Home /News /madhya-gujarat /Gujarat election 2022: ભાજપનો ગઢ ગણાતી સયાજીગંજ બેઠકની પ્રજાના અનેક પ્રશ્નો, શા માટે નવો ચહેરો જરૂરી?
Gujarat election 2022: ભાજપનો ગઢ ગણાતી સયાજીગંજ બેઠકની પ્રજાના અનેક પ્રશ્નો, શા માટે નવો ચહેરો જરૂરી?
Sayajigunj assembly constituency : વડોદરા શહેરમાં સયાજીગંજ વિધાનસભા બેઠક પર જાતિ સમીકરણની વાત કરવામાં આવે તો સૌથી વધુ ઓબીસી જાતિ સાથે અન્ય જાતિના લોકો વસે છે. ઓબીસી મતદાર વધુ હોવાના કારણે છેલ્લા ચાર ટર્મથી ભાજપનો ભગવો આ બેઠક પર લહેરાઈ રહ્યો છે.
Sayajigunj assembly constituency : વડોદરા શહેરમાં સયાજીગંજ વિધાનસભા બેઠક પર જાતિ સમીકરણની વાત કરવામાં આવે તો સૌથી વધુ ઓબીસી જાતિ સાથે અન્ય જાતિના લોકો વસે છે. ઓબીસી મતદાર વધુ હોવાના કારણે છેલ્લા ચાર ટર્મથી ભાજપનો ભગવો આ બેઠક પર લહેરાઈ રહ્યો છે.
ગુજરાત વિધાનસભા 2022 (Gujarat Assembly election 2022)ની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાંચ રાજ્યોમાં ગત વર્ષે યોજાયેલ ચૂંટણી બાદ હવે ચૂંટણીપંચે પણ ગુજરાતની ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે. આ સાથે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે ભાજપ અને કોંગ્રેસ બન્ને માટે મહત્વની છે. ચૂંટણીની મોસમની વચ્ચે અમે આપની માટે ગુજરાતની તમામ 182 બેઠકોનો ચિતાર લઈને આવ્યા છીએ. જે અંતર્ગત આજે આપણે વડોદરાની સયાજીગંજ વિધાનસભા બેઠક (Sayajiganj assembly seat) વિશે વાત કરીશું.
ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠકો છે. જેમાં વડોદરા જિલ્લામાં કુલ 10 બેઠકો છે. તે પૈકી 5 બેઠકો શહેર અને 5 બેઠકો ગ્રામ્ય વિધાનસભા બેઠકો આવેલી છે. વડોદરા શહેરની પાંચ બેઠકો પૈકી સયાજીગંજ- 142 વિધાનસભા બેઠક સામેલ છે. આ બેઠક અંતર્ગત વડોદરા તાલુકાના વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (ભાગ) વોર્ડ નં. – 7, 10, અંડર (ઓજી) 11, કેરોડિયા (ઓજી) 12 વગેરેનો સમાવેશ થાય છે. વડોદરા શહેરની સયાજીગંજ વિધાનસભા જનરલ બેઠક પર કુલ 2,93,563 મતદારો નોંધાયા છે. જેમાં પુરુષ મતદારોની સંખ્યા 1,50,663 છે. તો સ્ત્રી મતદારોની સંખ્યા 1,42,867 છે.
વડોદરા સયાજીગંજ બેઠકની ખાસિયત
વડોદરાની પાંચ વિધાનસભા બેઠકોમાં સૌથી મોટી વિધાનસભા બેઠક સયાજીગંજ વિધાનસભા બેઠક છે. આ બેઠકમાં વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, ફતેગંજ લાલ ચર્ચ, એલેમ્બિક કંપની, રેલવે સ્ટેશન, ગોરવા જીઆઇડીસી, ગેરી, સયાજીબાગ, સયાજીગંજ મતવિસ્તારની આગવી ઓળખ મનાય છે.
જાતિગત સમીકરણ-
વડોદરા શહેરમાં સયાજીગંજ વિધાનસભા બેઠક પર જાતિ સમીકરણની વાત કરવામાં આવે તો સૌથી વધુ ઓબીસી જાતિ સાથે અન્ય જાતિના લોકો વસે છે. ઓબીસી મતદાર વધુ હોવાના કારણે છેલ્લા ચાર ટર્મથી ભાજપનો ભગવો આ બેઠક પર લહેરાઈ રહ્યો છે. આ બેઠક પર ઓબીસી મતદારોની સંખ્યા સૌથી વધુ છે. આ બેઠકમાં છાણી-નવાયાર્ડ વિસ્તારનું પ્રભુત્વ છે.
રાજકીય સમીકરણ-
આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડોદરા શહેર અને જિલ્લાની 10 બેઠક પર ભાજપ દ્વારા "નો રિપીટ" થિયરી અપનાવશે એવી ચર્ચાઓ ચાલી રહી છે. વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુમાં મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની પણ ચર્ચા ચાલી રહી છે.
ગુજરાત એ ભાજપ માટે પ્રયોગ શાળા મનાય છે. ભાજપ દ્વારા ગુજરાતમાં જે રાજકીય પ્રયોગ કરવામાં આવે છે અને એને સફળતા મળે તો એનો અન્ય રાજ્યોમાં અમલ કરે છે. વર્ષ 2005ની પાલિકાની ચૂંટણીમાં "નો રિપીટ થિયરી" અપનાવી હતી અને એમાં 90 ટકા સફળતા મળી હતી.
તે પછી 2020માં આંશિક 'નો રિપીટ થિયરી' અપનાવવામાં આવી હતી, જેમાં ભારે સફળતા મળી હતી. આ દરમિયાન થોડા સમય પહેલાં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીને મુખ્યમંત્રીપદેથી દૂર કરી ભૂપેન્દ્ર પટેલને બેસાડવામાં આવ્યા હતા. એ સાથે મંત્રીમંડળમાં પણ ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યા હતા, જેની સામે કોઇ વિરોધ થયો ન હતો.
સયાજીગંજ વિધાનસભા ક્ષેત્ર પણ ભારતીય જનતા પાર્ટી માટે સલામત બેઠક સમાન છે, કારણ કે તે 1995 થી અત્યાર સુધીમાં 5 વખત અહીંથી જીતી ચુકી છે. જીતેન્દ્ર સુખડિયા અહીંથી સતત 2 વખત જીતી રહ્યા છે, તેમજ 2002માં પણ વિજયી બન્યા હતા, પરંતુ પેટાચૂંટણીમાં તેઓ હારી ગયા હતા. 2012ની ચૂંટણીમાં તેમને 1,07,358 મત મળ્યા અને કોંગ્રેસના કિર્તીભાઈ જોષીને 58,237થી હરાવીને વિધાનસભામાં પહોંચ્યા હતા.
2012 અને 2017ના પરિણામ –
વડોદરા સયાજીગંજ વિધાનસભા બેઠક છેલ્લા 4 ટર્મથી ભાજપ હસ્તક છે. 2012માં જીતેન્દ્ર સુખડીયા ભાજપપક્ષ અને કિરીટ જોશી કોંગ્રેસ તરફથી ચૂંટણી લડ્યા હતાં. જીતેન્દ્ર સુખડીયાને 1,07,358 મત અને કિરીટ જોશીને 49,121 મત મળ્યા હતાં. 2012માં ભાજપની આ બેઠક પર ભવ્ય જીત થઈ હતી.
2017 માં આ બેઠક પર ભાજપ પક્ષ તરફથી છેલ્લા ચાર ટર્મથી ચૂંટાતા જીતેન્દ્ર સુખડીયા અને કૉંગ્રેસ પક્ષના નરેન્દ્ર રાવત પોતાની ઉમેદવારી પ્રજા સમક્ષ મૂકી હતી. જેમાં જીતેન્દ્ર સુખડીયાને 99,957 મત મળ્યા હતાં તો નરેન્દ્ર રાવતને 40,825 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો.
હાર-જીતના સમીકરણ
વર્ષ
વિજેતા ઉમેદવારનુ નામ
પક્ષ
2017
જીતેન્દ્ર સુખડિયા
BJP
2012
જીતેન્દ્ર સુખડિયા
BJP
2007
જીતેન્દ્ર સુખડિયા
BJP
2002
પ્રજાપતિ દલસુખભાઈ
INC
2002
જીતેન્દ્ર સુખડિયા
BJP
1998
જસપાલ સિંહ
BJP
1995
જસપાલ સિંહ
BJP
1990
જસપાલ સિંહ
JD
1985
પુરોહિત મનુભાઈ
INC
1985
જે સિંહ
IND
1980
શિરીષ પુરોહિત
INC
1975
જી જી પરાડકર
SP
1972
સનત મહેતા
INC
1967
એફ પી ગાયકવાડ
INC
બેઠક સમસ્યાઓ
વડોદરા સયાજીગંજ વિધાનસભા બેઠક પર મહાનગરપાલિકાના સામાન્ય પ્રશ્નોનો સામનો નાગરિકો કરી રહ્યાં છે. ત્યારે સ્થાનિકોની માગ છે કે, વડોદરા સયાજીગંજ વિધાનસભા ક્ષેત્રમાં વિવિધ સમસ્યાઓ છે. જેમાં મુખ્ય સમસ્યા દૂષિત પાણી, ડ્રેનેજ અને ગંદકીની સમસ્યા છે. આ સમસ્યાઓ દૂર કરવાની નાગરિકો માંગણી કરી રહ્યા છે. આ વિસ્તારમાં ઔદ્યોગિક વસાહતના કારણે મોડી રાત્રે છૂટતા કેમિકલના કારણે અવાર નવાર લોકો મુશ્કેલીમાં મુકાય છે.
આ સાથે વડોદરા સયાજીગંજ વિસ્તારમાં છાણી અને નવાયાર્ડ વિસ્તાર ડેવલોપમેન્ટનો મોટો પ્રશ્ન છે, કેમ કે છેલ્લા 4 ટર્મથી ચૂંટાતા ભાજપ પક્ષના નેતા દ્વારા વિકાસ કરવામા આવ્યો નથી. જેથી પ્રજામાં નારાજગી છે. તે ઉપરાંત આ વિસ્તારમાં પરશુરામ ભઠ્ઠા આવાસને લઈ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ મતવિસ્તારમાંથી વિશ્વામિત્રી નદી પણ પસાર થતી હોવાના કારણે ચોમાસાની ઋતુ દરમિયાન વિશ્વામિત્રી નદીના કિનારાના વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી જવાની સમસ્યા આજે વર્ષો પછી પણ યથાવત છે.
હાલ મોંઘવારીએ માઝા મૂકી છે અને બેરોજગારી પરાકાષ્ઠાએ પહોંચી છે. શિક્ષણ મોંઘું થઇ ગયું છે. અનેક ગ્રામ્ય વિસ્તારો વિકાસથી વંચિત છે. પરિણામે, લોકોમાં સરકાર સામે ભારે નારાજગી છે. વર્તમાન ધારાસભ્યો સામે પણ નારાજગી છે, ત્યારે સામાન્ય પ્રજાની નારાજગીને ડાઇવર્ટ કરવા માટે ભાજપ આગામી વિધાનસભાની ચૂંટણીમાં નવા કાર્યકરોને તક આપવાના બહાને "નો રિપીટ થિયરી" અપનાવે એવી ચર્ચાઓ ખુદ ભાજપના દિગ્ગજ નેતાઓ કરી રહ્યા છે.
જીતેન્દ્ર સુખડિયાની જાહેરાત
ગુજરાત રાજ્યની વિધાનસભાની 2022ની ચૂંટણીની તડામાર તૈયારીઓ તમામ પક્ષો કરી રહ્યા છે. રેલીઓ સહિતની તૈયારીઓમાં શાસક હોય કે વિપક્ષ તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે બીજી તરફ સંખ્યાબંધ નેતાઓ પણ ટિકિટ તેમને મળે તે હેતુસર કાર્યરત થયા છે. ત્યારે આ વચ્ચે સુખડીયાને લઇને આ મોટા અહેવાલ સામે આવ્યાં છે. જેમાં વડોદરા શહેરના સયાજીગંજ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય જીતુ સુખડીયા એ 2022ની વિધાનસભા ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે.
જીતેન્દ્ર ઉર્ફે જીતુ સુખડીયાએ ચૂંટણી નહી લડવાની જાહેરાત કરતાં શહેર ભાજપનું રાજકારણ ગરમાયું છે. તો બીજી તરફ શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે તેને સૌથી મોટી જાહેરાત ગણાવી છે. ભાજપના નેતાઓમાં જીતુ સુખડીયાની ગણના થાય છે ત્યારે તેઓની ચૂંટણી લડવાની નામરજી કેમ સામે આવી રહી છે તેની ચર્ચા ઊઠી છે.