Home /News /madhya-gujarat /Gujarat election 2022: વાઘોડિયા બેઠક પર કેવો છે રાજકિય માહોલ? કોંગ્રેસ ભાજપ પાસેથી બેઠક જીતી શકશે?
Gujarat election 2022: વાઘોડિયા બેઠક પર કેવો છે રાજકિય માહોલ? કોંગ્રેસ ભાજપ પાસેથી બેઠક જીતી શકશે?
2019ની મતદાર યાદી મુજબ આ મતવિસ્તારમાં 228946 મતદાર છે અને 288 મતદાન મથકો છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં 73.06 ટકા મતદાન થયું હતું.
Vaghodia assembly constituency : વાઘોડિયા વિધાનસભા બેઠક પર વર્ષ 1962થી અત્યાર સુધીમાં કુલ 13 વખત ચૂંટણીઓ લડાઈ ચૂકી છે. જેમાં ભાજપ અને કોંગ્રેસને લગભગ સરખા પ્રમાણમાં જ બેઠકો મળી છે. અલબત્ત, ભાજપ આ બેઠક પર 1998થી પ્રભુત્વ ધરાવે છે. ભાજપના ધારાસભ્ય શ્રીવાસ્તવ મધુભાઈ આ બેઠક પર સતત પાંચ ટર્મથી ચુંટાઇ આવે છે. 1995માં તેઓ અપક્ષ લડયા હતા, ત્યારે પણ ચૂંટાયા હતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly election 2022) આવી પહોંચી છે. ચૂંટણી પંચ ગોઠવણમાં લાગી ગયું છે. રાજકીય પક્ષો પણ તૈયાર છે. ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress)માં ગ્રાઉન્ડ લેવલે કામગીરી થઈ છે. જે તે બેઠક પર સર્વે કરી જીતવાની શક્યતા તપાસવામાં આવી છે. આ સાથે જ સક્ષમ ઉમેદવાર કોણ હશે તે માટે પણ તપાસ ચાલી રહી છે.
બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોમાં મુરતિયા બનવા રાફડો ફાટ્યો છે. ચૂંટણી લડવા ઇચ્છુંકો ટિકિટ લેવા માટે ધમપછાડા કરશે તે નક્કી છે, આ સાથે જ દરેક પક્ષમાંથી અસંતુષ્ટ ઉમેદવારો પણ સામે આવશે. આગામી સમયમાં આવું જ વાઘોડિયા બેઠક (Vaghodia assembly constituency) પર જોવા મળી શકે છે. ગત વખતની જેમ ત્યાં અસંતુષ્ટોની સંખ્યા વધુ રહે તેવી શક્યતા છે.
વાઘોડિયા વિધાનસભા બેઠક વડોદરા જિલ્લામાં આવેલી છે અને વડોદરા લોકસભા બેઠક હેઠળ આવે છે. જેમાં વાઘોડિયા ઉપરાંત સાવલી, વડોદરા શહેર, સયાજીગંજ, અકોટા, રાવપુરા અને માંજલપુરનો સમાવેશ થાય છે.
મતદારોની સંખ્યા
2011ની વસતી ગણતરીના અંદાજ મુજબ કુલ આ ક્ષેત્રમાં કુલ 357883 વસ્તી છે. જેમાંથી 55.27 ટકા વસ્તી ગ્રામીણ છે અને 44.73 ટકા શહેરમાં વસવાટ કરે છે. કુલ વસ્તીમાંથી અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)નો ગુણોત્તર અનુક્રમે 5.86 અને 14.96 છે.
2019ની મતદાર યાદી મુજબ આ મતવિસ્તારમાં 228946 મતદાર છે અને 288 મતદાન મથકો છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં 73.06 ટકા મતદાન થયું હતું. બીજી તરફ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 76.9 ટકા મતદાન થયું હતું.
2019ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને અનુક્રમે 70.12 ટકા અને 23.97 ટકા મત મળ્યા હતા. વડોદરા લોકસભા બેઠક પર વર્તમાન સમયે ભાજપના રંજનબેન ભટ્ટ સાંસદ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. જ્યારે વાઘોડિયા વિધાનસભા બેઠકના વર્તમાન ધારાસભ્ય તરીકે ભાજપના શ્રીવાસ્તવ મધુભાઈ બાબુભાઈ છે.
ભૂતકાળની ચૂંટણીઓ
વાઘોડિયા વિધાનસભા બેઠક પર વર્ષ 1962થી અત્યાર સુધીમાં કુલ 13 વખત ચૂંટણીઓ લડાઈ ચૂકી છે. જેમાં ભાજપ અને કોંગ્રેસને લગભગ સરખા પ્રમાણમાં જ બેઠકો મળી છે. અલબત્ત, ભાજપ આ બેઠક પર 1998થી પ્રભુત્વ ધરાવે છે. ભાજપના ધારાસભ્ય શ્રીવાસ્તવ મધુભાઈ આ બેઠક પર સતત પાંચ ટર્મથી ચુંટાઇ આવે છે. 1995માં તેઓ અપક્ષ લડયા હતા, ત્યારે પણ ચૂંટાયા હતા.
વર્ષ
વિજેતા ઉમેદવાર
પક્ષ
2017
મધુ શ્રીવાસ્તવ
ભાજપ
2012
મધુ શ્રીવાસ્તવ
ભાજપ
2007
મધુ શ્રીવાસ્તવ
ભાજપ
2002
મધુ શ્રીવાસ્તવ
ભાજપ
1998
મધુ શ્રીવાસ્તવ
ભાજપ
1995
મધુ શ્રીવાસ્તવ
અપક્ષ
1990
પ્રદીપ જયસ્વાલ
જેડી
1985
મનુભાઈ પટેલ
કોંગ્રેસ
1980
સનતકુમાર મહેતા
કોંગ્રેસ
1975
સનતકુમાર મહેતા
કોંગ્રેસ
1972
ધીરજલાલ જયસ્વાલ
કોંગ્રેસ
1967
એમ જી પોલા
કોંગ્રેસ
1962
કાશિવલ મણિલાલ
કોંગ્રેસ
ગત 2017ની ચૂંટણીની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર શ્રીનિવાસ મધુભાઈને 63049 મત મળ્યા હતા. આ ચૂંટણીમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ ઉભા રહ્યા હતા. તેઓને 52734 મત મળ્યા હતા. મધુભાઈ આ ચૂંટણીમાં વિજય થયા હતા. 2012ની ચૂંટણીમાં પણ શ્રીનિવાસ મધુભાઈ ભાજપના ઉમેદવાર હતા. જ્યારે કોંગ્રેસ દ્વારા પટેલ જયેશભાઇને ટિકિટ આપવામાં આવી હતી. આ ચૂંટણીમાં શ્રીનિવાસ મધુભાઈને 65851 મત મળ્યા હતા. જ્યારે જયેશભાઇને 60063 મત મળ્યા હતા.
ભાજપ અને કોંગ્રેસ સામેના પડકાર
ગત વિધાનસભા ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દ્વારા વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારમાં ઉમેદવારોની પસંદગી થયા બાદ અમુક કાર્યકરો અને કેટલાક આગેવાનોમાં રોષ જોવા મળ્યો હતો.
કેટલાક આગેવાનો પક્ષ પલટો કર્યો હતો, તો કેટલાક આગેવાનો અપક્ષ લડ્યા હતા. તે સમયે કોંગ્રેસના રાજુ અલવા, દિલીપ ભટ્ટ, ઉપેન્દ્રસિંહ ગોહિલ સહિતના આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો.
બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવને ટિકિટ ફાળવી દેતા વાઘોડિયા ભાજપ સંગઠનમાં અનેક લોકો નારાજ થયા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ દિલુભા ચુડાસમાના ભાણેજ અને ભાજપના આગેવાન ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ બળવો કરી અપક્ષમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
મોદી પર બંગડી ફેંકનાર આશાવર્કરે નોંધાવી હતી ઉમેદવારી
એક સમયે મોદી પર બંગડી ફેંકનાર આશાવર્કર મહિલા ચંદ્રીકાબેન સોલંકીએ 2017ની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. તેમને કોંગ્રેસે ટિકિટ આપી નહોતી. જેથી તેમણે અપક્ષ ઉમેદવારી કરીને ભાજપ સામે મોરચો ખોલ્યો છે.
ભાજપના બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ
વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીનિવાસને બાહુબલી નેતા માનવામાં આવે છે. તેઓ અવારનવાર વિવાદથી ઘેરાયેલા રહે છે. આમ તો ભાજપમાં શિસ્તના નામે ઘણા પગલાં લેવાય છે, પણ મધુ શ્રીવાસ્તવ તેમાં બાકાત હોય છે.
મધુ શ્રીવાસ્તવના પત્ની તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખ પદે રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેમના પુત્રી પણ રાજકારણમાં સક્રિય હોવાનું જાણવા મળે છે. થોડા સમય પહેલા તેમના પુત્રને કોર્પોરેશનની ટિકિટ અપાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બે સંતાનના નિયમના કારણે તેની ઉમેદવારી રદ કરવામાં આવી હતી. અગાઉ બેસ્ટ બેકરીકાંડ બાબતે કેટલાક લોકોએ તેમના પર આક્ષેપો કર્યા હતા.
મધુ શ્રીવાસ્તવને નો રિપીટ થિયરી નડશે?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડોદરાની કેટલીક બેઠકો પર ભારતીય જનતા પાર્ટી નો રીપીટ થિયરી અપનાવે તેવી અટકળો છે. જેમાં વાઘોડિયા બેઠકનો પણ સમાવેશ થાય છે. અમુક અહેવાલો મુજબ વાઘોડિયાની બેઠક પર મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી શકે છે.
આમ તો નો રીપીટ થિયરીમાં ભાજપને ઘણા અંશે સફળતા મળી છે, પરંતુ આ બેઠક પર મધુ શ્રીવાસ્તવ ભાજપની આ પોલીસીને માનવા તૈયાર ન હોય તેવું લાગી રહ્યું છે.
તેમણે થોડા સમય પહેલા નિવેદન આપ્યું હતું કે, નો રિપીટ થિયરી વાઘોડિયાના ધારાસભ્ય માટે નહીં હોય. એકંદરે તેઓ ચૂંટણી લડવા માંગે છે અને ટિકિટ નહીં આપે તો પણ તેમણે ચૂંટણી લડવાનો નિર્ધાર કર્યો છે.
મતદારોની સમસ્યાઓ
આ પંથકમાં પીવાના પાણીનો પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે. ઘણા સ્થળોએ પૂરતું પાણી ન હોવાની બૂમ ઉઠી છે. આ ઉપરાંત ગંદકીના કારણે અમુક જગ્યાએ મચ્છરનો ખુબ જ ત્રાસ હોવાનું પણ જાણવા મળે છે. કેટલાક સ્થળોએ રોડરસ્તાની હાલત બિસ્માર છે.