામી નાણાકીય વર્ષ દરમિયાન રૂ. 14000 કરોડનું ધીરાણ કરવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. સરકાર દ્વારા પ્રાયોજિત અગ્રતાના વિભાગો, સુક્ષ્મ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગો સહિત બે લાખથી પણ વધુ લોકોને આ ધીરાણ આયોજનમાં આવરી લેવામાં આવશે.
વડોદરા: જિલ્લામાં કાર્યરત સરકારી અને ખાનગી બેંકો (Government and Private Banks) દ્વારા આગામી નાણાકીય વર્ષ (Financial Year) દરમિયાન રૂ. 14000 કરોડનું ધીરાણ કરવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. સરકાર દ્વારા પ્રાયોજિત અગ્રતાના વિભાગો, સુક્ષ્મ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગો સહિત બે લાખથી પણ વધુ લોકોને આ ધીરાણ આયોજનમાં આવરી લેવામાં આવ્યા છે.
કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની બેંકર્સ કમિટિ કાર્યરત હોય છે. સામાન્ય રીતે જિલ્લામાં જે બેંકની સૌથી વધુ બ્રાંચ હોઇ તે આ બેંકર્સ કમિટિનું સંચાલન કરે છે અને તેને લીડ બેંક કહેવામાં આવે છે. વડોદરા જિલ્લામાં બેંક ઓફ બરોડો લીડ બેંકની ભૂમિકા અદા કરે છે. તેના દ્વારા તૈયાર કરવામાં આવેલા વાર્ષિક ધીરાણ આયોજનને કલેક્ટર અતુલ ગોરે લોન્ચ કર્યું છે.
વડોદરા જિલ્લામાં જુદી જુદી 41 બેંક્સની વિવિધ શાખાઓ કાર્યરત છે. જેના દ્વારા નાણાકીય વર્ષ 2022-23 માં વિવિધ ક્ષેત્રમાં થનારા ધીરાણની વિગતો જાણવા જેવી છે. આ બેંક્સ દ્વારા કૃષિમાં કૂલ 66,423 ખેડૂતોને રૂ. 2132 કરોડનું ધીરાણ આપવામાં આવશે. જેમાં પાક ઉત્પાદન, તેની સંભાળ અને માર્કેટિંગ ઉપરાંત જળ સ્ત્રોત ઉભા કરવા, પશુપાલન અને ડેરી ઉદ્યોગ, પોલ્ટ્રી ફાર્મિંગ, ઘેટા બકરા અને મત્સ્ય પાલનનો સમાવેશ થાય છે.
મહત્વની વાત એ છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી લઘુ ઉદ્યોગોને બહુ જ પ્રોત્સાહન આપી રહ્યા છે, તે વાતની ઝલક આ પ્લાનમાં સ્પષ્ટ જોવા મળે છે. વડોદરા જિલ્લાના 1,03,490 એમએસએમઇને રૂ. 8505 કરોડની ઇન્વેસ્ટમેન્ટ ક્રેડીટ અને વર્કિંગ કેપિટલ આપવામાં આવશે.
આ ઉપરાંત 2411 છાત્રોને શૈક્ષણિક હેતુની રૂ.110 કરોડની લોન આપવામાં આવશે. જ્યારે, 11745 ખાતાધારકોને રૂ. 2270 કરોડ હાઉસિંગ લોન પેટે આપવામાં આવશે. સમાજના સર્વાંગી ઉત્થાન માટે સખી મંડળો, એસસીએસટી વર્ગના લોકોને કૂલ મળી રૂ. 230 કરોડની ધીરાણ કરવામાં આવશે.